India

Explainer: ભારતમાં મોંઘવારીનો મહા-બોમ્બ ફૂટવાના એંધાણ, જાણો WMOએ કેમ આપી ચેતવણી!

By GS Team
16 Sep 20264 mins read
TukuTouch Logo
ભારતમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો બોજ આવી રહ્યો છે. અલ નીનોને કારણે વરસાદની અછતથી ચોખા જેવા ખરીફ પાકોના વાવેતરમાં 16.05 લાખ હેક્ટરનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ $119.69 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. આ બંને પરિબળોને લીધે આગામી સમયમાં ખાદ્યપદાર્થો અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં મોટો ઉછાળો આવશે, જે મોંઘવારીમાં વધારો કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: ભારતમાં મોંઘવારીનો મહા-બોમ્બ ફૂટવાના એંધાણ, જાણો WMOએ કેમ આપી ચેતવણી!

El Nino and Crude Oil Price Hike to Fuel Inflation in India : મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય માણસ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એક બાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, તો બીજી બાજુ દેશમાં વરસાદની અછતને કારણે ચોખા જેવા મહત્ત્વના પાકના વાવેતરમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ બંને પરિબળો ભેગા મળીને દેશમાં ફુગાવાની (મોંઘવારીની) એક નવી લહેર લાવી શકે છે. ચાલો સમજીએ કે આખી સ્થિતિ શું છે અને તેની આપણા ખિસ્સા પર શું અસર પડશે.

વરસાદની ખેંચ વચ્ચે ચોમાસાની વિદાય

ભારતીય હવામાન વિભાગના જણાવ્યાનુસાર, 19 સપ્ટેમ્બર 2026 થી પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું વિધિવત વિદાય લેવાનું શરૂ કરશે. 3 જૂનથી શરૂ થયેલી ચોમાસાની સિઝન હવે આખરી તબક્કામાં છે. જોકે, આ વર્ષે મેઘરાજાએ ભારે નિરાશ કર્યા છે. 1 જૂનથી 14 સપ્ટેમ્બર સુધીના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સરેરાશ કરતાં 15% ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી ખરાબ હાલત દક્ષિણ ભારતના રાજ્યોની છે, જ્યાં સરેરાશ કરતાં 28% ઓછો વરસાદ પડ્યો છે. જ્યારે પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં પણ 25% વરસાદની ઘટ જોવા મળી છે.

અલ નીનોએ ખેતીને પહોંચાડ્યું મોટું નુકસાન

વરસાદ ઓછો પડવા પાછળનું મુખ્ય કારણ 'અલ નીનો' છે. પ્રશાંત મહાસાગરમાં સક્રિય અલ નીનોની સ્થિતિ અત્યારે ખૂબ મજબૂત છે અને આગામી દિવસોમાં તે વધુ વિકરાળ બને તેવી શક્યતા છે. ઓછો વરસાદ થવાથી સીધી ચોટ ખેતી પર પડી છે. કૃષિ મંત્રાલયના ડેટા મુજબ, 11 સપ્ટેમ્બર 2026 સુધીમાં દેશભરમાં ખરીફ પાકોનું વાવેતર ગયા વર્ષની સરખામણીમાં 16.05 લાખ હેક્ટર જેટલું ઘટી ગયું છે.

સૌથી મોટો ફટકો ચોખાના પાક પર પડશે

આ ખેંચની સૌથી આકરી અસર ચોખાના પાક પર પડી છે. ચોખાના વાવેતરમાં 16.97 લાખ હેક્ટર (એટલે કે 3.82%) નો ઘટાડો થયો છે. સીધી વાત છે કે વાવેતર ઘટશે એટલે ઉત્પાદન ઘટશે અને બજારમાં ચોખાની અછત ઊભી થશે, જેનાથી આવનારા દિવસોમાં તેના ભાવ વધવા નક્કી છે.

જથ્થાબંધ મોંઘવારીના આંકડામાં ઉછાળો

ખેતીની આ કથળેલી સ્થિતિ વચ્ચે દેશમાં જથ્થાબંધ મોંઘવારી પણ સતત વધી રહી છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા મુજબ (જેમાં 2022-23 ને બેઝ યર ગણવામાં આવ્યું છે), ઓગસ્ટ 2026 માં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) નો ફુગાવાનો દર 9.92 ટકા પર પહોંચી ગયો છે, જે જુલાઈમાં 9.78 ટકા હતો.
ખાસ કરીને ખાવાપીવાની વસ્તુઓમાં મોંઘવારી વકરી છે. ફૂડ ઇન્ડેક્સનો ફુગાવાનો દર જુલાઈ 2026 માં 6.65 ટકા હતો, જે ઓગસ્ટ 2026 માં વધીને 7.05 ટકા થઈ ગયો છે. ખનિજ તેલ, ખાદ્ય વસ્તુઓ, ધાતુઓ અને રસાયણોના ભાવ વધવાથી મોંઘવારીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે.

ક્રૂડ ઓઈલના ભડકે બળતા ભાવ

ખાવાપીવાની વસ્તુઓ ઉપરાંત પેટ્રોલિયમ પેદાશો પણ મોંઘી થઈ રહી છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલી અનિશ્ચિતતા અને તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે. સરકારી ડેટા મુજબ, ફ્યુઅલ અને પાવર સેક્ટરમાં ફુગાવાનો દર 20.05 ટકાથી ઉછળીને 22.93 ટકા થઈ ગયો છે.
પેટ્રોલિયમ મંત્રાલયના અહેવાલ મુજબ, 11 સપ્ટેમ્બર 2026 ના રોજ ભારતીય ક્રૂડ ઓઇલ બાસ્કેટનો ભાવ બેરલ દીઠ $119.69 ની ટોચ પર પહોંચી ગયો હતો. સપ્ટેમ્બર 2026 ના શરૂઆતના 11 દિવસનો સરેરાશ ભાવ પણ $107.66 પ્રતિ બેરલ રહ્યો છે. ક્રૂડ મોંઘું થવાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થશે, જે આખરે દરેક ચીજવસ્તુઓના ભાવ વધારશે.

વિશ્વ હવામાન સંગઠન (WMO) ની ગંભીર ચેતવણી

સમગ્ર વિશ્વના હવામાન પર નજર રાખતી સંયુક્ત રાષ્ટ્રની એજન્સી વર્લ્ડ મીટિઓરોલોજિકલ ઓર્ગેનાઈઝેશને (WMO) પણ એક ગ્લોબલ રિપોર્ટ જાહેર કરીને ચેતવણી આપી છે. આ રિપોર્ટ મુજબ, અલ નીનો હવે મજબૂત રીતે ગોઠવાઈ ગયો છે. ઉષ્ણકટિબંધીય પેસિફિક મહાસાગરમાં પાણી અસામાન્ય રીતે ગરમ થઈ રહ્યું હોવાથી આ અલ નીનો વધુ શક્તિશાળી બનશે.
WMO ની આગાહી મુજબ, ફેબ્રુઆરી 2027 સુધી આ સ્થિતિ ચાલુ રહેવાની 100% શક્યતા છે. તેના કારણે દુનિયાભરના વરસાદ અને તાપમાનની પેટર્ન ખોરવાઈ જશે. પરિણામે ક્યાંક ભયંકર પૂર, ક્યાંક દુષ્કાળ તો ક્યાંક અસહ્ય ગરમી જેવી આફતો આવી શકે છે. આ સંકટને પહોંચી વળવા માટે વૈશ્વિક સંસ્થાઓ પ્રારંભિક ચેતવણી (Early Warning) આપવાની તૈયારીઓ ઝડપી કરી રહી છે.

આગામી દિવસોમાં મોંઘવારીની માર બનશે વધુ આકરી

ખરાબ હવામાન અને અલ નીનોને કારણે ઘટી રહેલું અનાજનું ઉત્પાદન તથા ક્રૂડ ઓઇલના વધી રહેલા ભાવ, આ બંને પરિસ્થિતિઓનો સીધો બોજ સામાન્ય માણસના ખિસ્સા પર પડશે, જેને લીધે આગામી મહિનાઓમાં મોંઘવારીનો સામનો કરવો ઘણો પડકારજનક બની રહેશે.