Explainer: ‘વંદે માતરમ’ને પણ રાષ્ટ્રગાનની જેમ કાયદાનું રક્ષણ, અપમાન કરનારાને જેલ, જાણો નવો કાયદો શું કહે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

New Laws of Vande Matram: ભારતની આઝાદીની લડાઈમાં જે નારાએ કરોડો દેશવાસીઓમાં દેશભક્તિનો સંચાર કર્યો હતો, તે 'વંદે માતરમ્' ફરી એકવાર દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં છે. સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) દ્વારા 'રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026' પસાર કરવામાં આવ્યું છે. આ બિલનો મુખ્ય હેતુ 'વંદે માતરમ્'ને એ જ કાનૂની રક્ષણ આપવાનો છે, જે અત્યાર સુધી માત્ર રાષ્ટ્રગીત 'જન ગણ મન' અને રાષ્ટ્રધ્વજને મળતું હતું. ચાલો, આ નવા કાયદાની વિગતો અને તેનાથી સામાન્ય નાગરિકો પર શું અસર પડશે તે સમજીએ.
અત્યાર સુધી શું સ્થિતિ હતી?
‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ, 1971’ હેઠળ રાષ્ટ્રધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગીતનું અપમાન કરવું એ સજાપાત્ર ગુનો ગણાતો હતો. જોકે, દેશનું રાષ્ટ્રીય ગાન હોવા છતાં ‘વંદે માતરમ્’ને આ કાયદા હેઠળ સ્પષ્ટ કાનૂની સુરક્ષા મળી ન હતી. આ ખામીને દૂર કરવા માટે જ વર્ષ 2026નું આ નવું સુધારા બિલ લાવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ સુધારો દેશભરમાં અમલી બનશે.
નવા કાયદાથી શું બદલાશે?
આ કાયદા હેઠળ બિલની કલમ 3 માં સુધારો કરવામાં આવ્યો છે. હવે રાષ્ટ્રગીતની સાથે 'વંદે માતરમ્'નો પણ તેમાં સમાવેશ કરી લેવાયો છે.
કોની સામે કાર્યવાહી થઈ શકે?
- જે વ્યક્તિ જાણીજોઈને વંદે માતરમ્ ગાવામાં અવરોધ ઊભો કરે.
- જાહેરમાં આ ગીતનું અપમાન કે અનાદર કરે.
- કોઈ કાર્યક્રમ દરમિયાન ઇરાદાપૂર્વક હંગામો મચાવે.
કેવી સજા થઈ શકે?
- પહેલી વાર: 'વંદે માતરમ્'નું અપમાન કરવા બદલ વધુમાં વધુ 3 વર્ષની જેલ, દંડ અથવા બંને થઈ શકે છે.
- બીજી કે વારંવાર ભૂલ કરવા પર: કલમ 3A હેઠળ ઓછામાં ઓછી 1 વર્ષની ફરજિયાત જેલની સજાની જોગવાઈ છે.
શું વંદે માતરમ્ ગાવું ફરજિયાત છે?
સરકારના સ્પષ્ટટીકરણ મુજબ, આ કાયદો કોઈને પણ વંદે માતરમ્ ગાવા માટે દબાણ કરતો નથી.
ગાવાનો નકાર અને અપમાન વચ્ચે તફાવત: માત્ર ન ગાવું અને જાણીજોઈને અનાદર કરવો, એ બંને વચ્ચે કાનૂની તફાવત છે.
સુપ્રીમ કોર્ટનો 1986નો નિર્ણય: 1986માં સુપ્રીમ કોર્ટે બંધારણના અનુચ્છેદ 19(1)(A) અને 25(1)ના સંદર્ભમાં ચુકાદો આપ્યો હતો કે જો કોઈ વ્યક્તિની ધાર્મિક માન્યતાઓ તેમને ગીત ગાવાથી રોકે છે, પરંતુ તેઓ આદરપૂર્વક શાંતિથી ઊભા રહે છે અને કોઈ અવરોધ નથી ઊભો કરતા, તો તેમને દોષી ગણી શકાય નહીં.
નવા બિલની મુખ્ય માર્ગદર્શિકાઓ
- 'વંદે માતરમ્'ના બધા જ 6 શ્લોકો સંપૂર્ણ રીતે ગાવાના રહેશે.
- આ ગીત પૂર્ણ કરવાનો સમય 3 મિનિટ અને 10 સેકન્ડ નક્કી કરાયો છે.
- શાળાઓમાં સવારની સભા પહેલાં વંદે માતરમ્ ગાવું અને વિદ્યાર્થીઓએ આદરપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરીને ઊભા રહેવું આવશ્યક રહેશે.
'વંદે માતરમ્'નો ઐતિહાસિક પ્રવાસ
- વંદે માતરમ્ માત્ર એક ગીત નથી પરંતુ ભારતની આઝાદીના ઇતિહાસનો મહત્ત્વનો ભાગ છે.
- લેખક: બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય (તેમની 'આનંદમઠ' નવલકથામાંથી).
- 1875: પ્રથમ વખત રચના થઈ.
- 1882: 'આનંદમઠ' નવલકથામાં સમાવેશ.
- 1896: રવીન્દ્રનાથ ટાગોરના સંગીત સાથે કોંગ્રેસના અધિવેશનમાં પ્રથમવાર જાહેર ગાન.
- 1905: સ્વદેશી આંદોલનનું મુખ્ય સૂત્ર બન્યું.
- 1907: મેડમ ભીકાજી કામાએ જર્મનીના બર્લિનમાં લહેરાવેલા ભારતીય ધ્વજ પર ‘વંદે માતરમ્’ લખાયેલું હતું.
- 1909: મદન લાલ ઢીંગરાએ ફાંસીના મંચ પર અંતિમ શબ્દો ‘વંદે માતરમ્’ કહ્યા હતા.
- 1909: પેરિસમાં રહેતા ભારતીયોએ જીનીવાથી ‘વંદે માતરમ્’ નામનું મેગેઝિન શરૂ કર્યું.
- 1912: સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ગોપાલ કૃષ્ણ ગોખલેનું સ્વાગત આ જ શબ્દોથી થયું હતું.
- 1950: બંધારણ સભાએ 'જન ગણ મન'ને રાષ્ટ્રગાન અને 'વંદે માતરમ્'ને રાષ્ટ્ર ગીત (National Song) તરીકે સ્વીકાર્યું.









