| Image From X |
Twisha Sharma Bhopal News: ભોપાલમાં બનેલી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટનામાં નોઇડાની રહેવાસી ૩૩ વર્ષીય ટ્વિશા શર્મા નામની પરિણીતાએ શંકાસ્પદ સંજોગોમાં આત્મહત્યા કરી લીધી છે. ટ્વિશાના મોત બાદ તેની અને તેની માતા વચ્ચે થયેલી વૉટ્સએપ ચેટ સામે આવી છે, જે તેના પર સાસરીમાં થતા ભયાનક માનસિક અને શારીરિક ત્રાસની ગવાહી આપે છે. ટ્વિશા લગ્નના ગણતરીના મહિનાઓમાં જ પોતે કેદ હોય તેવું અનુભવતી હતી અને તેના છેલ્લા શબ્દો હતા: "મને અહીં બહુ ગૂંગળામણ થઈ રહી છે મા..."
ડેટિંગ એપ પર મુલાકાત અને લગ્નનો કરુણ અંત
એમબીએ (MBA) ગ્રેજ્યુએટ ટ્વિશા શર્મા વર્ષ 2024માં ડેટિંગ એપ દ્વારા ભોપાલના એડવોકેટ સમર્થ સિંહને મળી હતી. બંનેએ ડિસેમ્બર 2025માં લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ ટ્વિશાનું જીવન નરક બની ગયું હતું. મંગળવાર, 12 મેના રોજ ભોપાલમાં પતિના ઘરેથી ટ્વિશાની લાશ મળી આવી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો
પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, ટ્વિશાનું મોત ગળેફાંસો ખાવાના કારણે થયું હતું અને જ્યારે તેને ફાંસી અપાઈ ત્યારે તે જીવતી હતી. સૌથી ગંભીર બાબત એ છે કે, તેના શરીરના અન્ય ભાગો પર પણ ઈજાઓ અને સોજાના અનેક નિશાનો મળી આવ્યા છે, જે દર્શાવે છે કે મોત પહેલાં તેની સાથે મારપીટ કરવામાં આવી હતી.
ટ્વિશાની દર્દનાક આપવીતી
એક ખાનગી ચેનલે દાવો કર્યો કે, ટ્વિશા અને તેની માતા વચ્ચેની વૉટ્સએપ ચેટ તેના લગ્નજીવનની કડવી હકીકત રજૂ કરે છે.

30 એપ્રિલ: "મારું જીવન નરક બની ગયું છે મમ્મી"
ટ્વિશાએ તેની માતાને મેસેજ કરીને પૂછ્યું હતું કે, મને અહીં કેમ મોકલી? એરપોર્ટથી ઘર સુધીના રસ્તે પણ તે (સમર્થ) મારી સાથે એક શબ્દ બોલ્યો નથી. ભોપાલ બોલાવીને ફરી એ જ જૂનું નાટક શરૂ થઈ ગયું છે. મારું જીવન નરક બની ગયું છે મમ્મી.

આ પણ વાંચો : AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી... PM મોદીના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ
7 મે: મને અહીંથી લઈ જાઓ
7 મેના રોજ ટ્વિશાએ આજીજી કરતા લખ્યું, "મા, પ્લીઝ કાલે મને અહીંથી લેવા આવી જાવ. એવું લાગે છે કે તેને હવે મારી કોઈ જરૂર નથી અને તે માત્ર મને સહન કરી રહ્યો છે."
ચારિત્ર્ય પર આક્ષેપ અને કસુવાવડની ફરજ
ચેટમાંથી સામે આવ્યું છે કે ટ્વિશા પર ગર્ભમાં રહેલું બાળક તેનું ન હોવાના ગંભીર આક્ષેપો લગાવીને તેને કસુવાવડ (અબોર્શન) કરાવવા માટે મજબૂર કરવામાં આવી હતી. 9 મેના રોજ તેણે લખ્યું: "તે મને પૂછે છે કે એ કોનું બાળક હતું, અને તમે ઈચ્છો છો કે હું આ વાતની અવગણના કરું? તે પોતાના કલંકિતપણાની તમામ હદો વટાવી ચૂક્યો છે. હું આની સાથે કેવી રીતે રહું? મમ્મી, હું અહીં પાગલ થઈ જઈશ, હવે મારાથી આ સહન નથી થતું.

પિતા પાસે નાક રગડાવવાની માગ
ટ્વિશાએ જણાવ્યું કે તેનો પતિ અત્યંત ક્રૂર છે. તેણે લખ્યું હતું: "તે મારા પિતા પાસે ઘૂંટણિયે બેસીને, નાક રગડાવીને માફી મંગાવવા માંગે છે." ટ્વિશાએ તેના પતિ અને સાસુ ગિરિબાલા સિંહને અત્યંત નિર્દય ગણાવ્યા હતા.
15 મિનિટની એ ગેમ અને છેલ્લો ફોન કોલ
ટ્વિશાના ભાઈ મેજર હર્ષિત શર્માએ (ભારતીય સેનાના અધિકારી) ઘટનાની રાત્રિના છેલ્લા અડધા કલાકની વિગતો આપી છે.
રાત્રે 10.05 વાગ્યે: ટ્વિશાએ તેની માતાને ફોન કરીને રડતા-રડતા પોતાની પીડા જણાવી રહી હતી. આ દરમિયાન અચાનક તેનો પતિ સમર્થ રૂમમાં આવી જતાં ટ્વિશાએ ફોન કાપી નાખ્યો હતો. ત્યાર બાદ પરિવારે વારંવાર ફોન કર્યા પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં.
રાત્રે 10.15 વાગ્યે: સાસુ ગિરિબાલા સિંહે ફોન ઉપાડ્યો, ત્યારે ટ્વિશાના પરિવારે તેમને વિનંતી કરી કે તે રૂમમાં જઈને તાત્કાલિક ટ્વિશાને ચેક કરે.
રાત્રે 10.20 વાગ્યે: માત્ર 5 જ મિનિટ પછી સાસુએ ફોન કરીને જણાવ્યું કે, "ટ્વિશા શ્વાસ નથી લઈ રહી."
![]() |
| ટ્વિશાનો પતિ અને સાસુ |
સારવારમાં વિલંબનો આરોપ
પરિવારનો આરોપ છે કે હોસ્પિટલ ઘરથી માત્ર 10 મિનિટના અંતરે હોવા છતાં સાસરીવાળા ટ્વિશાને રાત્રે 11.30 વાગ્યે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ મામલે ભોપાલ પોલીસે ફરાર આરોપી પતિ સમર્થ સિંહ સામે દહેજ ઉત્પીડન અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.



