Get The App

આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના: ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 18 લોકોના મોત, અનેક દાઝ્યાં, 5km સંભળાયો વિસ્ફોટ

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના: ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 18 લોકોના મોત, અનેક દાઝ્યાં, 5km સંભળાયો વિસ્ફોટ 1 - image


Kakinada Firework Unit Explosion : આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લાના વેટલાપલેમ ગામમાં શનિવારે એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં જોરદાર ધડાકો થયો હતો. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ થયો તે સમયે ફેક્ટરીમાં 20 થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા.

5 કિલોમીટર દૂર સુધી સંભળાયો અવાજ

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બપોરે અંદાજે 2 વાગ્યે આ બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો ભયાનક હતો કે, તેનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટ બાદ ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.

મૃત્યુઆંક વધવાની આશંકા

રાજ્યના ગૃહમંત્રી વંગાલપુડી અનિતાએ આશંકા વ્યક્ત કરી છે કે, મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે, કારણ કે કેટલાક ઘાયલોની હાલત અત્યંત નાજુક છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ

મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે સંબંધિત મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર નજર રાખવા આદેશ આપ્યો છે. હાલમાં વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. આ ઉપરાંત ઘાયલોને તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટેના આયોજનની પણ અપીલ કરી છે.