બાલ્કનીની ગ્રીલ બની 'મોતનું કારણ'! દિલ્હી એસી બ્લાસ્ટ કેસમાં બિલ્ડિંગ ડિઝાઈનથી ગયા 9 જીવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Vivek Vihar Fire Tragedy : દિલ્હીના શાહદરામાં ધનાઢ્ય વિસ્તાર ગણાતા વિવેક વિહારમાં ચાર માળની બિલ્ડિંગમાં રવિવારે વહેલી સવારે કથિત AC બ્લાસ્ટ થયો હતો, જેમાં ચાર મહિલા સહિત 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગની કેટલીક બેદરકારી પણ સામે આવી છે, જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં અનેક પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. બિલ્ડિંગના ખરાબ સ્ટ્રક્ચરના કારણે લોકોને પોતાના જીવ બચાવવામાં પણ મુશ્કેલી આવી છે.
ફ્લેટમાં ભીષણ આગમાં 9 લોકોના મોત
મળતી વિગતો મુજબ, ચાર માળની બિલ્ડિંગમાં એસીમાં બ્લાસ્ટ થયા બાદ 'અનેક ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 9 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત દોડી આવી હતી, જોકે તેઓએ અનેક મુશ્કેલીનો સામનો કર્યા બાદ અત્યાર સુધીમાં લગભગ 15 લોકોને સુરક્ષિત બાહર કાઢી લીધા છે.
અનેક ફ્લેટોમાં આગ પહોંચી જતા મોટી જાનહાની સર્જાઈ
પોલીસ અધિકારીઓએ કહ્યું કે, વિવેક વિહાર ફેઝ-1માં ચાર માળની બિલ્ડિંગમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે, તે અનેક ફ્લેટોમાં પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એસી બ્લાસ્ટ અથવા શોર્ટ સર્કિટના કારણે લાગવાની આશંકા છે. જોકે હજુ ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
બિલ્ડિંગના ખરાબ સ્ટ્રક્ચરના કારણે મોટી જાનહાનિ
એવી વિગતો સામે આવી છે કે, બિલ્ડિંગના ખરાબ સ્ટ્રક્ચરના કારણે લોકોએ પોતાનો જીવ ખોવો પડ્યો છે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ધાબાનો દરવાજો બંધ હતો. આ ઉપરાંત બિલ્ડિંગમાં માત્ર એક જ સીડી હતી. એટલું જ નહીં, ફ્લેટોની ગેલેરી સહિત અનેક બાજુએ લોખંડની ગ્રીલ લાગેલી હતી, જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં અનેક પડકારો ઉભા થયા હતા. આવા જ કેટલાક કારણોથી લોકો પોતાનો જીવ બચાવી શક્યા નથી. રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
રેસ્ક્યૂ ઓપરેશનમાં ગેલેરીઓમાં લોખંડની ગ્રીલ નડી
દિલ્હીના ફાયર ઓફિસર મુકેશ વર્માએ કહ્યું કે, સવારે 3.47 કલાકે આગ લાગી હોવાનો કોલ આવ્યા બાદ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમે પાછળના રસ્તેથી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગેલેરીઓમાં લોખંડની ગ્રીલ લાગેલી હોવાથી ટીમ જઈ શકી ન હતી. પછી ટીમે આગળની તરફથી અંદર જવાનો પ્રયાસ કર્યો ત્યારે બિલ્ડિંગમાં માત્ર એક જ સીડી હતી. આ દર્દનાક ઘટનામાં 9 લોકોના મોત થયા છે. બિલ્ડિંગમાં ફસાયેલા 15 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે તેમાંથી બે લોકોને સામાન્ય ઈજા થઈ છે.
સીડી પાસે ત્રણ લાશો મળી
ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કહ્યું કે, બિલ્ડિંગના 6 ફ્લેટોમાં આગ લાગી હતી. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન જુદા જુદા માળેથી 9 લાશો મળી આવી છે. પહેલા માળે એક, બીજા માળે એક અને સીડી પાસેથી ત્રણ લાશ મળી આવી છે. એક માળે તો સીડીમાં તાળુ લગાવેલું દેખાયું છે. પોલીસે તમામ લાશોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધા છે. આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.








