Get The App

'ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ', કોકરોચ જનતા પાર્ટીએ સરકાર સામે માંડ્યો મોરચો

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
'ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ', કોકરોચ જનતા પાર્ટીએ સરકાર સામે માંડ્યો મોરચો 1 - image

Cockroach Janta Party: કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દિપકેએ કેન્દ્ર સરકાર સામે મોરચો માડી દીધો છે. દિપકે કહ્યું છે કે તેઓ 6 જૂને ભારત પરત આવશે અને દિલ્હીમાં એક શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે. તેમની માંગ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું જોઈએ. કારણ છે પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ, જેનાથી લાખો વિદ્યાર્થીઓ પરેશાન છે.

'ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ': અભિજીત દીપકે

અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કર્યો. તેમાં તેમને તેમના સમર્થકો અને વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ તેમની સાથે દિલ્હીમાં અવાજ ઉઠાવે. કહ્યું,-'હવે સમય આવી ગયો છે કે આપણે બધા એકસાથે આવીએ. બંધારણના માર્ગ પર ચાલતા શાંતિથી આપણી વાત રાખીએ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ. જો આપણે મળીને બોલીશું તો સરકારે સાંભળવું જ પડશે. 6 જૂન, શનિવારની સવારે હું દિલ્હી પહોંચીશ.' તેમણે લોકોને વિનંતી કરી કે તેઓ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરે. ત્યારબાદ બધા મળીને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન જશે અને જંતર-મંતર પર પ્રદર્શનની પરવાનગી માંગશે. દિપકેનો આરોપ છે કે પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ અને વિવાદોના કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન છે. તેમણે સરકાર પાસે જવાબદારીની માંગ કરી છે.

વીડિયો સંદેશમાં અભિજીતે શું-શું કહ્યું?

અભિજીત દિપકેએ એક વીડિયો સંદેશ જાહેર કરીને ભારત પરત ફરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 'તેઓ NEET પરીક્ષા વિવાદ અને કથિત પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને દેશ પરત આવી રહ્યા છે. અભિજીત દિપકેએ દાવો કર્યો કે નીટ પરીક્ષા સંબંધિત વિવાદોના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પ્રભાવિત થયું છે. તેમણે કહ્યું કે આ મુદ્દા પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમને સમર્થન આપ્યું છે. શિક્ષણ વ્યવસ્થામાં થયેલી કથિત ગેરરીતિઓ માટે જવાબદારી નક્કી થવી જરૂરી છે અને કોઈને ને કોઈએ તેની જવાબદારી લેવી જોઈએ. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગને લઈને એક ઓનલાઈન અરજીને લાખો લોકોનું સમર્થન મળ્યું છે. સાથે જ, દેશના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવી રહ્યા છે.

'સરકારે તેમની માંગણીઓ પર ધ્યાન આપવું પડશે'

દિપકેએ કહ્યું કે, 'તેઓ 6 જૂને દિલ્હી પહોંચશે અને પોતાના સમર્થકો સાથે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાની પરવાનગી માંગશે. ભારતીય બંધારણ નાગરિકોને લોકતાંત્રિક અને શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રાખવાનો અધિકાર આપે છે અને તેમનું સૂચિત આંદોલન આ જ બંધારણીય અધિકાર હેઠળ હશે.' પોતાના સંદેશમાં તેમણે સમર્થકો, વિદ્યાર્થીઓ અને યુવાનોને આ અભિયાનમાં જોડાવાની અપીલ કરતાં કહ્યું કે જો મોટી સંખ્યામાં લોકો એકજૂથ થઈને પોતાનો અવાજ ઉઠાવશે તો સરકારે તેમની માંગણીઓ પર ધ્યાન આપવું પડશે.

ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો 

અભિજીત દિપકેએ એ પણ જણાવ્યું કે, 'તેમના પરિચિતો અને પરિવારના કેટલાક લોકોને આશંકા છે કે દિલ્હી પહોંચવા પર તેમની અટકાયત કરવામાં આવી શકે છે, પરંતુ તેમને ભારતીય લોકતંત્ર અને બંધારણ પર ભરોસો છે. તેમનું આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક રીતે સંચાલિત થશે. તેઓ વિદેશમાં નોકરી કરી શકતા હતા, પરંતુ દેશ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો છે.' તેમણે યુવાનોને લોકતાંત્રિક રીતે પોતાનો અવાજ ઉઠાવવા અને શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારી સુનિશ્ચિત કરવાની માંગ કરવાનું આહ્વાન કર્યું.

કોકરોચ જનતા પાર્ટી શું છે?

આ એક યુવાનો દ્વારા ચલાવવામાં આવતું સોશિયલ મીડિયા આંદોલન છે, જેને અભિજીત દિપકેએ શરૂ કર્યું હતું. આ પાર્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ છે અને કેટલીક જાણીતી હસ્તીઓએ પણ તેને ફોલો કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 22 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. હવે 6 જૂને સૂચિત આ પ્રદર્શન પર બધાની નજર રહેશે, કારણ કે પરીક્ષા સંબંધિત મુદ્દાઓને લઈને દેશભરમાં ચર્ચા ચાલુ છે અને વિદ્યાર્થીઓમા આ વિષયને લઈને સતત ચર્ચા-વિચારણા થઈ રહી છે. એ પણ જોવાનું રહેશે કે ઓનલાઈન તો બે કરોડથી વધુ લોકો જોડાયા, પરંતુ વાસ્તવિકતામાં કેટલા લોકો આ પ્રદર્શનમાં સામેલ થાય છે.