India

બાંગ્લાદેશીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ બીએસએફએ સરહદે સુરક્ષા વધારી

By GS Team
7 Jun 20262 mins read
બાંગ્લાદેશીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ બીએસએફએ સરહદે સુરક્ષા વધારી

- સરહદે બાંગ્લાદેશ તરફ અનેક લોકો એકઠા થયા

- બાંગ્લાદેશ પોતાના નાગરિકોને સ્વીકારવા તૈયાર નથી ભારત પર બળજબરીથી ઘૂસાડવાનો આરોપ લગાવ્યો

કોલકાતા : ભારત-બાંગ્લાદેશ સરહદે થોડા સમય માટે તંગદીલી જેવો માહોલ સર્જાયો હતો, બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો જોકે તાત્કાલીક બીએસએફના જવાનો એલર્ટ થઇ જતા સ્થિતિ કાબુમાં લઇ શકાઇ હતી. કૂચવિહાર જિલ્લાના મેખલીગંજ બ્લોકમાં આ ઘટના સામે આવી હતી. અચાનક મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ ભારતની સરહદ પાસે એકઠા થવા લાગ્યા હતા. 

ભારત અને બાંગ્લાદેશ સરહદની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જેમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ સરહદ પાસે જોવા મળ્યા હતા. 

એક બાદ એક અનેક બાંગ્લાદેશીઓ એકઠા થઇ ગયા હતા, તેઓ ઘૂસણખોરી કરવા માગતા હતા કે કેમ તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

જોકે જેવા તેઓ એકઠા થતા ગયા કે તુરંત જ બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફ પણ એલર્ટ થઇ ગયું અને સરહદે જવાનોની તૈનાતી વધારી દેવામાં આવી હતી. આ દરમિયાન ૧૦ બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા ઘૂસવા પ્રયાસ થયો હતો જેને નિષ્ફળ બનાવાયો હતો.  

બીજી તરફ હાલમાં પશ્ચિમ બંગાળમાંથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સરહદે પહોંચી રહ્યા છે અને તેઓ પરત બાંગ્લાદેશમાં પ્રવેશવા પ્રયાસ કરી રહ્યા છે. 

એવામાં બાંગ્લાદેશ પણ તેઓને હવે સ્વીકારવા તૈયાર નથી અને દાવો કરી રહ્યું છે કે ભારત બાંગ્લાદેશમાં ઘૂસણખોરી કરાવી રહ્યું છે. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ જીબીજીએ દાવો કર્યો છે કે ભારતના સુરક્ષા દળ બીએસએફ દ્વારા શુક્રવારે સવારે બાંગ્લાદેશી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોને ઘૂસાડવા પ્રયાસ કર્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં લાલમોનિરહાટ, પંચગઢ, નૌગાંવ વગેરે ક્ષેત્રોમાં લોકોને ઘૂસાડવા પ્રયાસ થયો હતો તેવો દાવો બાંગ્લાદેશ કર્યો છે જેને બીએસએફ અને ભારત દ્વારા ફગાવાયો હતો.