એક તરફી પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન, બ્રિક્સની બેઠકમાં જયશંકરની અમેરિકાને આડકતરી ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India BRICS Chairmanship 2026: વૈશ્વિક સ્તરે પ્રવર્તમાન રાજકીય તણાવ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે નવી દિલ્હીમાં BRICS જૂથના વિદેશ મંત્રીઓની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આકરા તેવર બતાવતા અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો અને ટૅરિફ પર પરોક્ષ રીતે આકરા પ્રહારો કર્યા હતા.
ડિપ્લોસીની જગ્યા દબાણ ન લઈ શકે
બેઠકના પ્રારંભિક સંબોધનમાં એસ. જયશંકરે જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા અનેક કટોકટીઓ હેઠળ દબાયેલી છે, જેમાં સશસ્ત્ર સંઘર્ષ, ગ્લોબલ વોર્મિંગ અને કોવિડ-19 પછીની અસરો મુખ્ય છે. તેમણે અમેરિકા દ્વારા ભારતીય આયાત પર લાદવામાં આવેલા ટૅરિફના સંદર્ભમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટર સાથે અસંગત હોય તેવા એકતરફી પ્રતિબંધો પર ધ્યાન આપવું અનિવાર્ય છે. આવા પગલાં વિકાસશીલ દેશોને અસર કરે છે. અન્યાયી પગલાં ક્યારેય સંવાદનો વિકલ્પ બની શકે નહીં, કે દબાણ ડિપ્લોમસીનું સ્થાન લઈ શકે નહી.
ભારત અને અમેરિકા વચ્ચે ટૅરિફ વિવાદનો સંદર્ભ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 25 ટકા પરસ્પર ટૅરિફ લાદ્યો હતો અને ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાના બદલામાં વધારાનો 25 ટકા ટૅરિફ ઠોકી બેસાડ્યો હતો. જોકે, ફેબ્રુઆરી 2026 માં યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ ટૅરિફના ચુકાદા બાદ આ ટૅરિફને WTO ના ધોરણો મુજબ ઘટાડીને કામચલાઉ ધોરણે 10 ટકા સરચાર્જ પર લાવવામાં આવ્યો છે. જયશંકરે આ ઘટનાઓને માત્ર છૂટીછવાઈ ઘટનાઓ નહીં પરંતુ વિકાસશીલ દેશોની નબળાઈ વધારતા આંતરરાષ્ટ્રીય પડકારો ગણાવ્યા હતા.
BRICS માં આંતરિક મતભેદો અને પડકારો
નવી દિલ્હીમાં યોજાયેલી આ બે-દિવસીય બેઠકમાં ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના મંતવ્યોમાં તફાવતને કારણે સંયુક્ત નિવેદન જારી કરવામાં મુશ્કેલી પડી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ખાસ કરીને ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સૈન્ય અભિયાનને લઈને બ્લોકની અંદર વિભાજન જોવા મળ્યું હતું. તેમ છતાં, ઉભરતા અર્થતંત્રો BRICSને અનિશ્ચિતતા વચ્ચે સ્થિરતાના પ્રતીક તરીકે જોઈ રહ્યા છે.
મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનું વલણ
પ્રાદેશિક સંઘર્ષો માત્ર ભૌગોલિક સીમાઓ પૂરતા મર્યાદિત નથી, તે ઊર્જા પુરવઠા, ખાદ્ય અને ખાતર સુરક્ષા, સપ્લાય ચેઇન અને મોંઘવારી પર માઠી અસર કરે છે. પશ્ચિમ એશિયાની સ્થિતિને ટાંકીને તેમણે કહ્યું કે, હોર્મુઝની સામુદ્રધુની અને લાલ સમુદ્ર જેવા જળમાર્ગો દ્વારા અવિરત અવરજવર વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત મહત્ત્વની છે. સીમાપાર આતંકવાદ આંતરરાષ્ટ્રીય સંબંધોના પાયાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે અને તે કોઈપણ સ્વરૂપે વાજબી ઠેરવી શકાય નહીં. ભારતે પેલેસ્ટાઇન મુદ્દે 'ટુ-સ્ટેટ સોલ્યુશન' માટે સમર્થન પુનરોચ્ચાર્યું હતું અને ગાઝામાં ત્વરિત યુદ્ધવિરામ અને માનવતાવાદી સહાયની અપીલ કરી હતી.
UNમાં સુધારાની માંગ
જયશંકરે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં સુધારા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે વર્તમાન સંસ્થાઓ વૈશ્વિક વાસ્તવિકતાઓ સાથે તાલ મિલાવવામાં નિષ્ફળ રહી છે. ભારત કાયમી અને બિન-કાયમી સભ્યપદ બંને શ્રેણીઓમાં વિસ્તરણની માંગ કરી રહ્યું છે જેથી વધુ ન્યાયી અને સમાવેશી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ઊભી કરી શકાય. આ બેઠકમાં ઈરાનના અબ્બાસ અરાકચી અને યુએઈના ખલીફા શાહીન અલ મરાર સહિત મોટાભાગના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓએ હાજરી આપી હતી.









