માતોશ્રીની બેઠક છોડીને દિલ્હીમાં 'ચા-પાણી'! મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના સંકેત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદો પક્ષ બદલશે તેવી અટકળો વચ્ચે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ઉદ્ધવ જૂથના એક સાંસદ અને એકનાથ શિંદે જૂથના કેન્દ્રીય મંત્રી વચ્ચે દિલ્હીમાં થયેલી મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે.
'માતોશ્રી'ની મહત્ત્વની બેઠક અને સાંસદોની ગેરહાજરી
અહેવાલો અનુસાર, તાજેતરમાં જ પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે દ્વારા મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાન 'માતોશ્રી' ખાતે સાંસદોની એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે સેના પાસે હાલમાં લોકસભાના કુલ 9 સાંસદો છે. જોકે, આ બેઠકમાં માત્ર 4 સાંસદો જ રૂબરૂ હાજર રહ્યા હતા. જ્યારે બાકીના 5 સાંસદો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હોવાનો દાવો પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો. આ આંકડાએ પક્ષમાં બધું બરાબર ન હોવાની ચર્ચાઓને વેગ આપ્યો છે.
દિલ્હીમાં મુલાકાત અને નવી અટકળો
અહેવાલો અનુસાર, યવતમાલ-વાશિમ બેઠકના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય દેશમુખ માતોશ્રીની બેઠકમાં રૂબરૂ જવાને બદલે દિલ્હી પહોંચ્યા હતા. તેમણે દિલ્હીમાં શિંદે સેનાના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રતાપ જાધવ સાથે મુલાકાત કરી હતી. સંજય દેશમુખે માતોશ્રીની બેઠકમાં દિલ્હીથી જ ઓનલાઈન હાજરી આપી હતી.
આ મુલાકાત અંગે કેન્દ્રીય મંત્રી પ્રતાપ જાધવે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, 'સંજય દેશમુખ યવતમાળ જિલ્લામાં એક શૈક્ષણિક સંસ્થા ધરાવે છે. તેમને સંસ્થાના કામકાજ અંગે થોડી માહિતી જોઈતી હતી. હું દિલ્હીમાં હોવાથી તેઓ સવારે અહીં આવ્યા હતા. અમે સાથે ચા પીધી અને સામાન્ય વાતચીત કરી હતી.' જાધવે આને એક નિયમિત અને બિન-રાજકીય મુલાકાત ગણાવી હતી.
શું ઉદ્ધવ જૂથના 7 સાંસદો પક્ષ છોડશે?
રાજકીય વર્તુળોમાં વહેતી થયેલી ચર્ચાઓ મુજબ, ઉદ્ધવ ઠાકરે સેનાના 9 માંથી 7 સાંસદો શિંદે જૂથના સંપર્કમાં છે અને તેઓ ટૂંક સમયમાં પક્ષ બદલી શકે છે. જોકે, આ અટકળોને ઉદ્ધવ જૂથના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે સખત શબ્દોમાં નકારી કાઢી છે. રાઉતે આ તમામ ચર્ચાઓને માત્ર 'અફવા' ગણાવીને ઉમેર્યું હતું કે પક્ષના વડા તમામ સાંસદો સાથે સતત સંપર્કમાં છે.
પક્ષપલટા વિરોધી કાયદાનું ગણિત
મહારાષ્ટ્રના રાજકીય નિષ્ણાતોના મતે, જો ઉદ્ધવ જૂથના સાંસદોએ ગેરલાયક ઠરવામાંથી બચવું હોય, તો પક્ષપલટા વિરોધી કાયદા મુજબ કુલ 9 માંથી ઓછામાં ઓછા 6 સાંસદોએ એકસાથે અલગ થવું પડે. આ શરત પૂરી કર્યા પછી જ તેઓ કાયદાકીય રીતે બીજા કોઈ પક્ષમાં ભળી શકે તેમ છે. હાલ પૂરતું તો કોઈ સાંસદે સત્તાવાર રીતે પક્ષ બદલવાની જાહેરાત કરી નથી, પરંતુ દિલ્હીમાં થયેલી આ 'ચા-પાણી'ની મુલાકાતે મહારાષ્ટ્રના રાજકારણમાં આગામી દિવસોમાં મોટો ગરમાવો લાવી દીધો છે.









