Supreme Court news : ધર્મના નામે નિર્દોષ પશુઓની બલી ચઢાવવામાં આવે છે, જેને રોકવા માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. કોર્ટે અરજદાર વકીલ શ્રૃતિ બિષ્ટની અરજી પર સુનાવણી કરતા ધર્મના નામે નિર્દોષ પશુઓની હત્યા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી પીઆઈએલ દાખલ કરી છે. અરજીમાં 1960ના કાયદાની કલમ 28માં સુધારાની માગ કરાઈ છે, જેમાં ધાર્મિક કારણોસર પશુ હત્યાની છૂટ અપાઈ છે.
ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે કેન્દ્રને નોટિસ પાઠવી ચાર સપ્તાહમાં જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. આ અરજીમાં આરોપ કરાયો છે કે મંદિરો અને ધાર્મિક અનુષ્ઠાનોમાં અપાતી પશુ બલીના કિસ્સાઓમાં સરકારી સ્તરે પર્યાપ્ત કાર્યવાહી કરાતી નથી.
અરજીમાં પશુ અત્યાચાર નિવારણ કાયદાની કલમ 28માં સુધારાની માગણી કરાઈ છે. આ જોગવાઈ હેઠળ કોઈપણ ધર્મની પ્રથા, પરંપરા અથવા માન્યતા મુજબ કરાયેલી પશુ હત્યાને ગૂનો મનાતો નથી. અરજદારનું કહેવું છે કે આ જોગવાઈ પશુઓના સંરક્ષણના ઉદ્દેશ્યથી વિપરિત છે. તેનાથી સરકારી ખજાનાની સાથે પશુઓના અધિકારોનો પણ ભંગ થાય છે.
અરજદારોએ કહ્યું કે, મંદિરોમાં પશુઓની બલિમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હોવા છતાં આ પ્રથા પાછળથી હિન્દુ ધર્મમાં પાછી ફરી છે અને અનેક મંદિરોમાં પશુઓની બલિ અપાય છે. હજુ પણ મહારાષ્ટ્ર, બંગાળ અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પશુઓની બલિ આપવાનો રિવાજ છે અને તેના માટે યુવાન પશુઓની પસંદગી કરાય છે.
અરજીમાં ધાર્મિક અનુષ્ઠાનો સમયે પશુ બલિ પર પ્રતિબંધ મૂકવા માટે કડક કાયદો બનાવવા, જન જાગૃતિ વધારવા અને બીન સરકારી સંગઠનો સાથે મળીને કામ કરવાની માગણી કરાઈ છે.
અરજીમાં એમ પણ કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ અનેક કેસોમાં કહ્યું છે કે પ્રત્યેક જીવને જીવનનો અધિકાર છે. બંધારણની કલમ 21ના વ્યાપક દાયરામાં પશુઓના જીવનની સુરક્ષાનો પણ સમાવેશ થાય છે. આ અરજી પર હવે સુપ્રીમ કોર્ટ ચાર સપ્તાહ પછી આગામી સુનાવણી કરશે.


