Maharashtra Political News : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળ્યા બાદ હવે સુનેત્રા પવાર પક્ષના સંગઠનમાં પણ મોટી ભૂમિકા નિભાવતા જોવા મળવાના છે. મુંબઈમાં સોમવારે મળેલી NCPના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યોની બેઠકમાં સુનેત્રા પવારને પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટે સર્વસંમતિ સધાઈ છે. આ સાથે જ તેઓ સ્વ. અજિત પવારના રાજકીય વારસાને આગળ ધપાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સુનેત્રા પવારની વરણી
પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલે સુનેત્રા પવાર(Sunetra Pawar)ના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ હાથ ઉઠાવીને સમર્થન આપ્યું છે. આ નિર્ણય પર આગામી 26 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાનારી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સત્તાવાર રીતે અંતિમ મહોર મારવામાં આવશે.
બેઠકમાં મર્જર મુદ્દે કોઈ ચર્ચા નહીં
છેલ્લા કેટલાક સમયથી શરદ પવાર અને અજિત પવારની પાર્ટીની મર્જર અંગેની ચર્ચાઓ ચાલી હતી. જોકે, સુનેત્રા પવારની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મર્જર(NCP Merger)ના મુદ્દે કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી. આ વિષય પર હાલ પૂરતો નિર્ણય ટાળી દેવામાં આવ્યો છે અને પક્ષના ધારાસભ્યોને મીડિયામાં મર્જર અંગે કોઈ પણ નિવેદન ન આપવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
સુનેત્રા પવારે શું કહ્યું?
બેઠક દરમિયાન સુનેત્રા પવારે જણાવ્યું કે, તેમણે પક્ષને એકજૂથ રાખવા અને સ્થિતિ મજબૂત કરવા માટે આ નવી જવાબદારી સ્વીકારી છે. પ્રફુલ પટેલ, સુનિલ તટકરે અને છગન ભુજબળ જેવા વરિષ્ઠ નેતાઓએ પણ સુનેત્રા પવારના નેતૃત્વમાં પક્ષના વિસ્તારની આશા વ્યક્ત કરી છે. ધારાસભ્યોએ પણ તેમને સંગઠન મજબૂત કરવામાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે.


