Get The App

વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની ગરમી પરાકાષ્ઠાએ

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની ગરમી પરાકાષ્ઠાએ 1 - image

નવીદિલ્હી: દેશના જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાંથી વિવાદાસ્પદ સમાચારો આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં માલદા ખાતે જે રીતે જજોને ઘેરવામાં આવ્યા હતા એ બાબતે મમતા બેનર્જીએ એવું નિવેદન આપ્યું છે કે ખરા ગુનેગારો ભાગી ગયા છે અને એનઆઇએ સ્થાનીક લોકોને હેરાન કરે છે. પશ્ચિમ બંગાળના બહેરામપુર મત વિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર અધિર રંજન ચૌધરીને માર માર્યો હોવાના ખબર છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ટીએમસીના કોર્પોરેટરની હાજરીમાં આ ઘટના બની હતી. ચૂંટણી કમિશનના કહેવા પ્રમાણે કેરળના યુવાન મતદારોને ૯મી એપ્રિલે પોલીંગ સ્ટેશન સુધી જવા માટે ટેક્સીની મફત વ્યવસ્થા કરવામાં આવશે. તામિલનાડુના લાલગુડી વિસ્તારમાંથી ચૂંટણીની ફલાઇગ સ્કવોર્ડએ ૫૦ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીનએ ચૂંટણી પ્રચાર દરમિયાન રજનીકાંતનું ગીત ગાઈને ડીએમકેનો ચૂંટણી ઢંઢોરો લોકોને સમજાવ્યો હતો.

સેન્ટ્રલ વિસ્ટામાં લગાડેલા ૪૩ ટકા વૃક્ષો સુકાઈ ગયા

બહુ ગાજેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચાયા છે. સેન્ટ્રલ વિસ્ટા પૂર્નવિકાસ યોજના હેઠળ સ્થળાંતરીત કરવામાં આવેલા વૃક્ષોમાંથી મોટા ભાગના વૃક્ષો સંકટમાં છે. કુલ ૩,૬૦૯ વૃક્ષો સ્થળાંતર કરીને રોપવામાં આવ્યા હતા. જેમાંથી ૧,૫૪૫ એટલે કે લગભગ ૪૩ ટકા વૃક્ષો નષ્ટ થઈ ગયા છે. લોકસભામાં આ બાબતે ટીએમસીના સાંસદ મહુવા મોઇત્રાએ કરેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, યોજના હેઠળ જુદી જુદી જગ્યાએથી વૃક્ષોને હટાવીને બીજે લગાડવામાં આવ્યા હતા. એમાંથી સૌથી વધુ એટલે કે ૧,૭૩૪ વૃક્ષો કર્તવ્યભવન ૧, ૨ અને ૩ના નિર્માણ સ્થળેથી દુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવા સંસદભવનના કમ્પાઉન્ડમાંથી ૪૦૨, ઉપરાષ્ટ્રપતિ એન્કલેવમાંથી ૩૯૦ અને વડાપ્રધાનની ઓફિસ તેમજ નિવાસસ્થાનેથી ૧૪૩ વૃક્ષો સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા.

આપના ભૂતપૂર્વ નેતાનો વાહિયાત આક્ષેપ, કેજરીવાલે ઘરે બોલાવી રાઘવ ચઢ્ઢાને માર માર્ર્યો હતો

એક જમાનાના સાથીદાર અરવિંદ કેજરીવાલ અને રાઘવ ચઢ્ઢા હવે યુદ્ધે ચઢયા છે. એક તરફ રાઘવ ચઢ્ઢા એકલા છે બીજી તરફ આમ આદમી પાર્ટીની આખી ટીમ છે. કેજરીવાલથી દુભાયેલા કેટલાક આપના નેતાઓ પણ હવે વહેતી ગંગામાં હાથ ધોઈ રહ્યા છે. હરિયાણામાં આપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા નવીન જયહિન્દે એક એવો આક્ષેપ કર્યો છે કે જે માનવો અશક્ય લાગે છે. એમના કહેવા પ્રમાણે ૨૦૨૪ના વર્ષમાં રાઘવ ચઢ્ઢાને કેજરીવાલે એમના દિલ્હીના બંગલે બોલાવીને 'મરઘો' બનાવ્યા હતા. ત્યાર પછી ચાર નેતાઓની હાજરીમાં એમને માર મારવામાં આવ્યો હતો. આ મારને કારણે એમને આંખ પર ઇજા થઈ હતી. ઇજાની સારવાર કરાવવા માટે એમણે ઇંગ્લેન્ડ જવું પડયું હતું, પરંતુ જાહેરમાં એવું કારણ આપવામાં આવ્યું હતું કે તેઓ હનીમુન મનાવવા માટે ઇંગ્લેન્ડ ગયા છે. જોકે રાઘવ ચઢ્ઢાની નજીકના સૂત્રોએ જ આ આક્ષેપને વાહિયાત ગણાવ્યો છે.

યુદ્ધમાં તૂટી પડેલા વિમાનના ક્રૂને કઈ રીતે બચાવવામાં આવે છે

ઇરાને તોડી પાડેલા અમેરિકાના એફ-૧૫ યુદ્ધ વિમાનના પાયલોટને અમેરિકાએ બચાવી લીધો છે. ઘણાને વિચાર આવે છે કે આ કઈ રીતે શક્ય થયું. દશકોથી ચાલી રહેલી અમેરિકાની કોમ્બેટ સર્ચ એન્ડ રેસક્યુ મિશનોની લાંબી પરંપરા છે. બીજા ક્રુ મેમ્બરની તપાસ માટે ઇરાનની અંદર સર્ચ ઓપરેશન ચાલુ છે. કોમ્બેટ સર્ચ એન્ડ રેસક્યુ (સીએસએઆર) મિશનને સૌથી અઘરું અને સંવેદનશીલ અભિયાન ગણવામાં આવે છે. આ મિશનની તૈયારી અમેરિકા વર્ષોથી કરે છે. અમેરિકાની વાયુ સેનાના એક યુનિટને આ માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. જ્યાં વિમાન તૂટી પડવાની શક્યતા હોય એ વિસ્તારની નજીક આ યુનિટને પહેલેથી તૈયાર રાખવામાં આવે છે. તૂટી પાડવામાં આવેલા વિમાનના ક્રુને શોધવા માટે હેલીકોપ્ટર દ્વારા ખાસ ટીમને ઉતારવામાં આવે છે. આ ટીમનું કામ ઘાયલ વ્યક્તિઓને શોધવા ઉપરાંત દુશ્મન દેશના સૈનિકોથી બચાવ કરવાનું પણ છે.

જે દેશોએ ભારતને પડકાર્યું હતું તેઓ જ મદદ માટે ભારત પાસે

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઇરાને હોર્મૂઝ ખાડીની નાકાબંધી કરી છે. આ કારણે પશ્ચિમ એશિયામાં અંધાધૂધી ફેલાઈ ગઈ છે. ઘણા દેશોના ઇંધણ પૂરવઠા પર અસર થઈ છે. અત્યાર સુધી તો ભારત હોર્મૂઝ ખાડી દ્વારા ઓઇલ અને ગેસના ટેન્કરો પસાર કરવામાં સફળ રહ્યું છે. જોકે ચીનના ટેકાને કારણે ભારત સાથે દુશ્મનાવટ કરનાર બાંગ્લાદેશ અને માલદીવ જેવા દેશોમાં ઓઇલ અને ગેસની કટોકટી ઘેરી બની છે. આ બંને દેશોને વિશ્વના કોઈ દેશ મદદ કરતા નથી એટલે એમણે હવે મદદ માટે ભારત પાસે આવવું પડયું છે. ભારતના વિદેશ મંત્રાલયે પણ આ બાબતે કબુલાત કરી છે. ભારતની ગણના વિશ્વના ચોથા નંબરના સૌથી મોટા રીફાઇનરી દેશ તરીકે થાય છે. ખાસ કરાર હેઠળ ભારત બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને શ્રીલંકાને ઇંધણ પૂરુ પાડે છે. હવે માલદીવે પણ ભારત પાસે ઇંધણની ભીખ માંગી છે.

જ્યોર્જિયા મેલોની શા માટે સાઉદી અરબની યાત્રાએ

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અચાનક સાઉદી અરબ દેશોના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ કતર અને યુએઇ પણ ગયા હતા. આ પ્રવાસ પહેલેથી નક્કી નહોતો. કોઈપણ યુરોપીય સંઘના નેતાની અમેરિકા - ઇરાન સંઘર્ષ પછી સાઉદી અરબની આ પહેલી યાત્રા છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે આ પ્રવાસનો મુખ્ય હેતુ ઇરાની હુમલાઓનો સામનો કરી રહેલા ખાડી દેશોને ટેકો આપવાનો છે. એમણે સંદેશો આપ્યો છે કે, ઇટલી ખાડી દેશોની સાથે ઉભુ રહ્યું છે. મેલોનીએ જેદ્દા જઈને ત્યાંના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત ખૂબ અગત્યની ગણવામાં આવે છે. ઇરાનના હુમલાઓને કારણે ખાડીના દેશો સંકટનો સામનો કરી રહ્યા છે જેને કારણે ઇટલી ચિંતામાં છે. યુદ્ધ પહેલા કતર ઇટલીનો ૧૦ ટકા એલએનજી પૂરો પાડતું હતું. ઇટલી મધ્ય પૂર્વથી ૧૨ ટકા તેલની આયાત કરે છે.

બંધારણના ચિત્રો બનાવનાર નંદલાલના કુટુંબને ફટકો

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં એસઆઇઆર અભિયાનનો વિવાદ અગ્રક્રમે છે. હવે પશ્ચિમ બંગાળની મતદાર યાદી બાબતે એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. દેશના પ્રસિદ્ધ કલાકાર નંદલાલ બોઝના પૌત્ર સુપ્રબુદ્ધ સેન અને એમના પત્ની દીપા સેનના નામ મતદાર યાદીમાંથી ગાયબ છે. બંનેનો આરોપ છે કે જરૂરી દસ્તાવેજ જમા કરાવ્યા પછી પણ આગામી વિધાનસભા ચૂંટણી માટે તેઓ મતદાન કરી શકશે નહીં. ૮૮ વર્ષના સુપ્રબુદ્ધ સેન અને ૮૨ વર્ષના દીપા સેન હમણા શાંતિનિકેતન ખાતે રહે છે. એમના કહેવા પ્રમાણે શરૂઆતમાં એમના નામ પેન્ડીંગ કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાર પછી ચૂંટણી અધિકારીઓ સમક્ષ તેઓ હાજર થયા હતા અને જરૂરી દસ્તાવેજો જમા પણ કરાવ્યા હતા. દસ્તાવેજોમાં પાસપોર્ટ, પેન્શન રેકોર્ડ, શિક્ષણ પ્રમાણપત્ર તેમજ બીજા જરૂરી કાગળો હતા. સુનાવણી વખતે એમણે બધી જ જરૂરી માહિતી આપી હતી. ચૂંટણી કમિશનના અધિકારીઓ એમના ઘરે પણ આવ્યા હતા ત્યારે પણ એમને જોઈતી તમામ જાણકારી આપવામાં આવી હતી.