Himanta Biswa Sarma: આસામ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોના વલણોમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપ) ફરી એકવાર સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. 126 બેઠકો ધરાવતી આસામ વિધાનસભામાં ભાજપ બહુમતીનો આંકડો પાર કરી ચૂકી છે, જ્યારે કોંગ્રેસ ઘણી પાછળ રહી ગઈ છે. આ શાનદાર જીતના મુખ્ય શિલ્પકાર તરીકે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા ઉભરી આવ્યા છે, જેમણે 2016થી રાજ્યમાં ભાજપનો ઝંડો બુલંદ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
શિક્ષણ અને વકીલાતથી રાજનીતિ સુધીની સફર
1 ફેબ્રુઆરી, 1969ના રોજ જોરહાટમાં જન્મેલા હિમંત બિસ્વા સરમાનો શરૂઆતી પ્રવાસ શિક્ષણ અને નેતૃત્વથી ભરેલો રહ્યો છે. તેમણે ગુવાહાટીની કોટન કૉલેજમાંથી રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે એલએલબી અને પીએચડી પણ પૂર્ણ કર્યું. રાજનીતિમાં સક્રિય થતાં પહેલા તેમણે 1996થી 2001 દરમિયાન ગુવાહાટી હાઇકોર્ટમાં વકીલાત પણ કરી હતી. તેમની વક્તૃત્વ કળા અને વ્યૂહાત્મક સમજને કારણે તેઓ વિદ્યાર્થી કાળથી જ લોકપ્રિય નેતા બની ગયા હતા.
વિદ્યાર્થી નેતા તરીકેની ધમાકેદાર શરૂઆત
હિમંત બિસ્વા સરમાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત 'આસુ'(All Assam Students Union)થી કરી હતી. માત્ર 18 વર્ષની ઉંમરે તેઓ કોટન કૉલેજના સહાયક મહાસચિવ બન્યા અને ત્યારબાદ સતત ત્રણ વાર મહાસચિવ તરીકે ચૂંટાયા. તેમની ક્ષમતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક ફૂટબોલ સ્ટેડિયમ માટે ફંડ મેળવવા તેમણે વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળ સાથે તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની મુલાકાત લીધી હતી અને ફંડ મંજૂર કરાવ્યું હતું.
કોંગ્રેસના કદાવર નેતા અને પછી બળવો
1991માં હિતેશ્વર સૈકિયાના નેતૃત્વમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા અને 2001માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા. તરુણ ગોગોઈના કાર્યકાળ દરમિયાન તેઓ સૌથી શક્તિશાળી મંત્રીઓમાં ગણાતા હતા. તેમણે સ્વાસ્થ્ય અને શિક્ષણ મંત્રી તરીકે અનેક મેડિકલ કૉલેજોની સ્થાપના કરી રાજ્યના માળખાગત વિકાસમાં મોટું યોગદાન આપ્યું. જોકે, 2011 પછી તરુણ ગોગોઈ સાથે મતભેદો વધતાં અને રાહુલ ગાંધી દ્વારા તેમની અવગણના થતાં તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો. તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ મહત્ત્વની ચર્ચા માટે ગયા હતા ત્યારે રાહુલ ગાંધી તેમના પાલતુ શ્વાનને બિસ્કિટ ખવડાવવામાં વ્યસ્ત હતા.
ભાજપમાં એન્ટ્રી અને પૂર્વોત્તરના 'ચાણક્ય'
2015માં અમિત શાહના નેતૃત્વમાં તેઓ ભાજપમાં જોડાયા. ભાજપ માટે તેઓ પૂર્વોત્તર રાજ્યોમાં મજબૂત કડી સાબિત થયા. 2016માં ભાજપની પ્રથમ સરકાર બનાવવામાં તેમણે મુખ્ય વ્યૂહરચનાકારની ભૂમિકા ભજવી. ત્યારબાદ નેડા(NEDA)ના સંયોજક તરીકે તેમણે અરુણાચલ, મણિપુર અને મેઘાલયમાં પણ ભાજપની સરકારો બનાવવામાં મદદ કરી. તેમની મહેનત અને પરિણામ આપવાની ક્ષમતાને કારણે 2021માં પાર્ટીએ તેમને આસામના 15મા મુખ્યમંત્રી બનાવ્યા.
કટ્ટર હિન્દુત્વ અને લોકપ્રિય 'મામા'ની છબી
મુખ્યમંત્રી તરીકે હિમંત બિસ્વા સરમાએ કટ્ટર હિન્દુત્વની રાજનીતિને અપનાવી છે. તેમણે ગૌહત્યા વિરોધી કાયદો પસાર કર્યો, સરકારી મદ્રેસાઓને સામાન્ય શાળાઓમાં ફેરવ્યા અને ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ અભિયાન ચલાવ્યું. આ આક્રમક છબીની સાથે તેઓ જનતામાં અત્યંત લોકપ્રિય પણ છે. આસામના યુવાનો અને મહિલાઓ તેમને પ્રેમથી 'મામા' કે 'દાદા'(મોટા ભાઈ) કહીને સંબોધે છે. 2026ના આ પરિણામો ફરી એકવાર સાબિત કરે છે કે હિમંત બિસ્વા સરમા ભાજપના સૌથી ભરોસાપાત્ર અને પ્રભાવશાળી નેતાઓમાંના એક છે.



