Ayodhya Ram Mandir Surya Tilak: અયોધ્યામાં રામનવમીના પવિત્ર અવસરે આજે એક અદ્ભુત અને અલૌકિક દૃશ્ય જોવા મળ્યું હતું. બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાનું 'સૂર્યતિલક' થયું. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાનું આ બીજું સૂર્યતિલક છે, જેમાં સૂર્યના કિરણો સીધા પ્રભુના લલાટ પર પડ્યા હતા. લગભગ 4 મિનિટ સુધી રામલલાના મસ્તક પર સૂર્યના કિરણો ચમકતા રહ્યા હતા, જે જોઈને ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા.
14 પૂજારીઓની હાજરીમાં વિશેષ પૂજા
સૂર્યતિલકની આ પ્રક્રિયા માટે વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો અદ્ભુત સમન્વય કરવામાં આવ્યો હતો. અષ્ટધાતુના 20 પાઇપની મદદથી 65 ફૂટ લાંબી એક ખાસ સિસ્ટમ તૈયાર કરાઈ હતી, જેમાં 4 લેન્સ અને 4 અરીસા દ્વારા સૂર્યપ્રકાશને ગર્ભગૃહ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ ખાસ ક્ષણે ગર્ભગૃહમાં 14 પૂજારીઓ હાજર રહ્યા હતા અને વિશેષ પૂજા બાદ ભવ્ય આરતી કરવામાં આવી.
આ પણ વાંચો: હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા
દર્શનના સમયમાં મોટો ફેરફાર
ભક્તોમાં આ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે અયોધ્યામાં લગભગ 10 લાખ શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન માટે ઉમટી પડ્યા છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં શ્રદ્ધાળુઓ સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી એટલે કે સતત 18 કલાક સુધી દર્શન કરી શકશે. અગાઉ સવારે 6:30 વાગ્યાથી રાત્રે 9:00 સુધી જ દર્શન કરી શકાતા હતા. રામ જન્મભૂમિ પરિસરમાં રામ પથ અને ભક્તિ પથ પર ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે, જે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા પહોંચ્યા છે.
પીએમ મોદીએ ટીવી પર નિહાળ્યું રામલલાનું 'સૂર્યતિલક'
રામનવમીના પવિત્ર અવસરે પીએમ મોદીએ ભગવાન શ્રી રામલલાની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં આયોજિત ભવ્ય 'સૂર્યતિલક'ના દિવ્ય દૃશ્યના તેઓ સાક્ષી બન્યા હતા. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક ક્ષણને નિહાળી પીએમ મોદીએ પ્રભુ શ્રી રામના ચરણોમાં શીશ નમાવી પ્રાર્થના કરી હતી.


