FSSAIનો મોટો નિર્ણય: ફૂડ પેકેજિંગમાં સ્ટેપલ પિનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ, નિયમ તોડ્યા તો થશે કડક કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

FSSAI Bans Staple Pins Food Packaging : જો તમે હોટલ, રેસ્ટોરન્ટ, બેકરી, મીઠાઈની દુકાન કે ઓનલાઈન ફૂડ ડિલિવરી જેવા ખાદ્ય વ્યવસાય (Food Business) સાથે જોડાયેલા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ ગ્રાહકોની સુખાકારી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. હવેથી ખાવા-પીવાની વસ્તુઓના પેકિંગમાં સ્ટેપલ પિન અથવા મેટલના તાર (ધાતુના તાર)નો ઉપયોગ કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવાયો છે.
FSSAIના ધ્યાન પર આવ્યું હતું કે, ડેકોરેટિવ કેક, મીઠાઈના બોક્સ, સ્નેક્સના પાઉચ, હોટલના પાર્સલ અને ઓનલાઈન ડિલિવરી થતા ફૂડ પેકેટોને સીલ કરવા માટે મોટા પાયે સ્ટેપલ પિન અને મેટલ વાયરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ગ્રાહકોની સુરક્ષા માટે ગંભીર જોખમ ઉભું કરે છે.
ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ
ખાદ્ય નિયામક (FSSAI)ના જણાવ્યા અનુસાર, દેશમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં કેક અને ખાવાના પેકેટોની અંદરથી સ્ટેપલ પિન અથવા ધાતુના નાના ટુકડા મળી આવ્યા છે.
આંતરિક ઈજાનું જોખમ: ગ્રાહકો અજાણતામાં ખોરાક સાથે આ ધાતુની વસ્તુઓ ખાઈ શકે છે, જેના કારણે તેમને ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી શકે છે, અથવા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે.
તંત્રની કડક સૂચના : આ ગંભીર જોખમને રોકવા માટે FSSAI એ તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ ઓપરેટરોને આદેશ આપ્યો છે કે, તેઓ કોઈપણ ખાદ્ય સામગ્રી, બેકરી પ્રોડક્ટ કે ફૂડ પાર્સલને સીલ કરવા અથવા પેક કરવા માટે મેટલ પિન અને તારનો ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરી દે.

નિયમ તોડવા બદલ થશે કડક જેલ-દંડની જોગવાઈ
FSSAI એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ગ્રાહકોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ પણ ફૂડ બિઝનેસ ઓપરેટર આ કડક નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેની સામે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006' (Food Safety and Standards Act, 2006) અને તેના હેઠળ બનેલા નિયમોની કાનૂની જોગવાઈઓ અનુસાર કડક દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ મહત્વપૂર્ણ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં ફૂડ સેફ્ટીના ધોરણોને વધુ મજબૂત બનાવવાનો અને ગ્રાહકોને પેકેજિંગના કારણે થતા બિનજરૂરી જોખમોથી સુરક્ષિત રાખવાનો છે.









