Will TMC Split Help BJP Pass Key Constitutional Bills in Parliament? ભારતીય રાજનીતિ ક્યારેય સ્થિર નથી હોતી, ક્યાંક ને ક્યાંક, કંઈક ને કંઈક ખળભળાટ તો મચતો જ રહે છે. છેલ્લા ઘણા સમયથી દેશભરના આકર્ષણનું કેન્દ્ર બનેલા પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યારે જે હલચલ જોવા મળી રહી છે તેની સીધી અસર દિલ્હીની સંસદ સુધી પહોંચી શકે એમ છે.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ(TMC)ની અંદર આંતરિક વિખવાદ અને વિભાજનના સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પક્ષના પ્રમુખ મમતા બેનર્જી માટે આ એક મોટો આંચકો હોઈ શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP) માટે આ એક ‘મોટું રાજકીય ઈનામ’ જીતવાની સુવર્ણ તક છે. પશ્ચિમ બંગાળની વિધાનસભામાં ભાજપ પહેલેથી જ 2/3 બહુમતી સાથે સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે, તેથી રાજ્ય સ્તરે તેને કોઈના સમર્થનની જરૂર નથી. ભાજપની અસલી નજર સંસદ (લોકસભા અને રાજ્યસભા) માં પોતાની તાકાત વધારવા પર છે, જેથી અટકેલા મહત્ત્વના બંધારણીય સુધારાઓ સરળતાથી પાસ કરાવી શકાય.
TMCમાં વિભાજન અને ઋતબ્રત બેનર્જીનો દાવો
બંગાળના રાજકારણમાં મમતા બેનર્જી માટે મુશ્કેલીઓ ત્યારે વધી જ્યારે પૂર્વ CPI(M) નેતા ઋતબ્રત બેનર્જી(જેઓ 2018માં TMCમાં જોડાયા હતા અને તાજેતરમાં ‘પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ’ માટે હાંકી કઢાયા હતા)ને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવામાં આવી. મમતા બેનર્જીએ આ પદ માટે પોતાના વરિષ્ઠ નેતા સોવનદેવ ચટ્ટોપાધ્યાયને ટેકો આપ્યો હતો. આમ છતાં ઋતબ્રત બેનર્જીએ TMCના 80 ધારાસભ્યોમાંથી 58 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને બધાને ચોંકાવી દીધા છે. અસંતુષ્ટ જૂથના મતે આ સંખ્યા 60 સુધી પહોંચી શકે છે. ભાજપના નેતાઓનું માનવું છે કે આ આંતરિક ઝઘડાના કારણે ટૂંક સમયમાં જ TMCમાં વિભાજન થશે.
ભાજપની નજર સંસદના સમીકરણો પર
જો બંગાળમાં TMCના ધારાસભ્યો વિભાજિત થશે તો તેની સીધી અસર સંસદમાં જોવા મળશે. સંસદમાં રહેલા TMCના સાંસદો પણ અલગ બ્લોક (જૂથ) બનાવી શકે છે. ભાજપના આંકડાકીય ગણિત મુજબ અમુક શક્યતાઓ જોઈએ.
- જો સંસદમાં 15, 20 કે 25 સાંસદો ધરાવતું કોઈ અલગ TMC જૂથ બને, તો તે NDA સરકારને બહારથી કે સીધું સમર્થન આપી શકે છે.
- આ સમર્થનથી ભાજપને પોતાના મહત્ત્વકાંક્ષી કાયદાઓ પસાર કરવા માટે જરૂરી બહુમતી મળી જશે.
- ભાજપ આ ઘટનાક્રમને મહારાષ્ટ્રમાં શિવસેના અને NCPમાં થયેલા વિભાજન તેમજ તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP) માં થયેલા વિભાજન સાથે સરખાવી રહ્યું છે. AAPમાં રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં 10માંથી 7 રાજ્યસભા સાંસદો ભાજપ સાથે જોડાતા 245 સભ્યોના ઉપલા ગૃહમાં NDAની સંખ્યા 141 થઈ ગઈ હતી. આ જ પેટર્ન હવે બંગાળમાં પુનરાવર્તિત થવાની સંભાવના છે.
અટકેલા મહત્ત્વના બિલો અને 2/3 બહુમતીનો પડકાર
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર સ્પષ્ટ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું, જેના કારણે બંધારણીય સુધારા માટે જરૂરી 2/3 બહુમતીનો આંકડો ઘણો દૂર થઈ ગયો છે. એપ્રિલ, 2026માં સરકારને મોટો ફટકો પડ્યો જ્યારે સીમાંકન બિલ (Delimitation Bill, 131મો બંધારણીય સુધારો) લોકસભામાં 2/3 બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નહીં. આ બિલનો હેતુ દેશની ચૂંટણી સીમાઓ ફરીથી નક્કી કરવાનો અને લોકસભાની બેઠકોની સંખ્યા 545 થી વધારીને 850 કરવાનો છે.
આ સિવાય સરકાર 'વન નેશન, વન ઇલેક્શન' (એક રાષ્ટ્ર, એક ચૂંટણી) બિલ પણ લાવવા માંગે છે, જે લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ એકસાથે કરાવવાનો પ્રસ્તાવ રાખે છે. હાલમાં આ બિલ પી.પી.ચૌધરીની અધ્યક્ષતાવાળી 39 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિ (JPC) હેઠળ તપાસ હેઠળ છે. સરકાર ઇચ્છે છે કે વર્ષ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં આ બંને કાયદા અમલમાં આવી જાય.
દક્ષિણના પક્ષો અને DMK સાથે વાટાઘાટો
જ્યારે એપ્રિલમાં સીમાંકન બિલ રજૂ કરાયું ત્યારે NDA પાસે 298 સભ્યોનું સમર્થન હતું, પણ કોંગ્રેસ, DMK અને TMC સહિતના 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધનના 230 સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધપક્ષોનો દાવો હતો કે સીમાંકનને મહિલા અનામત સાથે જોડવામાં ન આવે અને તેનાથી દક્ષિણના રાજ્યોનું રાજકીય મહત્ત્વ ઘટી જશે. પરંતુ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ રાજકીય સમીકરણો બદલાયા છે.
- તમિલનાડુમાં પોતાની હાર અને સાથી પક્ષ કોંગ્રેસના સી. જોસેફ વિજયની આગેવાની હેઠળની TVK સરકારમાં જોડાવાના નિર્ણયથી DMK પક્ષ હચમચી ગયો છે.
- સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે DMK તરફ સહકારનો હાથ લંબાવ્યો છે અને DMK પણ કેન્દ્ર સરકારને 'મુદ્દા આધારિત સમર્થન' આપવા તૈયાર દેખાઈ રહ્યું છે.
- કેન્દ્રીય ગૃહ મંત્રાલય હવે સીમાંકન બિલનો એવો સુધારેલો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે, જેમાં DMK જેવા પ્રાદેશિક પક્ષોની ચિંતાઓ દૂર કરી શકાય.
લેટેસ્ટ આંકડાકીય ગણિત શું કહે છે?
વર્તમાન લોકસભામાં DMK પાસે 22 સાંસદો અને TMC પાસે 28 સાંસદો છે. જો DMK બિલને સમર્થન આપવા સંમત થાય, તો 543 સભ્યોના ગૃહમાં 2/3 બહુમતી માટે NDAને વધારાના માત્ર 42 મતોની જરૂર પડશે. આવી સ્થિતિમાં, જો બંગાળમાં TMC તૂટે છે અને તેમાંથી 15થી 20 સાંસદોનું અલગ જૂથ ભાજપને ટેકો આપે છે, તો NDA ખૂબ જ સરળતાથી ‘સીમાંકન’ અને ‘વન નેશન, વન ઇલેક્શન’ જેવા ઐતિહાસિક બિલો પસાર કરાવી શકશે.
આમ, બંગાળનું આંતરિક રાજકીય સંકટ આડકતરી રીતે કેન્દ્રની મોદી સરકારને વધુ શક્તિશાળી બનાવવાનો માર્ગ મોકળો કરી રહ્યું છે.


