કેતન મર્ડર કેસનો હવાલો આપી સાંસદે કરી 'રાષ્ટ્રીય પુરુષ આયોગ'ની માંગ; શેર કર્યો જૂનો વીડિયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

National Commission For Men Bill 2025 Rajya Sabha : રાજ્યસભાના સભ્ય અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સ્થાપક અશોક કુમાર મિત્તલે પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસનો હવાલો આપીને "નેશનલ કમિશન ફોર મેન" (પુરૂષો માટે રાષ્ટ્રીય આયોગ)ની પોતાની માંગને ફરીથી દોહરાવી છે. મિત્તલે આ કેસને અત્યંત પરેશાન કરનારો ગણાવ્યો છે, અને શનિવારે રાજ્યસભાની કાર્યવાહીનો ડિસેમ્બર 2025નો એક વીડિયો શેર કર્યો હતો, જ્યારે તેમણે નેશનલ કમિશન ફોર વિમેન (NCW)ના આધાર પર આવા આયોગ માટે પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કર્યું હતું. પંજાબમાંથી ચૂંટાયેલા મિત્તલ તે સમયે AAP (આમ આદમી પાર્ટી)માં હતા, અને આ વર્ષે એપ્રિલમાં તેમણે રાઘવ ચઢ્ઢાની આગેવાની હેઠળના સાત AAP સાંસદોના જૂથના ભાગ રૂપે BJP માં વિલયનો દાવો કર્યો હતો.
તેમણે શું કહ્યું?
'કેતન કેસ એક રીમાઇન્ડર છે કે, પુરૂષો પણ પીડિત હોઈ શકે છે,' મિત્તલે X પર લખ્યું, 'તેઓ સંસ્થાકીય સહાય, કાનૂની રક્ષણ અને એક એવું પ્લેટફોર્મ મેળવવાના હકદાર છે, જ્યાં તેમનો અવાજ સાંભળવામાં આવે. લિંગને ધ્યાનમાં લીધા વિના ન્યાય દરેક માટે સમાન હોવો જોઈએ.' આવા પ્રાઇવેટ બિલ ભાગ્યે જ, વોટિંગ સ્ટેજ સુધી પહોંચે છે. આઝાદી પછી આવા માત્ર 14 બિલ જ કાયદો બન્યા છે, અને 1970 પછી એકપણ બિલ સંસદના બંને ગૃહોમાંથી સફળતાપૂર્વક પસાર થઈ શક્યું નથી.
કેતન અગ્રવાલ હત્યા કેસમાં પુણેની એક કોર્ટે 3 જુલાઈએ મુખ્ય આરોપી અને તેની મંગેતર સિયા ગોયલ (20) અને તેના કથિત બોયફ્રેન્ડ ચેતન ચૌધરી (22)ને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં 16 જુલાઈ સુધી મોકલી દીધા છે. કોર્ટે લોનાવાલા રૂરલ પોલીસની પોલીસ કસ્ટડી વધારવાની વિનંતીને ફગાવી દીધી હતી. બંને આરોપીઓએ સત્તાવાર રીતે લાઈ-ડિટેક્ટર ટેસ્ટ કરાવવાનો ઈનકાર કર્યા બાદ, કોર્ટે પોલીગ્રાફ ટેસ્ટની અરજી પણ ફગાવી દીધી હતી.
મિત્તલના પ્રસ્તાવિત કાયદામાં શું છે?
ધ નેશનલ કમિશન ફોર મેન બિલ, 2025, રાજ્યસભાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જેનું સ્ટેટસ 5 ડિસેમ્બર 2025 ના રોજ 'ઇન્ટ્રોડ્યુસ્ડ' (રજૂ કરાયેલું) દર્શાવે છે.
પુરૂષોના અધિકારો: આ બિલ પુરૂષોના અધિકારો અને કલ્યાણની રક્ષા કરવા તેમજ ફરિયાદોની તપાસ કરવા માટે નેશનલ કમિશન ફોર મેનની રચના કરવાનો પ્રસ્તાવ મૂકે છે. તેનો અર્થ એવો એક વૈધાનિક માળખું જે 'પુરૂષોને અસર કરતા વર્તમાન કાયદાઓ અને નીતિઓની સમીક્ષા' કરી શકે, અને પુરૂષોના શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્યને અસર કરતા મુદ્દાઓ પર અગાઉથી જ જાગૃતિ લાવી શકે.
સભ્યો કોણ હશે?: આ આયોગનું નેતૃત્વ એક ચેરપર્સન અને વાઇસ-ચેરપર્સન કરશે, જેઓ કાયદો, જાહેર વહીવટ, જેન્ડર સ્ટડીઝ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા સોશિયલ વર્કના ક્ષેત્રમાં નામાંકિત વ્યક્તિ હોવા જોઈએ, અને ઓછામાં ઓછો 15 વર્ષનો સંબંધિત અનુભવ ધરાવતા હોવા જોઈએ. બિલ ફરજિયાત બનાવે છે કે, સભ્યપદમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ અનુસૂચિત જાતિ (SC) અથવા અનુસૂચિત જનજાતિ (ST)માંથી હોવી જોઈએ, અને ઓછામાં ઓછી એક વ્યક્તિ 40 વર્ષથી ઓછી ઉંમરની હોવી જોઈએ. કોઈપણ બાબતની તપાસ કરતી વખતે આયોગને સિવિલ કોર્ટની સત્તાઓ મળશે.
તે કેવી રીતે કામ કરશે?: આયોગનું મુખ્ય કાર્ય બંધારણ દ્વારા ગેરંટી આપવામાં આવેલા પુરૂષોના અધિકારોના ઉલ્લંઘન અથવા વંચિતતા સંબંધિત તમામ બાબતોની તપાસ અને ચકાસણી કરવાનું રહેશે. તેને પુરૂષ આત્મહત્યાના દર, સ્વાસ્થ્ય અસમાનતાઓ, બેરોજગારી, કસ્ટોડિયલ રાઇટ્સ અને ઘરેલું હિંસા જેવા ગંભીર મુદ્દાઓ પર સંશોધન, અભ્યાસ અને ડેટા એકત્રિત કરવાની પણ સત્તા આપવામાં આવશે.
સહાય અને કાઉન્સેલિંગ માટે: મુશ્કેલીમાં મુકાયેલા પુરૂષોને મદદ કરવા માટે આયોગને સીધી કાનૂની સહાય, કાઉન્સેલિંગ અથવા પુનર્વસન સેવાઓ પ્રદાન કરવાનું કામ સોંપવામાં આવશે. આયોગે શૈક્ષણિક સંસ્થાઓમાં યુવાન પુરૂષોમાં લિંગ સંવેદનશીલતા કેળવવા, સ્વસ્થ પુરૂષત્વના મૂલ્યોને પ્રોત્સાહન આપવા અને ભાવનાત્મક બુદ્ધિમત્તા, માનસિક સ્વાસ્થ્ય અને અહિંસાને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી CBSE, NCERT અને UGC જેવી શૈક્ષણિક સંસ્થાઓની સલાહ લઈને શૈક્ષણિક કાર્યક્રમો અને જાગૃતિ અભિયાન વિકસાવવાના રહેશે.
મહિલાઓ માટે સુરક્ષા ચાલુ રહેશે: બિલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, તેની જોગવાઈઓમાંથી કંઈપણ વર્તમાન કાયદા હેઠળ મહિલાઓને આપવામાં આવેલા અધિકારો અને સુરક્ષાને મર્યાદિત અથવા અસર કરતું ગણાશે નહીં. ઉપરાંત, જ્યાં સુધી સક્ષમ અદાલતે ઔપચારિક રીતે ફરિયાદને ખોટી, દ્વેષપૂર્ણ અથવા કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ જાહેર ન કરી હોય ત્યાં સુધી આયોગ મહિલા દ્વારા કરાયેલી કોઈપણ ફરિયાદમાં હસ્તક્ષેપ કરી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે, મહિલાઓ માટે પહેલેથી જ નેશનલ કમિશન ફોર વિમેન (NCW) અસ્તિત્વમાં છે, જે 1990ના કાયદા હેઠળ 31 જાન્યુઆરી 1992ના રોજ સ્થપાયેલી એક વૈધાનિક સંસ્થા છે. તેનું કામ મહિલાઓ માટેના બંધારણીય અને કાનૂની રક્ષણની સમીક્ષા કરવાનું, ઉપચારાત્મક કાયદાકીય પગલાંની ભલામણ કરવાનું અને ફરિયાદોના નિવારણની સુવિધા આપવાનું છે.









