India

Explainer : ફરી એવી ભૂલ, બે વર્ષમાં 400થી વધુના મોત ! વાયનાડમાં આ શું થઈ રહ્યું છે? સરકાર પર ઉઠ્યા ગંભીર સવાલ

By GS Team
7 Jul 20265 mins read
TukuTouch Logo
કેરળના વાયનાડમાં 7 જુલાઈ 2026ના રોજ નિર્માણાધીન ટનલ પ્રોજેક્ટ પાસે ભૂસ્ખલન થયું. આ દુર્ઘટનામાં 1 મજૂરનું મૃત્યુ થયું, 7 ઘાયલ થયા અને 7 લોકો હજુ પણ લાપતા છે. મુખ્યમંત્રી વી.ડી. સતીશને આ ઘટના માટે કોન્ટ્રાક્ટરની બેદરકારીને જવાબદાર ઠેરવી છે, કારણ કે 20 જૂને જ કાટમાળ હટાવવાનો આદેશ અપાયો હતો. કૃષિ મંત્રી ટી. સિદ્દીકે તેને 'માનવ-નિર્મિત આપત્તિ' ગણાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer : ફરી એવી ભૂલ, બે વર્ષમાં 400થી વધુના મોત ! વાયનાડમાં આ શું થઈ રહ્યું છે? સરકાર પર ઉઠ્યા ગંભીર સવાલ

Wayanad Landslide Explained : વાયનાડમાં ધરતી માત્ર વરસાદથી નથી ખસતી. તે બેદરકારી, ચેતવણીઓથી અજાણ રહેવા, કુદરતના કાયદાઓને નેવે મૂકવા અને સરકારની નિષ્ફળતાથી ખસે છે. વાયનાડ આપત્તિનું કારણ ખુદ માણસ છે. 7 જુલાઈ 2026ની સવારે કેરળના વાયનાડ જિલ્લાના મેપ્પાડી પાસે કલ્લાડીમાં મીનાક્ષી બ્રિજ નજીક અચાનક ધરતી ફાટી. અંડર-કન્સ્ટ્રક્શન ટનલ રોડ પ્રોજેક્ટ (અનક્કમપોયિલ-મેપ્પાડી ટ્વિન ટનલ) ના ખોદકામનો કાટમાળ ધસી પડ્યો. આ અકસ્માતમાં એક મજૂરનું મોત થયું છે, સાત ઘાયલ થયા છે, અને સાત લોકો હજુ પણ લાપતા છે. રાહત અને બચાવ ટીમે કાટમાળમાંથી છ લોકોને બચાવ્યા, પરંતુ હજુ પણ 10થી વધુ લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. 2 વર્ષ પહેલા પણ ત્રાજડીમાં 400થી વધુ લોકોના મોત થયા હતા. આખરે કેમ વાયનાડ કબ્રસ્તાન બનતું જાય છે, અને સરકાર ક્યાં નિષ્ફળ ગઈ તે મોટો સવાલ છે.

દિલીપ બિલ્ડકોનના શીરે છે પ્રોજેક્ટનું કામ

આ અકસ્માતે એક મસ્જિદ, એક મકાન અને એક બસ સ્ટોપને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા. ટનલ પ્રોજેક્ટ દિલીપ બિલ્ડકોન બનાવી રહી છે, જ્યારે પ્રોજેક્ટની દેખરેખ કોંકણ રેલવે કોર્પોરેશન કરી રહ્યું છે. મુખ્યમંત્રી વી.ડી. સતીશને સ્પષ્ટ કહ્યું કે 'આ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે.' તેમણે જણાવ્યું કે, 20 જૂને જ જિલ્લા કલેક્ટર અને આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે કોન્ટ્રાક્ટરને ખોદકામનો કાટમાળ હટાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટરે તેમાં બેદરકારી દાખવી. કૃષિ મંત્રી ટી. સિદ્દીકે તો તેને સીધી જ 'માનવ-નિર્મિત આપત્તિ' ગણાવી.

છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં 265 મિલીમીટર વરસાદ નોંધાયો. આ વરસાદ એવો ન હતો કે, જેનો અગાઉથી અંદાજ ન લગાવી શકાયો હોત. હવામાન વિભાગે અગાઉથી યલો એલર્ટ જાહેર કરી દીધું હતું.

ટનલની માટી ગાડીઓ અને ટેન્કરને વહાવી ગઈ

આ કોઈ પહેલી ઘટના નથી, 30 જુલાઈ 2024ના રોજ વાયનાડે પોતાના ઇતિહાસની સૌથી ભયાનક કુદરતી આપત્તિ જોઈ. રાત્રે 2 થી 4 વાગ્યાની વચ્ચે મુંડક્કાઈ, ચૂરાલમાલા અને પુંચિરિમટ્ટમમાં એક પછી એક અનેક ભૂસ્ખલન થયા. 1,550 મીટરની ઊંચાઈથી શરૂ થયેલો કાટમાળ 8 કિલોમીટર સુધી વહેતો રહ્યો, અને 86,000 ચોરસ મીટર વિસ્તારને તબાહ કરી દીધો.

એપ્રિલ 2025માં સંસદમાં સરકારે જણાવ્યું કે, 298 લોકોના મોત થયા, જેમાં 32 લાપતા લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા. જોકે, આ સરકારી આંકડો છે. હકીકત આનાથી ક્યાંય વધુ ભયાનક છે. રાહત એજન્સીઓના જણાવ્યા મુજબ, 400 થી વધુ લોકો માર્યા ગયા.

એક જ રાતમાં 1,721 ઘરો પ્રભાવિત થયા. મુંડક્કાઈના 1,247 લોકો, ચૂરાલમાલાના 2,162 લોકો અને અટ્ટમાલાના 1,424 લોકો બેઘર થઈ ગયા. 6,759 લોકોને 53 રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો. મુખ્ય પુલ તૂટી પડ્યો, જેનાથી બચાવ કાર્ય ખોરવાયું. 212 મૃતદેહો અને 140 શરીરના અંગો મળી આવ્યા.

2024ની આપત્તિમાં વાયનાડનું દ્રશ્ય

વાયનાડને 'કબ્રસ્તાન' કેમ કહેવામાં આવી રહ્યું છે?

તેના ત્રણ મોટા કારણો છે:

  1. ભૂગોળ અને ભૂવિજ્ઞાન: વાયનાડ પશ્ચિમ ઘાટના અત્યંત સંવેદનશીલ ઇકો-સિસ્ટમ પર વસેલું છે. અહીંના ખડકો ગનીસ અને શિષ્ટ છે, એટલે કે પ્રાકમ્બ્રિયન યુગના, જે અત્યંત નાજુક છે. આ ખડકોમાં કુદરતી તિરાડો છે, જે વરસાદમાં પાણી શોષીને વધુ નબળા પડી જાય છે. 2024ના ભૂસ્ખલન પહેલા 48 કલાકમાં 572.6 મિલીમીટર વરસાદ થયો, એટલે કે IMDના પૂર્વાનુમાન કરતા 200 ટકા વધુ રહ્યો. વાયનાડના વાયથિરી તાલુકાને પશ્ચિમ ઘાટ ઇકોલોજિસ્ટ પેનલે ઇકો-સેન્સિટિવ ઝોન-1 જાહેર કર્યો હતો, છતાં વિકાસના કામો ન અટક્યા.
  2. ચેતવણીઓ નજરઅંદાજ કરવામાં આવી: 2011માં માધવ ગાડગીલ સમિતિએ ચેતવણી આપી હતી કે, પશ્ચિમ ઘાટના સંવેદનશીલ વિસ્તારોમાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને ખનન પર રોક લગાવો. કેરળ સરકારે તે રિપોર્ટને હલકામાં લીધો. 2024ના ભૂસ્ખલનથી 16 કલાક પહેલા હ્યુમ સેન્ટર ફોર ઇકોલોજીએ ચેતવણી જાહેર કરી હતી, પરંતુ જિલ્લા તંત્રએ તેને નજરઅંદાજ કરી દીધી, કારણ કે તે ઓફિશિયલ સિસ્ટમનો ભાગ ન હતી. કેન્દ્ર સરકારે 23, 24, 25 અને 26 જુલાઈના રોજ પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી આપી હતી, પરંતુ રાજ્ય સરકારે તેને ગંભીરતાથી ન લીધી.

3. વિકાસની દોડમાં પર્યાવરણની અવગણના: છેલ્લા કેટલાક વર્ષોમાં વાયનાડમાં રિસોર્ટ્સ, રસ્તાઓ, પર્યટન સુવિધાઓ અને બગીચાઓ ઝડપથી વધ્યા છે. વૃક્ષોની જગ્યા કોંક્રીટ અને બગીચાઓએ લઈ લીધી. વરસાદનું પાણી શોષી લેતી જમીન ઓછી થઈ, અને અસ્થિર ઢોળાવ પર દબાણ વધ્યું. સપ્ટેમ્બર 2025માં આવેલી એક રિપોર્ટ 'Sliding Earth, Scattered Lives' મુજબ, 'વાયનાડ ભૂસ્ખલન કુદરતનો ગુસ્સો ન હતો, પરંતુ માણસની બેદરકારીથી દખલ કરવી અને સરકારની નિષ્ફળતાનું સીધું પરિણામ હતું.'

સરકાર કઈ રીતે નિષ્ફળ ગઈ?

સરકારની નિષ્ફળતાના 4 મોટા કારણો છે:

  1. ચેતવણીઓને ગંભીરતાથી ન લેવી
    ત્રણ દાયકામાં વાયનાડમાં 1984 (14 મોત), 1992 (11 મોત), 2007 (4 મોત) અને 2019 (પુથુમાલા)માં ભૂસ્ખલન થઈ ચૂક્યા હતા. આ છતાં વોર્ડ-સ્તરની નિકાસી યોજના બનાવવામાં ન આવી. કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ પાસે મેપ્પાડી પંચાયત માટે કોઈ સાઇટ-સ્પેસિફિક પ્લાન ન હતો. નિકાસી માત્ર એક વોર્ડ સુધી મર્યાદિત રહી.
  2. રાહત અને પુનર્વસનમાં બેદરકારી
    2024ની આપત્તિ પછી કેરળ સરકારે કેન્દ્ર પાસે 1,202 કરોડ રૂપિયાની તાત્કાલિક સહાય માંગી. નવેમ્બર 2024માં મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે, કેન્દ્રએ માંગ્યા વગર બીજા રાજ્યોને આપત્તિ રાહત આપી, પરંતુ વાયનાડની માંગને નજરઅંદાજ કરી. કેન્દ્રએ આપત્તિને 'ગંભીર પ્રકૃતિની આપત્તિ' જાહેર કરવાનો ઇનકાર કરી દીધો, જેનાથી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તરફથી મદદ અને બેંકોના દેવા માફીનો રસ્તો બંધ થઈ ગયો.

ઓક્ટોબર 2025માં કેરળ હાઈકોર્ટે કેન્દ્ર પર 'વાયનાડ પીડિતો માટે નિષ્ફળ' રહેવાનો આરોપ લગાવ્યો. કોર્ટે કહ્યું, 'કેન્દ્ર સરકારે પોતાની સત્તાઓનો ઉપયોગ કરવાનો ઇનકાર કરીને વાયનાડના લોકોને નિરાશ કર્યા છે.' ન્યાયાલયે બેંકો પાસેથી દેવા વસૂલાતના 'શાઇલોકિયન રસ્તાઓ' ની પણ નિંદા કરી.

3. 2026માં પણ એ જ ભૂલ પુનરાવર્તિત કરી
7 જુલાઈ 2026 નો અકસ્માત બતાવે છે કે, બે વર્ષ વીતી જવા છતાં કોઈ પાઠ શીખવામાં આવ્યો નથી. જિલ્લા કલેક્ટરે 20 જૂને કોન્ટ્રાક્ટરને કાટમાળ હટાવવાનો આદેશ આપ્યો, પણ કોન્ટ્રાક્ટરે નજરઅંદાજ કર્યો. કોંકણ રેલવેને અગાઉથી જ ભૂસ્ખલનની ચેતવણી આપી દેવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ.

  1. 'રાષ્ટ્રીય આપત્તિ'નો દરજ્જો ન આપવાની રાજનીતિ
    2024ના ભૂસ્ખલનને કેન્દ્રએ 'રાષ્ટ્રીય આપત્તિ' જાહેર કરવાની ના પાડી દીધી. આનો સીધો અર્થ થયો કે, રાષ્ટ્રીય આપત્તિ રાહત ફંડ (NDRF) તરફથી મદદ મળી શકી નહીં, આંતરરાષ્ટ્રીય સહાયનો રસ્તો બંધ રહ્યો, અને પીડિતોના દેવા માફીનો કોઈ કાનૂની આધાર ન બની શક્યો.

વાયનાડ માત્ર કુદરતી આપત્તિ નહીં, એક સિસ્ટમ ફેલિયર

વાયનાડમાં ધરતી માત્ર વરસાદથી નથી ખસતી. તે બેદરકારી, ચેતવણીઓને નજરઅંદાજ કરવા, કુદરતના કાયદાઓને નેવે મૂકવા અને સરકારની નિષ્ફળતાથી ખસે છે. માધવ ગાડગીલે 2024માં જ કહી દીધું હતું, 'વાયનાડ આપત્તિ માનવ-નિર્મિત છે.' 2026 નો અકસ્માત આ વાતનો પુરાવો છે કે, કેરળ સરકાર અને કેન્દ્ર સરકાર, બંનેએ મળીને વાયનાડને એક 'કબ્રસ્તાન' બનવા દીધું. 400થી વધુ મોત, હજારો બેઘર, બાળકો સામે માતા-પિતા કાટમાળમાં વહી ગયા. બે વર્ષ પછી પણ એ જ હાલત, એ જ ભૂલો અને એ જ બેદરકારી.