India

ત્રણ બહેનોના આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ! કોરિયન ડ્રામાથી એટલી પ્રભાવિત હતી કે નામ પણ બદલી લીધા હતા

By GS TEAM
5 Feb 20262 mins read
TukuTouch Logo
ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારમાં આવેલી ભારત સિટી સોસાયટીમાં ત્રણ સગી બહેનોના સામૂહિક આત્મહત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કિશોરીઓ ભારતીય સંસ્કૃતિ કરતા કોરિયન કલ્ચર અને કે-પોપ (K-Pop) થી એટલી હદે પ્રભાવિત હતી કે તેઓ ભવિષ્યમાં કોઈ કોરિયન છોકરા સાથે જ લગ્ન કરવાની ઈચ્છા ધરાવતી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ત્રણ બહેનોના આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ! કોરિયન ડ્રામાથી એટલી પ્રભાવિત હતી કે નામ પણ બદલી લીધા હતા

Ghaziabad 3 Sister Died Case : ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારમાં આવેલી ભારત સિટી સોસાયટીમાં ત્રણ સગી બહેનોના સામૂહિક આત્મહત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કિશોરીઓ ભારતીય સંસ્કૃતિ કરતા કોરિયન કલ્ચર અને કે-પોપ (K-Pop) થી એટલી હદે પ્રભાવિત હતી કે તેઓ ભવિષ્યમાં કોઈ કોરિયન છોકરા સાથે જ લગ્ન કરવાની ઈચ્છા ધરાવતી હતી.

કોરિયન કલ્ચર અને કે-પોપનું ઘેલું

પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી 8 પાનાની એક ડાયરી મળી આવી છે. આ ડાયરીમાં મૃતક બહેનોએ લખ્યું છે કે તેઓ કોરિયન મૂવીઝ, શોઝ, મ્યુઝિક અને યુટ્યુબર્સથી ખૂબ જ પ્રભાવિત હતી. તેમને કોરિયન કલ્ચર એટલું પસંદ હતું કે તેમનો પરિવાર પણ આ બાબતે ચિંતિત હતો. ડાયરીમાં એ પણ સામે આવ્યું છે કે તેઓ કોઈ કોરિયન યુવક સાથે લગ્ન કરવાની તમન્ના રાખતી હતી.

મોબાઈલ એડિક્શન અને આત્મહત્યાનું કારણ

ડીસીપી નિમિષ પાટિલના જણાવ્યા અનુસાર, 16 વર્ષીય નિશિકા, 14 વર્ષીય પ્રાચી અને 12વર્ષીય પાખીને મોબાઈલની લત લાગી ગઈ હતી. આ આદત વધી જતાં પરિવારે તેમનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. ડાયરીમાં લખ્યા મુજબ, તેઓ કોરિયન કલ્ચરથી આ દૂરી સહન કરી શકી નહોતી અને અંતે મંગળવારે મધરાત્રે 2 વાગ્યે એક-એક કરીને નવમા માળેથી પડતું મૂકી દીધું હતું. જોકે, પોલીસે સ્પષ્ટતા કરી છે કે પ્રાથમિક તપાસમાં કોઈ 'ઓનલાઇન ટાસ્ક બેઝ્ડ ગેમ' કે 'કોરિયન લવ ગેમ' ના પુરાવા મળ્યા નથી.

પરિવારની સ્થિતિ અને પોલીસ તપાસ

આ કેસમાં એવું પણ બહાર આવ્યું છે કે પિતા ચેતને બે લગ્ન કર્યા હતા અને બીજી પત્ની તેની સગી સાળી હતી. બંને પત્નીઓથી પાંચ સંતાનો હતા, જેમાંથી ત્રણ પુત્રીઓએ જીવન ટૂંકાવ્યું છે. પોલીસે એક પાનાની સુસાઈડ નોટ પણ કબજે કરી છે જેમાં 'મમ્મી પપ્પા સોરી' લખ્યું છે. હાલ ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને બાળકોના મોબાઈલ તથા ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સીઝ કરવામાં આવ્યા છે.

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા' (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.