NDA માં સામેલ થવાની ચર્ચા વચ્ચે શરદ પવાર અને સુપ્રિયાની PM મોદી સાથે મુલાકાતથી તર્કવિતર્ક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sharad Pawar Meet PM Narendra Modi Parliament : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના અધ્યક્ષ શરદ પવાર અને તેમના પુત્રી તથા સાંસદ સુપ્રિયા સુલેએ સંસદ ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ અણધારી મુલાકાતને પગલે રાજકીય વર્તુળોમાં શરદ પવારનો જૂથ એનડીએ (NDA) ની નજીક જઈ રહ્યો હોવાની અટકળો ફરી એકવાર તેજ થઈ ગઈ છે. સંસદ ભવનમાં વડાપ્રધાનના કક્ષમાં યોજાયેલી આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ શરદ પવારનો હાથ પકડીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
NEET વિવાદ અને પરિસીમન બિલ અંગે ચર્ચા
આ મુલાકાતના એક દિવસ પહેલા જ શરદ પવાર અને સુપ્રિયા સુલે જંતર-મંતર ખાતે NEET-UG પેપર લીક મામલે વિરોધ દર્શાવી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપવા પહોંચ્યા હતા. શરદ પવારે આ બેઠકમાં પણ વિદ્યાર્થીઓના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હોવાનું મનાય છે. બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરદ પવારની પાર્ટી સંસદના ચોમાસુ સત્રમાં મોદી સરકારના મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ 'પરિસીમન બિલ'નું સમર્થન કરી શકે છે. જો NCP (SP) આ બિલનું સમર્થન કરે છે, તો મોદી સરકારને લોકસભામાં બે-તૃતિયાંશ બહુમતીનો આંકડો મેળવવામાં મોટી મદદ મળશે.
સુપ્રીયા સુલેએ આ અટકળોને ફગાવી દીધી
તદુપરાંત, NCP (SP) ના નેતા જયંત પાટીલ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વચ્ચેની તાજેતરની બેઠકોએ પણ આ અટકળોને બળ આપ્યું છે. જોકે, સુપ્રિયા સુલેએ ભાજપ કે NDA માં જોડાવાની અટકળોને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે આ બેઠકો માત્ર વહીવટી કામકાજ અર્થે હતી, કોઈ રાજકીય જોડાણ માટે નહીં.









