El Nino Impact India : ભારતીય હવામાન વિભાગે(IMD) આ વર્ષના ચોમાસા અંગે ચિંતાજનક ચેતવણી આપી છે. ચોમાસું કેરળમાં જૂનની શરૂઆતમાં સામાન્ય કરતાં થોડું મોડું પહોંચ્યું છે, જેના કારણે અનેક ભાગોમાં વરસાદ ધીમો પડ્યો છે. ત્યારે IMDએ ચેતવણી આપી છે કે, અલ નીનોની અસર હજુ સંપૂર્ણ જોવા મળી નથી, જ્યારે તેની અસર વધશે કે પછી સંપૂર્ણ દેખાવા લાગશે ત્યારે જુલાઈથી નવેમ્બર મહિના સુધી અનેક પડકારો જોવા મળી શકે છે. આ વર્ષે સરેરાશ વરસાદ કરતાં 90-92 ટકા વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જો આ પરિસ્થિતિ સર્જાશે તો દેશના કેટલાક ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.
અલ નીનો એટલે શું, તેનાથી ભારત પર શું અસર પડશે?
અલ નીનો એક હવામાનની ઘટના છે, જેમાં પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વ ભાગનું પાણી અસામાન્ય રીતે ગરમ થઈ જાય છે. જ્યારે સામાન્ય દિવસોમાં પૂર્વનો ભાગ ઠંડો રહે છે. ટ્રેડ વિન્ડ્સ(પવન) પૂર્વમાંથી પશ્ચિમ તરફ ફૂંકાતા હોય છે, જોકે અલ નીનો વખતે આ પવનો નબળા પડી જાય છે અથવા ઉલ્ટી દિશામાં ફંટાવા લાગે છે. આ જ કારણે ભારત તરફ આવતા ભેજવાળા પવનોને અસર થાય છે, જેમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ નબળું પડી જાય છે.
અલ નીનો સક્રિય થવાની સંભાવના 80-90 ટકા
વિજ્ઞાનીઓએ કહ્યું છે કે, જૂનમાં અલ નીનો નબળું પડશે, જોકે જુલાઈ-ઑગસ્ટમાં મધ્યમ સ્તરે અને સપ્ટેમ્બર સુધીમાં મજબૂત સ્તરે પહોંચી શકે છે. અન્ય એક વૈજ્ઞાનિક સંસ્થાના રિપોર્ટ મુજબ, જુલાઈ-ઑગસ્ટમાં અલ નીનો સક્રિય થવાની સંભાવના 80-90 ટકાથી વધુ છે. અગાઉના દાયકાઓમાં પણ અલ નીનોની અસરના કારણે ભારતમાં ઓછો વરસાદ પડ્યો હોવાના રૅકોર્ડ છે. 2009માં અલ નીનો નબળું પડવા છતાં 78 ટકા વરસાદ પડ્યો હતો, જે 37 વર્ષના સૌથી નીચા સ્તરે નોંધાયો હતો. 2015-16માં અલ નીનોની મજબૂત સ્થિતિના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ હતી.
શરૂઆતમાં જ ઓછો વરસાદ, ખેડૂતોની ચિંતા વધી
અગાઉના ચોમાસા કરતાં, આ વખતે જૂન-2026ના પ્રથમ બે અઠવાડિયામાં અનેક રાજ્યમાં સામાન્યથી ઓછો વરસાદ પડ્યો છે. મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં 70-80 ટકાની અછત નોંધાઈ છે, જ્યારે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પણ અછત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, જૂન મહિનામાં સરેરાશ કરતાં ઓછા વરસાદની સંભાવના છે. ચોમાસામાં વિલંબ અને તેની નબળી શરૂઆતથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ ઉપરાંત ભૂગર્ભ જળસંગ્રહના સ્તર ઘટવાની સમસ્યા પણ વધી શકે છે.


