આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર પત્નીને ગુજરાન ભથ્થું ન આપી શકાય: દિલ્હી હાઈકોર્ટ

Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે આર્થિક રીતે સ્વતંત્ર અને સક્ષમ જીવનસાથી કાયમી ભરણપોષણ (Permanent Alimony) મેળવવા માટે હકદાર નથી. કોર્ટે જણાવ્યું હતું કે 'ભરણપોષણ એ સામાજિક ન્યાયનું માપદંડ છે, સક્ષમ વ્યક્તિઓ વચ્ચે સંપત્તિ કે નાણાકીય સમાનતા બનાવવાનું સાધન નથી.'
ન્યાયાધીશ અનિલ ક્ષેત્રપાલ અને ન્યાયાધીશ હરીશ વૈદ્યનાથન શંકરની બેન્ચે આ ટિપ્પણી કરી હતી જ્યારે તેમણે એક પ્રેક્ટિસિંગ વકીલ (પતિ) અને ભારતીય રેલવે ટ્રાફિક સર્વિસ (IRTS)માં ગ્રુપ A અધિકારી (પત્ની)ના છૂટાછેડાના કેસમાં ભરણપોષણની માંગને ફગાવી દીધી હતી.
નાણાકીય જરૂરિયાત સાબિત કરવી અનિવાર્ય
હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'કાયદા મુજબ, ભરણપોષણ ભથ્થું માંગતી વ્યક્તિએ વાસ્તવિક નાણાકીય જરૂરિયાત સાબિત કરવી પડશે. બેન્ચે નોંધ્યું હતું કે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 25 હેઠળ ન્યાયિક વિવેકાધિકારનો ઉપયોગ અરજદાર આર્થિક રીતે સ્વતંત્ર હોય ત્યાં ભરણપોષણ આપવા માટે કરી શકાતો નથી. વિવેકબુદ્ધિનો ઉપયોગ પક્ષકારોના રેકોર્ડ, નાણાકીય ક્ષમતા અને અરજદારની આર્થિક નબળાઈ દર્શાવતા પુરાવાઓના આધારે ન્યાયી અને સંતુલિત રીતે થવો જોઈએ.'
શું છે મામલો
પતિ અને પત્નીના લગ્ન જાન્યુઆરી 2010માં થયા હતા અને લગ્નના માત્ર 14 મહિનાની અંદર જ તેઓ અલગ થઈ ગયા હતા. પતિએ પત્ની પર માનસિક અને શારીરિક ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો, જેમાં મૌખિક દુર્વ્યવહાર, અપમાનજનક સંદેશાઓ અને વ્યાવસાયિક તેમજ સામાજિક ક્ષેત્રોમાં અપમાનનો સમાવેશ થાય છે. ફેમિલી કોર્ટે અગાઉ લગ્ન ભંગ કરતા નોંધ્યું હતું કે પત્નીએ છૂટાછેડા માટે 50 લાખ રૂપિયાના નાણાકીય વળતરની માંગણી કરી હતી, જેનો તેણે સોગંદનામા અને ઉલટતપાસમાં સ્વીકાર કર્યો હતો.
આ પણ વાંચો: બિહાર ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી જાહેર, 54 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત
પત્નીનું આચરણ અને નાણાકીય સ્વતંત્રતા
દિલ્હી હાઈકોર્ટે ફેમિલી કોર્ટના છૂટાછેડાના તારણમાં દખલ કરવાનો ઈનકાર કર્યો હતો. હાઈકોર્ટના મતે, પત્ની દ્વારા પતિ અને તેના માતા-પિતા સામે અપશબ્દોનો ઉપયોગ માનસિક ક્રૂરતા સમાન હતો. કેસના સમગ્ર સંજોગોને ધ્યાનમાં લેતા, કોર્ટે નોંધ્યું કે, 'પતિ-પત્નીનો સહવાસ ટૂંકા ગાળાનો હતો. તેમને કોઈ સંતાન નહોતું. પત્ની એક વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે આર્થિક રીતે સંપૂર્ણ સ્વતંત્ર છે.'
કોર્ટે આખરી નિર્ણય આપતા જણાવ્યું હતું કે, 'સમગ્ર સંજોગો, નાણાકીય સ્વતંત્રતાનો અભાવ અને નાણાકીય જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, કાયમી ભરણપોષણ માટે કોઈ આધાર નથી. તેથી, કૌટુંબિક કોર્ટનો નિર્ણય દખલગીરીને પાત્ર નથી.' આ ચુકાદો આર્થિક રીતે સક્ષમ જીવનસાથીઓ દ્વારા ભરણપોષણની માંગણી અંગેના કાયદાકીય માપદંડોને વધુ સ્પષ્ટ કરે છે.