Nitin Nabin slams Cockroach Janta Party: દિલ્હીના જંતર-મંતર પર 'કોકરોચ જનતા પાર્ટી'ના પ્રદર્શન અને તેને મળેલા વિપક્ષી સમર્થન બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ જવાબ આપ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નબીને શનિવારે આક્ષેપ કર્યો છે કે કેટલીક અદ્રશ્ય તાકાતો દેશના યુવાનોને 'નકારાત્મક રાજનીતિ' તરફ ધકેલવાનો પ્રયાસ કરી રહી છે. ભારતના યુવાનો દેશના નવનિર્માણમાં અને પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવામાં વિશ્વાસ રાખે છે, તેઓ કોઈના હાથની કઠપૂતળી બનશે નહીં.
કોકરોચ જનતા પાર્ટીનું નામ લીધા વિના પ્રહાર
ઝારખંડના રાંચીમાં કાર્યક્રમને સંબોધિત કરતી વખતે નિતિન નબીને જણાવ્યું હતું કે, કેટલાક લોકો વિદેશમાં બેસીને એવું વિચારે છે કે તેઓ ભારતના યુવાનોને ખોટી દિશામાં દોરી શકે છે. જોકે તેમણે પોતાના ભાષણમાં કોઈનું નામ લીધું ન હતું, પરંતુ તેમનું આ નિવેદન સીધું જ 'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે.
યુવાનો હંમેશા સકારાત્મક રાજકારણ જ પસંદ કરશે: નિતિન નબીન
નિતિન નબીને કહ્યું હતું કે, આજનો યુવાન ઇનોવેશન રાષ્ટ્ર નિર્માણની પ્રગતિશીલ વિચારસરણી સાથે આગળ વધી રહ્યો છે. દેશમાં અત્યારે કાર્યરત આશરે 2 લાખ જેટલા સ્ટાર્ટઅપ્સ ભારતીય યુવાનોની સખત મહેનત અને અદભુત પ્રતિભાનું જ પરિણામ છે. ભારત આજે ગ્લોબલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મુખ્ય કેન્દ્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
નિતિન નબીને વધુમાં કહ્યું હતું કે લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવાનો દરેકને અધિકાર છે, પરંતુ તે લોકતાંત્રિક મર્યાદાઓની અંદર જ હોવો જોઈએ. જે લોકો યુવાનોને સિસ્ટમ વિરોધી રાજનીતિ તરફ ધકેલવા માંગે છે, તેમણે સમજી લેવું જોઈએ કે ભારતનો યુવા હંમેશાં માત્ર સકારાત્મક રાજનીતિની જ પસંદગી કરશે.


