Get The App

ગ્રાહકની ફરિયાદ ભારે પડી: ઓલાના CEO ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
ગ્રાહકની ફરિયાદ ભારે પડી: ઓલાના CEO ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો 1 - image

Bhavish Aggarwal Arrest Warrant : દેશની મુખ્ય ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની ‘ઓલા ઈલેક્ટ્રીક’ની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈવીમાં લાગી રહેલી આગ જેવા પડકારોનો સામનો કરી રહેલા કંપનીના સીઈઓ અને ફાઉન્ડર ભાવિશ અગ્રવાલ મોટી મુસીબતમાં ફસાયા છે. ગોવાની ગ્રાહક તકરાર નિવારણ આયોગે ઓલા ઈલેક્ટ્રીક સંબંધીત એક કેસમાં કડક વલણ અપનાવીને ભાવિશ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે.

રિપેરિંગમાં મૂકેલું EV ન આપ્યું અને જવાબ પણ ન આપ્યો

વાસ્તવમાં પ્રીતિશ ચંદ્રકાંત ઘાડીએ ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કરી છે. ઘાડીએ આક્ષેપ કર્યો છે કે, તેમણે ઓલાને ઈલેક્ટ્રીક બાઇક રેપિરંગ કરવા માટે આપ્યું હતું. જોકે કંપની તે બાઇકની કોઈપણ માહિતી આપતી નથી. ચોંકાવનારી વાત એ છે કે, ઘાડીએ ઓલાને પહેલેથી જ બાઇકની સંપૂર્ણ કિંમત ચૂકવી દીધી છે, છતાં તેમને હજુ સુધી બાઇક અપાઈ નથી. એટલું જ નહીં કંપની તેમને સંતોષકારણ જવાબ પણ આપતી નથી.

EV ખરીદતાં જ ખામી, રિપેરિંગમાં ગયા બાદ પરત ન આપી

ફરિયાદીએ કહ્યું કે, તેણે ઓલા ઈલેક્ટ્રીક પ્રાયવેટ લિમિટેડ પાસેથી ઈલેક્ટ્રીક બાઇક ખરીદી હતી. થોડા સમય બાદ તેમાં ખામી શરુ થઈ ગઈ, ત્યારબાદ તેમણે બાઇક રિપેરિંગ કરવા માટે ઓલાને સોંપી દીધી. ઘણો લાંબો સમય થવા છતાં હજુ સુધી બાઇક રિપેરિંગ થઈને પરત અપાઈ નથી અને હાલ તેઓની બાઇક ક્યાં છે, તેની માહિતી કંપનીએ આપી જ નથી.

આ પણ વાંચો : NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી

ગોવાના ગ્રાહક વિવાદ નિવારણ પંચ ઘાડીની ફરિયાદને ગંભીરતાથી લીધી છે. પંચે ચોથી ફેબ્રુઆરીએ આપેલી આદેશમાં કહ્યું છે કે, ગ્રાહકે ઓલાને સંપૂર્ણ કિંમત ચૂકવી છતાં કંપનીએ ખૂબ જ બેજવાબદારભર્યું વર્તન દાખવ્યું છે. કંપનીએ ગ્રાહક વિરુદ્ધ કરેલો વ્યવહાર બેજવાબદાર અને ઉદાસીન છે. આ જ કારણે ફરિયાદીની બાઇક વિશે સ્પષ્ટ માહિતી મળે તે માટે, પંચે ઓલા ઈલેક્ટ્રીકના CEO અને ફાઉન્ડર ભાવિશ અગ્રવાલ (Bhavish Aggarwal)ને વ્યક્તિગત હાજર થવાનો આદેશ આપ્યો છે. પંચે તેમને બાઇક રિપેરિંગ કરવામાં આટલો લાંબો સમય કેમ લાગ્યો અને ડિલીવરી કેમ કરવામાં આવી નથી, તેનો જવાબ આપવા આદેશ કર્યો છે.

હાજર ન થતા ધરપકડ વોરંટ

પંચનો આદેશ છતાં ભાવિશ અગ્રવાલ હાજર થયા નથી, જેના કારણે પંચે કડક વલણ અપનાવીને બેંગલુરુ પોલીસને તેમના વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ફટકારવાનો આદેશ આપ્યો છે. આદેશ મુજબ 1,47,499ના રકમના જામીન વોરંટ જારી કરવામાં આવ્યા છે. પંચે તેમના બેંગલુર સ્થિત નિવાસસ્થાને વોરંટ મોકલવાનો આદેશ આપ્યો છે. જો તેઓ પોલીસ સમક્ષ હાજર થાય અને આ રકમ જેટલા જામીન રજૂ કરે, તો તેમની ધરપકડ ટાળી શકાય છે. પંચે આગામી સુનાવણી 23 ફેબ્રુઆરી-2026ના રોજ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. સીઈઓ અને ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે આ જ દિવસે હાજર થવાનું છે.

આ પણ વાંચો : ભારતના ઈતિહાસની સૌથી મોટી ડિફેન્સ ડીલ પર વાગશે મહોર! મેક્રોનની ભારત મુલાકાત પર દુનિયાભરની નજર