India

રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનો SITની પુનઃરચનાનો આદેશ, કહ્યું- રાજકારણ ના કરશો

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના કેસમાં સુપ્રીમ કોર્ટે SIT પુનર્ગઠનનો આદેશ આપ્યો છે. CJI સૂર્યકાંતની બેન્ચે સિનિયર IPS અધિકારીની આગેવાની હેઠળ નવી SIT બનાવવાની તાકીદ કરી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ 8 આરોપીઓની ધરપકડ અને સક્રિય તપાસની જાણ કરી. કોર્ટે આ મુદ્દાનું રાજકીયકરણ ન કરવાની કડક સલાહ આપી. આગામી સુનાવણી 27 જુલાઈએ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનો SITની પુનઃરચનાનો આદેશ, કહ્યું- રાજકારણ ના કરશો

Ram Mandir donation theft case: અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીના ચકચારી કેસમાં સુપ્રીમ કોર્ટમાં એક મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવી છે. સોમવારે (20 જુલાઈના રોજ) દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ સમક્ષ આ મામલાની સુનાવણી થઈ હતી. દેશની સર્વોચ્ચ અદાલતે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોઈ સિનિયર IPS અધિકારીની આગેવાની હેઠળ ગુનાની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)નું પુનર્ગઠન કરવાનો મહત્ત્વનો આદેશ આપ્યો છે.

બીજી તરફ, સરકાર પક્ષે હાજર રહેલા સોલિસિટર જનરલ(SG) તુષાર મહેતાએ કોર્ટને માહિતી આપી હતી કે આ મામલે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરી દેવામાં આવ્યો છે. તેમણે કોર્ટને વધુમાં જણાવ્યું કે આ કેસની તપાસ ખૂબ જ સક્રિયતાથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે.

આ એક ગંભીર અને કોગ્નિઝિબલ ગુનો છે: સોલિસિટર જનરલ

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલને સવાલ કર્યો હતો કે, 'હાલમાં આ કેસની તપાસ કોણ ચલાવી રહ્યું છે?' આ પ્રશ્નના જવાબમાં સોલિસિટર જનરલે જણાવ્યું કે, 'આ સમગ્ર ઘટના પાછળનું સત્ય બહાર લાવવા માટે પહેલા એક SITની રચના કરવામાં આવી હતી. હાલમાં પોલીસ તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. SITની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ એક કોગ્નિઝિબલ ઓફેન્સ(એવો ગંભીર ગુનો જેમાં પોલીસ વોરંટ વગર પણ આરોપીની ધરપકડ કરી શકે છે) છે.'

સુપ્રીમ કોર્ટની કડક સલાહ: આ મુદ્દાનું રાજકીયકરણ ન કરો

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, 'કોર્ટ આ કેસની તપાસના દરેક પાસા પર બારીકાઈથી નજર રાખી રહી છે અને આગામી 3-4 દિવસમાં આ મામલે ફરી સુનાવણી કરવામાં આવશે.' તેમણે સરકારને તપાસ માટે વરિષ્ઠ અધિકારીઓ સાથેની એક નવી અને સક્ષમ એસઆઇટી(SIT) બનાવવાની તાકીદ કરી હતી, જેના પર સોલિસિટર જનરલે સહમતી દર્શાવતા કહ્યું કે, 'સરકાર ટૂંક સમયમાં નવી ટીમ તૈયાર કરીને તેની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરશે.'

આ સાથે જ ચીફ જસ્ટિસે કડક શબ્દોમાં મહત્ત્વની સલાહ આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, 'આ સંવેદનશીલ મુદ્દા પર કોઈ પણ પ્રકારનું રાજકારણ રમાવવું જોઈએ નહીં, કારણ કે કોર્ટ રાજકીય અખાડો નથી. આ સીધેસીધો એક સામાન્ય ગુનાનો મામલો છે અને અદાલતનું એકમાત્ર લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે આ સમગ્ર કૌભાંડની તપાસ કોઈ પણ ભેદભાવ વિના બિલકુલ યોગ્ય અને કાયદેસર રીતે થાય.'

આગામી સુનાવણી 27 જુલાઈએ થશે

રામ મંદિરના દાનની ચોરીના આ કેસમાં હવે સુપ્રીમ કોર્ટ આગામી 27 જુલાઈના રોજ ફરી સુનાવણી હાથ ધરશે. આ આગામી સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કોર્ટને નવી એસઆઇટી(SIT)ની રચના અને તેની તપાસની પ્રક્રિયા અંગે સત્તાવાર રીતે માહિતગાર કરવામાં આવશે.