Get The App

પંજાબમાં કોલેજનાં વર્ગખંડમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા

આરોપી ૨૦ વર્ષીય પ્રિન્સ રાજની ગંભીર સ્થિતિ વચ્ચે હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર ઃ બંને લો કોલેજનાં પ્રથમ વર્ષમાં હતાં

હુમલાખોરે હત્યા કર્યા પછી પોતાને પણ ગોળી મારી

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
પંજાબમાં કોલેજનાં વર્ગખંડમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા 1 - image

(પીટીઆઇ)     ચંડીગઢ, તા. ૯

પંજાબનાં તરનાતરન જિલ્લામાં સોમવારે કાયદાનાં પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીએ પોતાની સાથે ભણતી મહિલા વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા કરી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાને પણ ગોળી મારી હતી તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.

પોલીસનાં જણાવ્યા અનુસાર અપરાધમાં વાપરવામાં આવેલ શસ્ત્ર ગેરકાયદે હતું. આરોપી ૨૦ વર્ષીય પ્રિન્સ રાજ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)નાં નિવૃત્ત જવાનનો પુત્ર છે. રાજની સ્થિતિ ગંભીર છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. જ્યારે ૧૯ વર્ષીય સંદીપ કૌરનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

બંને રાજ અને સંદીપ કૌર તરનતારન જિલ્લાનાં ઉસ્મા ગામમાં માઇ ભાગો લો કોલેજનાં પ્રથમ વર્ષમાં ભણતા હતાં. સંદીપ કૌરનાં પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે રાજ છેલ્લા કેટલાક સમયથી સંદીપ કૌરને હેરાન કરતો હતો.

સંદીપની માતા હરજિન્દર કૌરે પ્રશ્ર કર્યો હતો કે એક વિદ્યાર્થી કોલેજમાં બંદૂક લઇને કઇ રીતે આવી ગયો? સંદીપ કૌરનાં અન્ય યુવક સાથે સગાઇ થઇ ગઇ હતી અને તેના તેની સાથે લગ્ન થવાનાં હતાં.

ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ જગબીર સિંહે જણાવ્યું હતું કે ક્લાસ શરૃ થવાનો હતો તે પહેલા જ પ્રિન્સે સંદીપ પર ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ પોતાને પણ ગોળી મારી હતી.

પોલીસનાં જણાવ્યા અનુસાર પ્રિન્સ રાજને અમૃતસરની ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે.

તરન તારનનાં સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ સુરેન્દ્ર લાંબાએ જણાવ્યું હતું કે હત્યા પાછળનો હેતુ જાણવા માટે તપાસ શરૃ કરી દેવામાં આવી છે.