અન્નામલાઈ બાદ ભાજપને લાગશે વધુ એક ઝટકો, કૅપ્ટન અમરિન્દરની કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Punjab Assembly Elections 2027 : પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ દાવો કર્યો છે કે, પૂર્વ મુખ્યમંત્રી કૅપ્ટન અમરિન્દર સિંહ કોંગ્રેસના સંપર્કમાં છે. હુડ્ડાએ કૅપ્ટનને પોતાના જૂના મિત્ર અને વરિષ્ઠ સાથી ગણાવ્યા છે, જેના કારણે કૅપ્ટનની કોંગ્રેસમાં વાપસીની અટકળો તેજ થઈ છે.
હુદ્દાના દાવા બાદ ભાજપે આપી પ્રતિક્રિયા
ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા (Bhupinder Singh Hooda)ના આ દાવા પર પંજાબ ભાજપના પ્રવક્તા પ્રિતપાલ સિંહ બલિયાવાલે (Pritpal Singh Baliawal) પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, માત્ર સંપર્કમાં હોવું કોઈ મોટી વાત નથી અને આ બાબતના અન્ય કોઈ અર્થ ન કાઢવા જોઈએ. તેમણે કટાક્ષ કરતાં એમ પણ ઉમેર્યું કે, રણદીપ સુરજેવાલા અને કુમારી શૈલજા તો એવું કહે છે કે, હુડ્ડા પોતે જ કોઈના સંપર્કમાં નથી રહેતા.
અમરિન્દર ભાજપની કામગીરી નારાજ
કૅપ્ટન અમરિન્દર સિંહ (Captain Amarinder Singh) ભાજપની કામગીરી નારાજ હોવાનું મનાય છે. તેમનું કહેવું છે કે, કોંગ્રેસમાં પંજાબના નિર્ણયો લેતી વખતે તેમની સલાહ લેવાતી હતી, જ્યારે ભાજપમાં હાઇકમાન્ડ સીધા નિર્ણયો લે છે. પંજાબ ભાજપના પ્રમુખ તરીકે માત્ર ધિલ્લોનની નિમણૂક કરતી વખતે પણ તેમની કોઈ સલાહ લેવામાં આવી ન હતી.
હું કોંગ્રેસને મિસ કરું છું : અમરિન્દર
કૅપ્ટને તાજેતરમાં જ કહ્યું હતું કે, તેઓ આજે પણ કોંગ્રેસને મિસ કરે છે અને તેને એક પરિવાર સમાન ગણે છે. તેમણે ઉમેર્યું કે તેમના જન્મદિવસ પર અને ભાઈ રણધીરના અવસાન પર રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સંદેશો મોકલ્યો હતો, પરંતુ ભાજપમાંથી કોઈએ સંવેદના પણ વ્યક્ત કરી ન હતી.
આ પણ વાંચો : બંધારણ નિષ્ણાત અને પદ્મભૂષણ ડૉ. સુભાષ કશ્યપનું નિધન, 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ગઠબંધન અંગે મતભેદ
કૅપ્ટન અમરિન્દર સિંહ પંજાબ ચૂંટણી માટે અકાલી દળ સાથે ગઠબંધન કરવાના પક્ષમાં છે. જોકે, ભાજપ નેતૃત્વ તમામ 117 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યું છે. આ મતભેદોના કારણે કૅપ્ટન ભાજપમાં અવગણના અનુભવી રહ્યા છે.
અન્નામલાઈ અંગે અટકળો
આ રાજકીય હલચલ વચ્ચે તમિલનાડુ BJPના પૂર્વ અધ્યક્ષ કે.અન્નામલાઈ (K.Annamalai) પણ પક્ષમાંથી રાજીનામું આપે તેવી ચર્ચા છે. જોકે, હજુ તેમનું રાજીનામું સ્વીકારાયું નથી. એવી અટકળો છે કે, અન્નામલાઈ નવો રાજકીય પક્ષ બનાવી શકે છે, પરંતુ તેમણે હજુ સુધી કોઈ સત્તાવાર યોજના જાહેર કરી નથી.
આ પણ વાંચો : મમતા બેનરજી સામે FIR દાખલ, કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સામે લગાવ્યો હતો ગંભીર આરોપ









