Cockroach Janata Party : સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવનાર કોકરોચ જનતા પાર્ટી (CJP) કેમ્પેઈન હવે દેશના રાજકારણમાં એક મોટો વિવાદ બની ગયું છે. ભાજપે આ વ્યંગાત્મક સોશિયલ મીડિયા અભિયાનને ભારતને અસ્થિર કરવા માટેનું ક્રોસ-બોર્ડર ઇન્ફ્લુઅન્સ ઓપરેશન ગણાવ્યું છે. કેરળ ભાજપના પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે આ મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તપાસ કરવાની માંગ કરી છે.
ભાજપના નેતાએ કરેલા દાવા
કોકરોચ જનતા પાર્ટી (CJP) નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર 2.19 કરોડથી વધુ ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની સરકાર અને ભારતની પ્રગતિને રોકવા માટે આ એક આયોજિત ટૂલ છે, જેમાં દેશના વિપક્ષી નેતાઓ પણ સામેલ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ કરીને સોશિયલ મીડિયા, બોટ્સ અને AI ના હથિયાર તરીકે ઉપયોગ કરીને નકલી નેરેટિવ ઊભું કરાઈ રહ્યું હોવાનો પણ દાવો કર્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની એક કથિત ટિપ્પણી બાદ આ કેમ્પેઈન શરૂ થયું હતું.
આ પણ વાંચો : 'કોકરોચ જનતા પાર્ટી' ની વેબસાઈટ ડાઉન, ફાઉન્ડરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક થયાનો દાવો
આ ભારતની પ્રગતિ રોકવાનો પ્રયાસ હોવાનો રાજીવ ચંદ્રશેખરનો દાવો
કેરળ ભાજપના પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "કોકરોચ જનતા પાર્ટીની આ ચાલ ભારત અને પીએમ મોદીની સરકારને નિશાન બનાવતું એક ક્લાસિક ક્રોસ-બોર્ડર ઓપરેશન છે. આ ચોક્કસ હિત ધરાવતા જૂથો દ્વારા ભારતને અસ્થિર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને આપણા વિપક્ષના કેટલાક તત્વો તેમને મદદ કરી રહ્યા છે."
ચંદ્રશેખરે દાવો કર્યો કે, કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ, અમેરિકા-ઈરાન તણાવ અને ચીની આક્રમકતા છતાં પીએમ મોદીએ ભારતીય અર્થતંત્રને સુરક્ષિત રાખ્યું છે. આ જ કારણે વૈશ્વિક સ્તરે કેટલાક દેશો ભારતની આ પ્રગતિની ઈર્ષ્યા કરી રહ્યા છે અને અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કરે છે. કોઈ કોકરોચ, કોઈ તુચ્છ વિપક્ષી રાજકારણી, કોઈ મોદી-વિરોધી કે કોઈ વિદેશી હિત ધરાવતું જૂથ તમામ ભારતીયોના સારા ભવિષ્યના સંકલ્પને ડગાવી શકશે નહીં.
આ પણ વાંચો : AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું 'ઈનામ'! રાજ્યસભામાં મળી ખાસ જવાબદારી
શું છે આ કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ?
આ મહિનાની શરૂઆતમાં આમ આદમી પાર્ટીના પૂર્વ પોલિટિકલ કમ્યુનિકેશન સ્ટ્રેટેજિસ્ટ દીપકે એક વ્યંગાત્મક અભિયાન તરીકે CJP ની શરૂઆત કરી હતી. આ કેમ્પેઈન ત્યારે વાયરલ થયું જ્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા બેરોજગારો પ્રત્યે કથિત રીતે કરવામાં આવેલી એક ટિપ્પણી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની. યુવાનોમાં આ બાબતે ભારે નારાજગી જોવા મળી અને જોતજોતામાં આ સેટાયર પેજના ફોલોઅર્સ કરોડોમાં પહોંચી ગયા. જોકે, ચીફ જસ્ટિસે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે, તેમની ટિપ્પણી કાયદેસરના વકીલો માટે નહીં, પરંતુ નકલી અને બોગસ ડિગ્રી ધરાવતા લોકો માટે હતી.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને સાંસદે પણ કર્યો બચાવ
ભાજપના રાજ્યસભા સાંસદ અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) ના ચેરમેન મનન કુમાર મિશ્રાએ પણ આ મામલે NIA તપાસની માંગને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ચીફ જસ્ટિસના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. મનન કુમારે દાવો કર્યો કે, "કોર્ટ પરિસરમાં કાળો કોટ પહેરીને ફરતા અંદાજે 35 થી 40 ટકા લોકો નકલી છે. તેમની ડિગ્રીઓ બોગસ છે અને તેઓ ક્યાંકથી ખરીદીને વકીલાત કરી રહ્યા છે. ચીફ જસ્ટિસની ટિપ્પણી આવા લોકો સામે હતી. મિશ્રાએ ઉમેર્યું કે, ભારતીય બાર કાઉન્સિલના નેતા તરીકે તેઓ ટૂંક સમયમાં આ અંગે મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન પણ જાહેર કરશે.


