Get The App

રાહુલ ગાંધીના નેતૃત્વમાં સાથે લડો...: કોકરોચ જનતા પાર્ટીને કોંગ્રેસ નેતાની 'ગઠબંધન'ની ઓફર!

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
Cockroach Janata Party CJP

Cockroach Janata Party CJP: સોશિયલ મીડિયા પર અત્યારે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ખૂબ જ ટ્રેન્ડ થઈ રહી છે અને લોકોમાં તેની જોરદાર ચર્ચા છે. આ લોકપ્રિયતા જોઈને હવે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ પણ આ ઓનલાઇન મૂવમેન્ટ સાથે હાથ મિલાવવા ઉત્સુક હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઉદિત રાજે સીજેપી(CJP)ના સ્થાપક અભિજીત દીપકેને એક ખાસ સલાહ આપતા^ કહ્યું છે કે, આ સોશિયલ મીડિયા આંદોલનને જો લાંબા સમય સુધી સફળ બનાવવું હોય તો કોઈ મજબૂત રાજકીય પક્ષનો સાથ ખૂબ જરૂરી છે. રાહુલ ગાંધી જ આ આંદોલનને સાચું નેતૃત્વ આપી શકે છે અને જો 'કોકરોચ પાર્ટી' તથા રાહુલ ગાંધી સાથે મળી જાય, તો તેઓ વર્તમાન ભાજપ સરકારને સત્તા પરથી હટાવી શકે છે.

'સરકાર સામે જનતાનો આક્રોશ છે કોકરોચ પાર્ટી': ઉદિત રાજ

ભાજપની ટિકિટ પર દિલ્હીથી લોકસભા સાંસદ રહી ચૂકેલા અને હાલ કોંગ્રેસના નેતા ઉદિત રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'સોશિયલ મીડિયા પરથી શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટી (CJP), જેનું નેતૃત્વ અભિજીત દીપકે કરી રહ્યા છે, તે વર્તમાન સરકાર સામે જનતાની નારાજગી અને ગુસ્સાનું પ્રતીક બનીને ઉભરી છે.' જોકે, તેમણે ટકોર પણ કરી કે આવા આંદોલનો લાંબા સમય સુધી ત્યારે જ ટકી શકે, જ્યારે તેઓ કોઈ મજબૂત રાજકીય અને સામાજિક શક્તિઓ સાથે જોડાય જે ભાજપ સરકારનો એક વિશ્વસનીય વિકલ્પ બની શકે.

રાહુલ ગાંધીના નેતૃત્વને ગણાવ્યું અનિવાર્ય

ઉદિત રાજે આ સોશિયલ મીડિયા આંદોલનના જોશને વેડફાતો અટકાવવા માટે તેની કમાન રાહુલ ગાંધીને સોંપવાની સલાહ આપી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, 'લોકોના આ ગુસ્સા અને દેશની આ ઊર્જાને બંધારણ બચાવવાના એક મોટા આંદોલનમાં બદલવાની તાકાત માત્ર રાહુલ ગાંધીના નેતૃત્વમાં જ છે. આ સાથે જ તેમણે કોકરોચ પાર્ટીના સ્થાપક દીપકેને યાદ અપાવ્યું કે, તેઓ પોતે એક આંબેડકરવાદી વિચારધારા ધરાવે છે, તેથી તેમણે એ સમજવું જ પડશે કે ભાજપ અને આરએસએસ(RSS)ને રાજકીય તથા લોકતાંત્રિક રીતે હરાવવાની સાચી ક્ષમતા માત્ર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે જ છે.'

મમતા બેનર્જીની TMCનું પણ મળ્યું સમર્થન

કોંગ્રેસ પહેલાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે (TMC) આ 'કોકરોચ જનતા પાર્ટી'ને પોતાનો પૂરો સાથ આપી દીધો છે. ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ'બ્રાયને સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, તેમની પાર્ટીના પ્રમુખ મમતા બેનર્જી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી આ ઓનલાઇન ઝુંબેશને સંપૂર્ણ સમર્થન આપે છે. આમ, કોંગ્રેસ અગાઉથી જ ટીએમસી આ સોશિયલ મીડિયા મોહિમની પડખે આવીને ઊભી રહી ગઈ છે.

આ પણ વાંચો: 'પીરિયડ્સના કારણે દીકરીઓનું ભણતર ન બગડવું જોઈએ', સુપ્રીમ કોર્ટે રાજ્યોને આપી ડેડલાઈન

શું છે આ 'કોકરોચ જનતા પાર્ટી' અને તેનો વિવાદ?

અમેરિકાના બોસ્ટનમાં રહેતા અભિજીત દીપકે દ્વારા સ્થાપિત 'કોકરોચ જનતા પાર્ટી' ગત 16 મેના રોજ શરૂ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ હતી. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતની એક ટિપ્પણી બાદ આ વિવાદ શરૂ થયો હતો, જેમાં તેમણે દેશના બેરોજગાર યુવાનોની સરખામણી કથિત રીતે 'કોકરોચ' સાથે કરી હોવાનો આક્ષેપ થયો હતો. આના વિરોધમાં આ ઓનલાઇન પેજ શરૂ કરાયું હતું. જોકે, હાલમાં કોકરોચ પાર્ટીના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને વેબસાઇટ બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ રાજકારણમાં તેની એન્ટ્રી અને ભવિષ્યને લઈને હજુ પણ ઘણા સવાલો ઊભા છે.