Get The App

TMC બાદ શરદ પવારની પાર્ટીને કોંગ્રેસની વિલયની ઓફર, NCP(sp)ના 3 નેતા મોટો ખેલ કરવાની ફિરાકમાં

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
TMC બાદ શરદ પવારની પાર્ટીને કોંગ્રેસની વિલયની ઓફર, NCP(sp)ના 3 નેતા મોટો ખેલ કરવાની ફિરાકમાં 1 - image

Maharashtra Politics News : શિવસેના અને NCPને તોડી પડાયા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી મોટી રાજકીય ઉથલ-પાથલ થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રો મુજબ, એક તરફ કોંગ્રેસ હાઈકમાન્ડે શરદ પવારને NCP(SP) પાર્ટી કોંગ્રેસમાં વિલય કરવા અંગે પ્રસ્તાવ આપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ પાર્ટીના ત્રણ ધારાસભ્યોએ ભાજપના રાજ્ય અધ્યક્ષ સાથે મુલાકાત કરતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.

કોંગ્રેસમાં વિલયની ચર્ચા

ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની પાર્ટી શિવસેના (Shiv Sena)ના નેતા સંજય રાઉતે (Sanjay Raut) અગાઉ સલાહ આપી હતી કે, કોંગ્રેસથી અલગ થયેલી પાર્ટીઓએ ફરી કોંગ્રેસમાં જોડાવું જોઈએ. તેમણે TMC અને NCPના કોંગ્રેસમાં વિલયની પણ વાત કરી હતી. આ મુદ્દે શરદ પવાર (Sharad Pawar)ની પુત્રી અને NCP(SP) નેતા સુપ્રિયા સુલે (Supriya Sule)એ કહ્યું કે, સંજય રાઉત તેમના માટે મોટા ભાઈ જેવા છે અને તેમણે આપેલી સલાહ સારી છે. જોકે આગળ શું થશે તે સમય જ નક્કી કરશે.

અશોક ગેહલોતે પણ કર્યું સમર્થન

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) પણ કહ્યું કે, કોંગ્રેસથી અલગ થયેલી પાર્ટીઓએ ફરી કોંગ્રેસમાં આવવું જોઈએ. તેમના મતે તમામ પક્ષોએ એકજૂથ થવું જોઈએ અને રાહુલ ગાંધી (Rahul Gandhi)ને ઈન્ડિયા ગઠબંધનના નેતા તરીકે સ્વીકારવા જોઈએ.

આ પણ વાંચો : EPFOએ ‘ક્લેમ અને ઉપાડ’ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, PF ખાતાધારકોને મોટી રાહત

શરદ પવારની પાર્ટીમાં આંતરિક ડખાં !

બીજીતરફ શરદ પવારની પાર્ટીમાં આંતરિક અસંતોષ પણ સામે આવ્યો છે. સોલાપુર વિધાનસભા બેઠક માટે વસંતરાવ દેશમુખને ઉમેદવાર બનાવવાના નિર્ણયથી નારાજ ત્રણ ધારાસભ્યોએ ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણ સાથે મુલાકાત કરી છે. ઉત્તમરાવ જાનકર, અભિજીત પાટીલ અને નારાયણ પાટીલે મહાયુતિ નેતાઓની બેઠક દરમિયાન રવિન્દ્ર ચવ્હાણ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો શરૂ થઈ છે.

ટિકિટ વહેંચણીને લઈને નારાજગી

સોલાપુર બેઠક પર ભાજપના રાજેન્દ્ર રાઉત સામે NCP(SP)એ વસંતરાવ દેશમુખને ઉમેદવાર બનાવ્યા છે. ટિકિટ વહેંચણીના આ નિર્ણયથી નારાજ ત્રણેય ધારાસભ્યોએ અગાઉ પણ જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ભાજપના ઉમેદવારને સમર્થન આપવાના સંકેત આપ્યા હતા. વસંતરાવ દેશમુખને સાંસદ ધૈર્યશીલ મોહિતે પાટીલના નજીકના માનવામાં આવે છે. તેથી ત્રણ ધારાસભ્યોની નારાજગીને મોહિતે પાટીલ માટે પણ મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસમાં વિલયની ચર્ચા અને ધારાસભ્યોની નારાજગી વચ્ચે NCP(SP)ની અંદરની સ્થિતિને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

આ પણ વાંચો : બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ!