Get The App

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી!

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
Assam CM Oath Ceremony

Assam CM Oath Ceremony: આસામ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ આજે હિમંતા બિસ્વા સરમાએ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ તેઓ આસામમાં સતત બે કાર્યકાળ સુધી મુખ્યમંત્રી બનનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા બની ગયા છે. ગુવાહાટીમાં યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આસામમાં આ NDA સરકારનો સતત ત્રીજો કાર્યકાળ છે, જે અગાઉ 2016માં સર્બાનંદ સોનોવાલ અને 2021માં હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં શરૂ થયો હતો.

દિગ્ગજ નેતાઓની હાજરીમાં ભવ્ય શપથ ગ્રહણ

આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ હાજર રહ્યા હતા. હિમંતા બિસ્વા સરમાની સાથે રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરન બોરો અને અજંતા નિયોગ જેવા દિગ્ગજ નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. આ પ્રસંગે ભાજપ શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી.

છાત્ર રાજનીતિથી મુખ્યમંત્રી સુધીની સફર

હિમંતા બિસ્વા સરમાનો રાજકીય પ્રવાસ અત્યંત પ્રેરણાદાયી રહ્યો છે. તેમનું શિક્ષણ ગુવાહાટીમાં થયું છે, જ્યાં તેમણે રાજનીતિ વિજ્ઞાનમાં MA અને ત્યારબાદ ગુવાહાટી યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી મેળવી છે. તેમણે થોડો સમય હાઇકોર્ટમાં વકીલાત પણ કરી હતી. તેમની રાજકીય કારકિર્દી કોટન કૉલેજમાં છાત્ર સંઘના મહાસચિવ તરીકે શરૂ થઈ હતી. 1990ના દાયકામાં કોંગ્રેસમાં જોડાયા બાદ તેઓ 2001માં જાલુકબારી બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા અને ત્યારથી આ બેઠક પર સતત જીતતા આવ્યા છે.

આ પણ વાંચો: 6 દિવસ, 5 દેશો અને અબજો ડોલરના રોકાણ પર નજર: PM મોદીનો મેગા વિદેશ પ્રવાસ

પૂર્વોત્તરમાં ભાજપના ચાણક્ય તરીકેની ઓળખ

વર્ષ 2015માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ હિમંતા બિસ્વા સરમાએ પૂર્વોત્તર ભારતમાં ભાજપને મજબૂત કરવામાં પાયાની ભૂમિકા ભજવી છે. તેમને 'નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ'(NEDA)ના સંયોજક બનાવવામાં આવ્યા હતા, જ્યાં તેમણે પ્રાદેશિક પક્ષોને ભાજપ સાથે જોડીને પૂર્વોત્તરમાં ભગવો લહેરાવવામાં સફળતા મેળવી હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે પૂર્વોત્તરમાં ભાજપના વધતા પ્રભાવ પાછળ સરમાની સચોટ વ્યૂહનીતિ અને સખત મહેનત સૌથી મોટું કારણ છે.