India

10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેન્દ્ર સરકારની મંજૂરી, જથ્થાબંધ ખરીદદારો પર કડક નિયંત્રણો અમલી

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે તહેવારો પૂર્વે ખાંડના વધતા ભાવને નિયંત્રિત કરવા 10 લાખ મેટ્રિક ટન ડ્યૂટી-ફ્રી ખાંડની આયાતને મંજૂરી આપી છે. આ નિર્ણય ગ્રાહકોને મોંઘવારીથી બચાવવા અને રસોડાનું બજેટ જાળવી રાખવા લેવાયો છે. જથ્થાબંધ ખરીદદારો માટે સ્ટોક મર્યાદા પણ ઘટાડી 15 દિવસની કરી દેવાઈ છે. છેલ્લા 2 મહિનામાં ખાંડના ભાવમાં 40% નો ઉછાળો આવ્યો હતો, જેથી સરકારે આ કડક પગલું ભર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેન્દ્ર સરકારની મંજૂરી, જથ્થાબંધ ખરીદદારો પર કડક નિયંત્રણો અમલી

Govt Allows 1 Million Tonne Duty Free Sugar Import: તહેવારોની શરૂઆત પહેલાં ખાંડના વધી રહેલા ભાવ પર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સામાન્ય નાગરિકોના રસોડાનું બજેટ ન બગડે તે માટે સરકારે 10 લાખ (1 મિલિયન) મેટ્રિક ટન શુલ્ક-મુક્ત(ડ્યૂટી-ફ્રી) ખાંડની આયાતને મંજૂરી આપી છે, અને જથ્થાબંધ ખરીદદારો માટે સ્ટોક મર્યાદા ઘટાડી દીધી છે. તહેવારોની સીઝન શરૂ થતાં પહેલાં ગ્રાહકોને મોંઘવારીનો માર ન પડે તે માટે સરકારે આ કડક પગલું ભર્યું છે. છેલ્લા બે મહિનામાં ખાંડના ભાવમાં લગભગ 40%નો તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન ઘરઆંગણે ખાંડનો પૂરતો પુરવઠો જાળવી રાખવાનો અને કિંમતોને નિયંત્રણમાં રાખવાનો છે.

ખાંડના ભાવ કેમ વધ્યા અને સરકારે કેમ નિર્ણય લેવો પડ્યો?

ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ છે, અને સામાન્ય રીતે આયાત પર નિર્ભર નથી રહેતો. ભારતે અગાઉ 2017-18માં મોટા પાયે ખાંડની આયાત કરી હતી. જોકે, આ વર્ષે સ્થિતિ અલગ છે. ઑગસ્ટના અંતથી જાન્યુઆરી સુધી તહેવારોને કારણે મીઠાઈ, બેકરી અને સોફ્ટ ડ્રિંક્સમાં ખાંડની માંગ ટોચ પર હોય છે. આ વર્ષે માંગ વધતા પહેલાં જ પુરવઠા પર દબાણ ઊભું થતાં સરકારે આયાત નીતિ બદલવી પડી છે.

આંકડાઓની નજરે ખાંડની વર્તમાન સ્થિતિ

ભાવમાં મોટો ઉછાળો: છેલ્લા બે મહિનામાં ખાંડના ભાવમાં લગભગ 40%નો વધારો થયો છે, જ્યારે છેલ્લા એક મહિનામાં જ ભાવ 10% વધીને રૅકોર્ડ સ્તરે પહોંચ્યા છે.

મહારાષ્ટ્રમાં રેકોર્ડ ભાવ: ઇન્ડિયન સુગર ઍન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અનુસાર, મહારાષ્ટ્રમાં એક્સ-મિલ ખાંડના ભાવ રૅકોર્ડ ₹46 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.

નબળું ચોમાસું: શેરડીના પાક માટે મહત્ત્વપૂર્ણ ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં 13% ઓછો રહ્યો છે (જે જૂનના અંત સુધી 40%થી વધુ ઓછો હતો).

વાવેતરમાં ઘટાડો: કૃષિ મંત્રાલય અનુસાર, 14 ઑગસ્ટ સુધી શેરડીનું વાવેતર 58.3 લાખ હેક્ટર રહ્યું છે, જે ગત વર્ષ કરતાં થોડું ઓછું છે.

જથ્થાબંધ ખરીદદારો માટે સ્ટોક લિમિટના નવા નિયમો

જમાખોરી રોકવા માટે સરકારે બુધવારે નવો આદેશ જારી કર્યો છે. 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2026 સુધી, મહિનામાં 10 મેટ્રિક ટનથી વધુ ખાંડ વાપરતા મોટા ખરીદદારો માત્ર 15 દિવસની વપરાશ જેટલો જ સ્ટોક રાખી શકશે. અગાઉ આ મર્યાદા 30 દિવસની હતી, જેને ઘટાડીને 15 દિવસ કરી દેવાઈ છે.

સુગર મિલોની તૈયારી

ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની સુગર મિલોએ ખાદ્ય મંત્રાલય સાથેની ચર્ચા બાદ આ વર્ષે પિલાણની સીઝન સામાન્ય સમય કરતાં 10થી 15 દિવસ વહેલી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે પિલાણ નવેમ્બરમાં શરૂ થાય છે, પરંતુ આ વખતે ઑક્ટોબરના મધ્યમાં જ શરૂ કરી દેવાશે, જેથી તહેવારોની માંગ વખતે નવી ખાંડ બજારમાં આવી જાય. સરકારની 10 લાખ ટન ડ્યૂટી-ફ્રી આયાતની નીતિ અને જથ્થાબંધ વેપારીઓ પર સ્ટોક લિમિટથી તહેવારો દરમિયાન ખાંડના ભાવમાં સ્થિરતા આવવાની પૂરી શક્યતા છે.