India

રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી

By GS Team
8 Jun 20263 mins read
TukuTouch Logo
રાજસ્થાન કોંગ્રેસના બે ટોચના નેતાઓ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો જૂનો રાજકીય વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે. બંને નેતાઓ વચ્ચે વધતા તણાવને પગલે ભારતીય જનતા પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે. રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડે સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસના આંતરિક રાજકારણ કે નેતૃત્વના વિવાદમાં ભાજપની કોઈ ભૂમિકા નથી. તેમણે ગેહલોત અને પાયલટને સલાહ આપી છે કે તેઓ પોતાના મતભેદો સોશિયલ મીડિયા કે જાહેરમાં લાવવાને બદલે પરસ્પર ચર્ચા દ્વારા ઉકેલે અને આ લડાઈમાં વિરોધ પક્ષોને ન ઘસેડે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી
(IMAGE - IANS)

Gehlot vs Pilot: રાજસ્થાન કોંગ્રેસના બે ટોચના નેતાઓ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો જૂનો રાજકીય વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે. બંને નેતાઓ વચ્ચે વધતાં તણાવને પગલે ભારતીય જનતા પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે. રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડે સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસના આંતરિક રાજકારણ કે નેતૃત્વના વિવાદમાં ભાજપની કોઈ ભૂમિકા નથી. તેમણે ગેહલોત અને પાયલટને સલાહ આપી છે કે તેઓ પોતાના મતભેદો સોશિયલ મીડિયા કે જાહેરમાં લાવવાને બદલે પરસ્પર ચર્ચા દ્વારા ઉકેલે અને આ લડાઈમાં વિરોધ પક્ષોને ન ઘસેડે.

રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા જૂના વિવાદો જીવતા કરાયા: ભાજપ

રવિવારે અશોક ગેહલોતે વર્ષ 2022માં રાજસ્થાન કોંગ્રેસમાં સર્જાયેલી આંતરિક કટોકટી અને સચિન પાયલટની ભૂમિકા અંગે ફરીથી જાહેરમાં આકરા પ્રહારો કર્યા હતા. આ અંગે પ્રતિક્રિયા આપતાં ભાજપના પ્રદેશ પ્રમુખ મદન રાઠોડે આક્ષેપ કર્યો કે, ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા અશોક ગેહલોત જેવા વરિષ્ઠ નેતાએ જાહેરમાં નિવેદનો આપતી વખતે સંયમ રાખવો જોઈએ. કોંગ્રેસ હાઇકમાન્ડ સામે પોતાની રાજકીય પ્રાસંગિકતા અને વર્ચસ્વ જાળવી રાખવા માટે ગેહલોત જાણીજોઈને જૂના વિવાદોને હવા આપી રહ્યા છે જેથી મીડિયાનું ધ્યાન આકર્ષિત કરી શકાય.

વર્ષ 2022ના હાઇવોલ્ટેજ ડ્રામા પર ગેહલોતનો ખુલાસો

જયપુરના કન્સ્ટિટ્યુશન ક્લબમાં બોલતા અશોક ગેહલોતે 25 સપ્ટેમ્બર, 2022ના એ હાઇવોલ્ટેજ રાજકીય ડ્રામા પર ફરીથી ચર્ચા છેડી હતી, જ્યારે સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાની અટકળો વચ્ચે ગેહલોત જૂથના ધારાસભ્યોએ બળવો કર્યો હતો. પોતાનો બચાવ કરતાં ગેહલોતે દલીલ કરી હતી કે, તે સમયે કોંગ્રેસના ધારાસભ્યોનો બળવો કોંગ્રેસ હાઇકમાન્ડ સામે નહોતો, પરંતુ સચિન પાયલટને મુખ્યમંત્રી બનતા રોકવા માટેનો હતો. ગેહલોતે સવાલ ઉઠાવ્યો કે, 'જો મેં હાઇકમાન્ડ સામે બળવો કર્યો હોત, તો શું હું મુખ્યમંત્રી પદ પર ટકી શક્યો હોત?'

પાયલટે ભૂલો સ્વીકારી નહીં, 'ભૂલો અને માફ કરો'ની નીતિ નિષ્ફળ

અશોક ગેહલોતે આક્ષેપ કર્યો છે કે સચિન પાયલટે ભૂતકાળમાં કરેલી પોતાની ભૂલો સ્વીકારવાનો સતત ઇન્કાર કર્યો છે. તેમણે વર્ષ 2020ના માનેસરમાં થયેલા પાયલટ જૂથના બળવાને યાદ કરતાં કહ્યું કે, જો પાયલટે સમાધાનના પ્રયાસો સ્વીકારી લીધા હોત તો આ વિવાદ વર્ષો પહેલા જ ખતમ થઈ ગયો હોત. ગેહલોતે વધુમાં દાવો કર્યો કે તેમણે પાયલટને રાષ્ટ્રીય રાજકારણમાં આગળ વધારવા અને કેન્દ્રીય મંત્રી બનાવવા માટે ઘણી મદદ કરી હતી, પરંતુ આ અહેસાનનો ક્યારેય જાહેરમાં સ્વીકાર કરવામાં આવ્યો નથી. પરસ્પરની ગેરસમજણોએ સંબંધોને મોટું નુકસાન પહોંચાડ્યું છે.

આ પણ વાંચો: મમતાની તૃણમૂલ કોંગ્રેસને મોટો ઝટકો, રાજ્યસભા સાંસદ રોયે રાજીનામુ ધર્યું, TMC પર આરોપ મૂક્યા

કોંગ્રેસ પ્રમુખ બનવાની ગેહલોતની ઇચ્છા?

રાજસ્થાનમાં ભાજપ સામે સત્તા ગુમાવ્યા બાદ કોંગ્રેસ જ્યારે ફરી બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે જ ગેહલોત અને પાયલટની આ જૂની લડાઈ પક્ષના કાર્યકરો માટે ચિંતાનો વિષય બની છે. કોંગ્રેસના આંતરિક વર્તુળો અને કાર્યકરોના જણાવ્યા અનુસાર, આ રાજકીય નિવેદનબાજી પાછળનું અસલી કારણ એ છે કે અશોક ગેહલોત ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ બનવાની ઇચ્છા ધરાવી રહ્યા છે, જેના કારણે તેઓ રાજસ્થાનના રાજકારણમાં પોતાનો પ્રભાવ ઓછો થવા દેવા માંગતા નથી.