Get The App

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી 1 - image

આસામમાં પીએમ મોદીનું હાઈવે પર ઐતિહાસિક 'ઈમર્જન્સી લેન્ડિંગ'

વડાપ્રધાન મોદીએ બ્રહ્મપુત્રા નદી પર કુમાર ભાસ્કર વર્મા સેતુ સહિત કુલ રૂ. ૫,૪૫૦ કરોડના પ્રોજેક્ટના ઉદ્ઘાટન કર્યા

ગુવાહાટી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામના દીબુ્રગઢમાં એરફોર્સના વિમાનમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરીને મોરાન બાયપાસ હાઈવે પર ઈમર્જન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ધાટન કર્યું હતું. આ સાથે પીએમ મોદીએ રાજ્યમાં કુલ રૂ. ૫,૪૫૦ કરોડના પ્રોજેક્ટના ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા હતા. વધુમાં પીએમ મોદીએ ભાજપ કાર્યકરોની રેલીને સંબોધન કરતા કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે, કોંગ્રેસે દેશની સુરક્ષાને ક્યારેય પ્રાથમિક્તા આપી નથી, જેના કારણે પૂર્વોત્તરના લોકો ડર અને અસુરક્ષામાં જીતવા રહ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તર ભારતમાં દીબુ્રગઢમાં મોરાન બાયપાસ હાઈવે પર ઈમર્જન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ધાટન કર્યું હતું. સાથે તેમણે આ સુવિધા પર ફાઈટર જેટ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું હવાઈ પ્રદર્શન નિહાળ્યું હતું. 

પૂર્વોત્તર ભારતમાં વિશિષ્ટ પ્રકારની આ પહેલી સુવિધા છે. તેને સૈન્ય અને નાગરિક વિમાનોના ઈમર્જન્સી લેન્ડિંગ તથા ટેક-ઓફમાં મદદ માટે ભારતીય એરફોર્સ સાથે મળીને બનાવાઈ છે.

આસામમાં આગામી કેટલાક મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે પીએમ મોદીએ ભાજપ કાર્યકરને સંબોધન કરતા કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. તેમણે કોંગ્રેસને ભારતના ટૂકડા કરનારા અને આતંકી વિચારસરણીવાળા લોકો સાથે ચાલનારો પક્ષ ગણાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પાસેથી રાષ્ટ્રભક્તિની આશા કરી શકાય નહીં. 

કોંગ્રેસ માત્ર તુષ્ટીકરણ અને વોટ બેન્કનું રાજકારણ કરે છે તથા વિકાસ અને શાંતિની ઉપેક્ષા કરે છે.

તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ ભારતને રાષ્ટ્ર માનવાનો પણ ઈનકાર કરે છે. કોંગ્રેસે દેશની સુરક્ષાને ક્યારેય પ્રાથમિક્તા આપી નથી. 

તેના સમયમાં પૂર્વોત્તરના લોકો ડર અને અસુરક્ષામાં જીવતા હતા. કોંગ્રેસે સુરક્ષા માટે જે પણ કંઈ ખરીદી કરી તેમાં પણ કૌભાંડ કર્યા. 

૧૦ વર્ષ કરતાં વધુ સમયથી સત્તાથી બહાર રહેવાના કારણે કોંગ્રેસ વધુ ઝેરી થઈ ગઈ છે. કોંગ્રેસ આસામને ફરી અશાંતિ અને અરાજક્તામાં નાંખવા માગે છે. 

વડાપ્રધાન મોદીએ આસામના એક દિવસના તેમના પ્રવાસમાં બ્રહ્મપુત્ર નદી પર બનેલા કુમાર ભાસ્કર વર્મા સેતુનું પણ ઉદ્ધાટન કર્યું હતું. 

આ પુલ દક્ષિણ ગુવાહાટી અને ઉત્તર ગુવાહાટીને જોડે છે. રૂ. ૩,૦૩૦ કરોડના ખર્ચે બનેલો છ લેનનો આ એક્સ્ટ્રાડોઝ્ડ પીસ્ટ્રેસ્ડ કોંક્રીટ પૂલ પૂર્વોત્તર ભારતનો પહેલો એક્સટ્રાડોઝ્ડ પુલ છે. 

પીએમ મોદીએ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, ગુવાહાટીના કામચલાઉ કેમ્પસનું પણ ઉદ્ધાટન કર્યું હતું. આ કેમ્પસથી પૂર્વોત્તર ભારતમાં હાયર અને મેનેજમેન્ટ શિક્ષણને પ્રોત્સાહન મળવાની આશા છે. 

રૂ. ૧૮,૬૬૨ કરોડના પ્રોજેક્ટને લીલીઝંડી

આસામમાં દેશના પહેલા અન્ડર વોટર પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે શનિવારે આસામમાં બ્રહ્મપુત્રા નદી નીચે દેશના પહેલા રોડ અને રેલવે ટનલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. રૂ. ૧૮,૬૬૨ કરોડના ખર્ચે બનનારો ૧૫.૭૯ કિ.મી. લાંબો આ ચાર લેનનો ગ્રીનફિલ્ડ કોરીડોર ગોહપુર અને નુમાલિગઢને જોડશે. 

આ દેશની પહેલી અને વિશ્વમાં બીજી અન્ડર વોટર રોડ-કમ-રેલ ટનલ હશે. આ રોડ-કમ-રેલથી આસામ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને પૂર્વોત્તરના અન્ય રાજ્યોને નોંધપાત્ર લાઘ મળશે. હાલમાં નેશનલ હાઈવે -૭૧૫ પર નુમાલિગઢ અને નેશનલ હાઈવે -૧૫ પર ગોહપુરનું જોડાણ નેશનલ હાઈવે-૫૨ પર સીલઘાટ નજીક કાલિયાભંભોરા રોડ બ્રિજથી થાય છે.