Get The App

મોદી સરકાર સામે કોંગ્રેસનું હલ્લાબોલ: દેશભરમાં જનઆંદોલનનું એલાન, 20 જુલાઈએ જંતર-મંતરમાં દેખાવ

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
મોદી સરકાર સામે કોંગ્રેસનું હલ્લાબોલ: દેશભરમાં જનઆંદોલનનું એલાન, 20 જુલાઈએ જંતર-મંતરમાં દેખાવ 1 - image

Congress Announces Nationwide Protest: કોંગ્રેસ પાર્ટીએ દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને લઘુમતીઓ પર વધી રહેલા અત્યાચારોને લઈને મોદી સરકાર વિરુદ્ધ દેશભરમાં જનઆંદોલનનું એલાન કર્યું છે. તેવામાં ભારતીય યુવા કોંગ્રેસ પહેલાથી જ NEET પેપર લીકને લઈને દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે, કોંગ્રેસ એક સાથે બે મુખ્ય મુદ્દાઓ પર રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.

દેશભરમાં જનઆંદોલનનું કોંગ્રેસનું એલાન

દિલ્હીમાં શનિવારે (6 જૂન) બે મુખ્ય કોંગ્રેસના વિભાગો અનુસૂચિત જાતિ વિભાગ અને લઘુમતી વિભાગની એક સંયુક્ત બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, આ બંને વિભાગો ભાજપ સરકાર હેઠળ સમાજના નબળા વર્ગો સાથે થઈ રહેલા અન્યાય સામે સંયુક્ત રીતે દેશભરમાં અવાજ ઉઠાવશે.

મોદી સરકાર પર ગંભીર સવાલો

આ બેઠક બાદ કોંગ્રેસ મુખ્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં લઘુમતી વિભાગના અધ્યક્ષ ઇમરાન પ્રતાપગઢી અને અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ રાજેન્દ્ર પાલ ગૌતમે મોદી સરકાર પર અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

20 જુલાઈના રોજ જંતર-મંતર ખાતે વિશાળ વિરોધ પ્રદર્શન

બંને નેતાઓએ જાહેરાત કરી કે, આગામી 20 જુલાઈના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે મોટાપાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેમાં દેશભરના દલિત અને લઘુમતી સમુદાયોના સંસદસભ્યો, ધારાસભ્યો અને અન્ય જનપ્રતિનિધિઓ ભાગ લેશે.

જ્યારે જૂનના ત્રીજા અઠવાડિયામાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં બંને વિભાગોની એક મોટી સંયુક્ત બેઠક યોજાશે. પછી આ અભિયાનને અન્ય રાજ્યોમાં પણ વિસ્તૃત કરવામાં આવશે. આમ માત્ર મોટા શહેરોમાં જ નહીં, પરંતુ જિલ્લા અને પાયાના સ્તરે પણ અભિયાન ચલાવાશે.

પીડિતોને કાનૂની અને સામાજિક સમર્થન મળશે

કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, દેશમાં જ્યાં પણ કોઈ સંવેદનશીલ વ્યક્તિ પર અત્યાચાર થાય છે, ત્યાં બંને વિભાગોના નેતાઓ તેમને ટેકો આપવા માટે સાથે ઉભા રહેશે. જરૂર પડશે તો પીડિતોને કાનૂની સહાય, સામાજિક સહાય અને વહીવટી સહાય પૂરી પાડવામાં આવશે.

ઈમરાન પ્રતાપગઢીએ શું કહ્યું?

ઈમરાન પ્રતાપગઢીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ઇચ્છે છે કે દેશના ગરીબ, હાંસિયામાં ધકેલાયેલા અને નબળા લોકો મનમાં એ વિશ્વાસ રાખે કે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલુ બંધારણ બધાને સમાન અધિકારો અને ન્યાયની ખાતરી આપે છે.

કોંગ્રેસ ફક્ત દલિતો અને લઘુમતીઓને જ નહીં, પરંતુ બધાને જોડશે

રાજેન્દ્ર પાલ ગૌતમે જણાવ્યું હતું કે, આ અભિયાનમાં ફક્ત દલિતો અને લઘુમતીઓને જ નહીં, પરંતુ આદિવાસી સમુદાય, ઓબીસી સમુદાય, અત્યંત પછાત વર્ગો અને સામાન્ય વર્ગના ગરીબોને પણ સામેલ કરવામાં આવશે. જેનો મુખ્ય ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે, આ બધા સમુદાયોના અવાજને દબાવવામાં ન આવે.

અત્યાર સુધી ક્યાં ક્યાં વિરોધ પ્રદર્શન થયા છે?

IYC એ આ મુદ્દા પર ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો કર્યા છે,

29 મે: ગોવા

31 મે: પૂણે 

1 જૂન: કોલ્હાપુર

2 જૂન: મુંબઈ

3 જૂન: તેલંગાણા

4 જૂન: આસામ

5 જૂન: પાણીપત

6 જૂન: કુરુક્ષેત્ર

આ રાજ્યોમાં વધુ વિરોધ પ્રદર્શનો થશે

7 જૂન: મધ્યપ્રદેશ

8-9 જૂન: ઝારખંડ

10 જૂન: રાજસ્થાન

13 જૂન: ગુજરાત

14 જૂન: ચંદીગઢ

15 જૂન: પંજાબ

16 જૂન: મધ્યપ્રદેશ

17 જૂન: મધ્યપ્રદેશ

20 જૂન: કેરળ, દિલ્હી

22 જૂન: તમિલનાડુ