Bihar Rajya Sabha Cross Voting: બિહારમાં રાજ્યસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે એનડીએના તમામ પાંચેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. એનડીએની આ જીતથી રાજ્યના રાજકીય સમીકરણોમાં તેની પકડ વધુ મજબૂત બની છે અને સત્તાધારી પક્ષોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ ચૂંટણીમાં વિપક્ષી મહા ગઠબંધનને મોટો આંચકો લાગ્યો છે, છેલ્લી ક્ષણ સુધી ગઠબંધનના ચાર ધારાસભ્યો મતદાન કરવા પહોંચ્યા ન હોતા. બીજી તરફ, સત્તાધારી NDAના તમામ 202 ધારાસભ્યોએ એકજૂથ થઈને મતદાન કર્યું છે, જેના કારણે NDAના પાંચમા ઉમેદવાર શિવેશ કુમારની પણ જીત થઈ છે.
કોંગ્રેસ અને RJDના 4 ધારાસભ્યોએ કરી રાજરમત
ચૂંટણીના પરિણામો પહેલા જ મહાગઠબંધન માટે આંકડાકીય રમત બગડી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, RJDના ધારાસભ્ય ફૈસલ રહેમાને(ઢાકા બેઠક) મતદાન કર્યું નથી. આ ઉપરાંત, કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો પણ મતદાનથી દૂર રહ્યા છે.
મનોહર પ્રસાદ: મનિહારી(કટિહાર)થી કોંગ્રેસ ધારાસભ્ય
સુરેન્દ્ર કુશવાહા: વાલ્મીકિ નગર(બઘા)થી કોંગ્રેસ ધારાસભ્ય
મનોજ વિશ્વાસ: ફારબિસગંજ(અરરિયા)થી કોંગ્રેસ ધારાસભ્ય
ફૈસલ રહેમાન: ઢાકા(પૂર્વ ચંપારણ)થી RJDના ધારાસભ્ય
પાંચેય બેઠકો પર NDAની જીત
આ ચાર ધારાસભ્યોની ગેરહાજરીને કારણે મહા ગઠબંધનનો આંકડો માત્ર 37 પર અટકી ગયો છે. ગણતરી મુજબ, NDAના ઉમેદવાર શિવેશ કુમારને 38 મતો મળ્યા છે, જ્યારે RJDના ઉમેદવાર અમરેન્દ્ર ધારી સિંહ (એડી સિંહ) 37 મતો સુધી સીમિત રહી ગઈ છે. જેને લઈને રાજ્યસભાની પાંચેય બેઠકો પર NDAનો કબજો થઈ ચૂક્યો છે અને RJDના હાથમાંથી એક મહત્ત્વની બેઠક સરકી ગઈ છે.
મહા ગઠબંધનની એકતા પર સવાલ
મતદાન દરમિયાન NDA નેતાઓએ અગાઉથી જ દાવો કર્યો હતો કે વિપક્ષી છાવણીમાં મોટું ક્રોસ વોટિંગ થઈ શકે છે. કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા ન પહોંચતા આ દાવો સાચો સાબિત થતો જણાય છે. સત્તાવાર પરિણામોએ બિહારના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને મહા ગઠબંધનની આંતરિક એકતા પર સવાલો ઊભા કર્યા છે.


