- સુપ્રીમે પોતાના ચુકાદામાં સુધારા અંગેની ૬૫ અરજી ફગાવી
- શિક્ષકો માટે ટેટ પાસ કરવી ફરજિયાત, રાજ્યો તમામ લાયક ઉમેદવારોને યોગ્ય તક આપે : સુપ્રીમના આદેશ
નવી દિલ્હી : ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટને પાસ કરવી ફરજિયાત છે તેવી સ્પષ્ટતા કરતા સુપ્રીમ કોર્ટે ટેટની સમય મર્યાદા વધારીને ૩૧ ઓગસ્ટ ૨૦૨૮ કરી આપી હતી. વિવિધ રાજ્ય સરકારો, શિક્ષકોના મંડળો કે વ્યક્તિગત થયેલી આશરે ૬૫ જેટલી રિવ્યૂ પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને અગાઉનો પોતાનો ચુકાદો યોગ્ય ઠેરવ્યો હતો.
આ પહેલા ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આરટીઇનો અમલ થયો તે પહેલા સેવામાં લાગેલા અને જેની સેવાના પાંચ વર્ષ કે તેથી વધુનો સમય બાકી રહ્યો હોય તેમના માટે ટેટ પાસ કરવી ફરજિયાત રહેશે, જે માટે સમય મર્યાદા ૧ સપ્ટેમ્બર ૨૦૨૫થી બે વર્ષ નક્કી કરવામાં આવી હતી. આ સમયગાળામાં સુપ્રીમ કોર્ટે એક વર્ષનો વધારો કરી આપ્યો છે. જેને કારણે લાખો શિક્ષકોને ફાયદો થઇ શકે છે.
જોકે બીજી તરફ પોતાના અગાઉના ચુકાદા સામે થયેલી ૬૫ જેટલી રિવ્યૂ પિટિશનોને ફગાવી દેતા અરજદારોમાં નિરાશા પણ જોવા મળી હતી. અગાઉ ૩૧ ઓગસ્ટ ૨૦૨૭ની સમય મર્યાદા જાહેર કરાઇ હતી તેમાં એક વર્ષનો વધારો કરીને ૩૧ ઓગસ્ટ ૨૦૨૮ની તારીખ જાહેર કરવામાં આવી છે. હવે પછી આ સમય મર્યાદામાં કોઇ જ વધારો કરવામાં નહીં આવે તેવી પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી. થોડા દિવસો પહેલા જ દિલ્હીના રામલીલા મેદાનમાં ઉત્તર પ્રદેશના હજારો શિક્ષકો દ્વારા ફરજિયાત ટેટના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાજ્યોને અને પ્રશાસનને આદેશ આપ્યો છે કે તેઓ વર્ષમાં બે વખત ટેટનું આયોજન કરે જેમાં છ મહિનાનું અંતર રાખવાનું રહેશે. એટલે કે હવેથી રાજ્યોએ ફરજિયાત વર્ષમાં બે વખત ટેટની પરીક્ષા યોજવાની રહેશે. કે જેથી લાયક શિક્ષકોને યોગ્ય તક મળી શકે.


