'કોકરોચ જનતા પાર્ટી' આપનો સિક્રેટ પ્રોજેક્ટ? સોશિયલ મીડિયામાં સપાટા બાદ સહયોગીનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Cockroach Janata Party Linked to AAP: સોશિયલ મીડિયા પર રાતોરાત ધૂમ મચાવનારી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) પર હવે રાજકીય આક્ષેપોના વાદળો ઘેરાયા છે. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેનું આમ આદમી પાર્ટી (AAP) સાથે કનેક્શન હોવાની વિગતો બહાર આવતાં જ તેના સમર્થકોમાં મોટો વિરોધ ફાટી નીકળ્યો છે અને કેટલાક સહયોગીઓએ છેડો ફાડી નાખ્યો છે. એક તરફ ઇન્સ્ટાગ્રામ પર આ પાર્ટીના ફોલોઅર્સનો આંકડો 2 કરોડને પાર પહોંચી ગયો છે, તો બીજી તરફ પૂર્વ અધિકારી અને પાર્ટીના સમર્થક આશિષ જોશીએ આ પ્લેટફોર્મને 'આપ'નો સિક્રેટ પ્રોજેક્ટ ગણાવીને ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
પૂર્વ અધિકારી આશિષ જોશીએ છેડો ફાડ્યો, વૈચારિક સ્વતંત્રતા પર સવાલ
કોકરોચ જનતા પાર્ટીના સોશિયલ મીડિયા કેમ્પેઈનને શરૂઆતમાં પૂર્વ પ્રશાસનિક અધિકારી આશિષ જોશીએ સમર્થન આપ્યું હતું. જોકે, સ્થાપક અભિજીતનું આમ આદમી પાર્ટી સાથેનું કનેક્શન સપાટી પર આવતા જ તેમણે બળવો પોકાર્યો છે. આશિષ જોશીએ જાહેરમાં સવાલ પૂછ્યા હતા કે, 'શું આ પાર્ટી કોઈ ચોક્કસ રાજકીય વિચારધારા સાથે જોડાયેલી છે? શું આ પ્લેટફોર્મને પોતાની કોઈ વૈચારિક સ્વતંત્રતા નથી?' આ સવાલોનો કોઈ સંતોષકારક જવાબ ન મળતા આશિષ જોશીએ સ્પષ્ટ કર્યું કે તેમને કોઈ રાજકીય વિચારધારાના પ્રચારમાં રસ નથી, અને તેઓ આ પાર્ટી સાથેના તમામ સંબંધો સમાપ્ત કરે છે.
મનિષ સિસોદિયા સાથેની તસવીરો વાઈરલ
ડિજિટલ દુનિયામાં સપાટો બોલાવનાર સ્થાપક અભિજીત દીપકેએ ખુદ સ્વીકાર્યું છે કે તે વર્ષ 2020થી 2023 દરમિયાન આમ આદમી પાર્ટીના મીડિયા કેમ્પેઈન સાથે સક્રિય રીતે જોડાયેલો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા યુઝર્સે અભિજીતની 'આપ'ના વરિષ્ઠ નેતા મનિષ સિસોદિયા સાથેની મુલાકાતની જૂની તસવીરો પણ શોધી કાઢી છે, જેના કારણે આ પાર્ટી પૂર્વ-નિયોજિત રાજકીય પ્રોજેક્ટ હોવાની ચર્ચાઓને જોર મળ્યું છે.
બોસ્ટન ભણતા દીકરાના કારનામાથી મહારાષ્ટ્રમાં પેરેન્ટ્સની ઊંઘ ઉડી
કોકરોચ જનતા પાર્ટીનો સ્થાપક અભિજીત દીપકે હાલ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી પીઆર (Public Relations)માં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યો છે. દીકરાની આ ઓનલાઈન મુવમેન્ટ ભારતભરમાં ચર્ચાનો વિષય બનતા જ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રહેતા તેના માતા-પિતા ભારે ચિંતામાં મૂકાયા છે. પિતા ભગવાન દીપકે અને માતા અનિતા દીપકેની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે અને તેમને ડર છે કે દીકરાના આ રાજકીય કારનામાને લીધે ક્યાંક તેમની ધરપકડ ન થઈ જાય. તેમણે લાચારી વ્યક્ત કરતા કહ્યું કે, 'જો અમને સેજ પણ અંદાજ હોત કે દીકરો પોલિટિક્સમાં જઈ રહ્યો છે, તો અમે તેને ચોક્કસ રોક્યો હોત.'
X એકાઉન્ટ બંધ થવા છતાં ક્રેઝ યથાવત્
રાજકીય વિવાદો વચ્ચે પણ સોશિયલ મીડિયા પર આ ડિજિટલ આંદોલનનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર 2 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતી આ સીજેપીનું સત્તાવાર 'X' એકાઉન્ટ બંધ કરી દેવાયું હતું. જોકે, ત્યારબાદ શરૂ કરાયેલા 'કોકરોચ ઈઝ બેક' નામના નવા એકાઉન્ટ પર પણ જોતજોતામાં પોણા બે લાખ જેટલા ફોલોઅર્સ જોડાઈ ગયા છે.
હાલમાં જ આ નવા એકાઉન્ટ પરથી પેપર લીક અને શિક્ષણ વિભાગની ખામીઓને મુદ્દો બનાવીને દેશના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરતું એક મોટું ઓનલાઈન કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે, જેણે દેશભરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.









