Get The App

પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ ઘટશે ! હોર્મુઝ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, કાલે દહેજ પહોંચશે ‘LNG જહાજ’

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ ઘટશે ! હોર્મુઝ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, કાલે દહેજ પહોંચશે ‘LNG જહાજ’ 1 - image

India LPG Supply News : મિડલ ઈસ્ટમાં જારી તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર બનેલી અનિશ્ચિતતા વચ્ચે ભારત માટે ખુશીના સમાચાર આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટે ગુરુવારે 14 સુત્રીય શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમજૂતી હેઠળ સીઝફાયર વધારવા, હોર્મુઝ સ્ટ્રેટથી શિપિંગ ટ્રાન્ઝિટ ફરી શરૂ કરવા અને ઈરાન પરના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લેવાયો છે. ફેબ્રુઆરીથી ચાલી રહેલા આ યુદ્ધના કારણે ભારતને તેલ અને ગેસની અછત તેમજ મોંઘવારીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે રસ્તો ખુલતા જ સ્થિતિ સુધરી રહી છે.

ભારત તરફ રવાના થયા ગેસના જહાજો

શિપિંગ મંત્રાલયના ડાયરેક્ટર ઓપેશ કુમાર શર્માએ જણાવ્યું કે ‘દિશા’ નામનું એક મોટું ગેસ જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ચૂક્યું છે. આ જહાજ પર 62,370 મીટ્રિક ટન લિક્વિડ નેચરલ ગેસ (LNG) છે, જે શુક્રવારે (19 જૂન 2026) ગુજરાતના દહેજ પોર્ટ પર પહોંચી જશે. અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતી બાદ હોર્મુઝના રસ્તે ભારત આવનારું આ પહેલું મોટું LNG જહાજ છે, જેનાથી દેશમાં કુદરતી ગેસની સપ્લાયમાં મોટી રાહત મળશે. આ ઉપરાંત, રસ્તો ખુલતાની સાથે જ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને 40 જેટલા જહાજો ભારત તરફ રવાના થયા છે, જે કરોડો ઘરોમાં ગેસની સમસ્યાનું સમાધાન કરશે.

આ પણ વાંચો : ટ્રમ્પને મોટો ઝટકો: ખાસ ગણાતા કેવીન વોર્શે કરી નાખ્યો મોટો ખેલ, અમેરિકાની મુશ્કેલી વધવાના સંકેત

ભારતીય નાવિકોની સુરક્ષા માટે સરકારના પગલાં

બીજી તરફ, સરકાર મિડલ ઈસ્ટની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. પીએમ મોદીએ જી7 બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સમક્ષ ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. મંત્રાલયે નાવિકોની મદદ માટે ખાસ કંટ્રોલ રૂમ બનાવ્યો છે, જેમાં છેલ્લા 72 કલાકમાં 450 કોલ અને 1,077 ઈમેઈલ આવ્યા છે. સરકારે અત્યાર સુધીમાં 3,639 થી વધુ ભારતીય નાવિકોને સુરક્ષિત પરત લાવ્યા છે, જેમાંથી 47 નાવિકોને છેલ્લા 3 દિવસમાં જ લાવવામાં આવ્યા છે.

દેશમાં ઈંધણની સપ્લાય અને વર્તમાન સ્થિતિ

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને LPG ની સપ્લાય હાલ સ્થિર છે અને રિફાઈનરીઓ સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે. દેશમાં LPGનો બેકલોગ ઘટીને હવે માત્ર 3.1 દિવસ રહી ગયો છે. સાથે જ, 9.94 લાખ નવા ગ્રાહકોએ PNG સેવાઓ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મંત્રાલયે નાગરિકોને પોતાની વાસ્તવિક જરૂરિયાત મુજબ જ ઈંધણ ખરીદવા અને તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે.

નોંધનીય છે કે, વીતેલા દિવસોમાં આ યુદ્ધના કારણે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ભારે વધારો થયો હતો, પરંતુ હવે હોર્મુઝ સ્ટ્રેટ ખુલતાની સાથે જ કિંમતો ફરી ઘટવાની અને આમ જનતાને મોંઘવારીમાંથી રાહત મળવાની આશા સેવાઈ રહી છે.

આ પણ વાંચો : યુક્રેનનો રશિયા પર 500થી વધુ ડ્રોનથી હુમલો, મોસ્કોની ઓઈલ રિફાઈનરી પણ ભડકે બળી