Get The App

સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ પર હાઇકોર્ટે લગાવી રોક, તપાસમાં સહયોગ આપવા નિર્દેશ

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ પર હાઇકોર્ટે લગાવી રોક, તપાસમાં સહયોગ આપવા નિર્દેશ 1 - image


અલ્હાબાદ હાઇકોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આગતોરા જામીન પર થયેલી સુનાવણીમાં પોતાનો આદેશ સુરક્ષિત રાખી દીધો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અંતિમ આદેશની સુનાવણી ન થાય ત્યાં સુધી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની ધરપકડ નહીં કરી શકાય, સાથે જ કોર્ટે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાનો નિર્દેશ કર્યો છે. 

લેખિત દલીલો દાખલ કરવા માટે અપાયો સમય

સુનાવણી દરમિયાન બંને પક્ષોને તેમની લેખિત દલીલો દાખલ કરવા માટે સમય આપવામાં આવ્યો છે. જજે કહ્યું છે કે આદેશ આપવામાં ખોટું મોડું નહીં કરીએ, પરંતુ તમામ રૅકોર્ડને ધ્યાનથી જોવા જરૂરી છે. સાથે જ તેમને સંકેત આપ્યો કે માર્ચના ત્રીજા સપ્તાહમાં નિર્ણય આવી શકે છે.

પોકસો ઍક્ટ હેઠળ યૌન શોષણની ફરિયાદ

એડીજે રેપ ઍન્ડ પોક્સો સ્પેશિયલ કોર્ટના આદેશ બાદ 22 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના ઝૂંસી પોલીસ સ્ટેશનમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર પોકસો ઍક્ટ હેઠળ યૌન શોષણની ફરિયાદ દાખલ થઈ હતી. બાદમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્યએ ધરપકડથી બચવા માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. 

ફરિયાદીની ક્રિમિનલ હિસ્ટ્રી પણ કોર્ટમાં રજૂ કરાઈ

દલીલોમાં ફરિયાદી આશુતોષ બ્રહ્મચારીની ક્રિમિનલ હિસ્ટ્રીની પણ કોર્ટને જાણકારી આપવામાં આવી. બીજી તરફ સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તેમના પર લાગેલા આરોપને નિરાધાર અને સત્તાનું ષડયંત્ર ગણાવ્યું, તેમને સવાલ ઉઠાવ્યો કે તપાસમાં ફરિયાદી આશુતોષ બ્રહ્મચારી પોલીસ સાથે કેમ હાજર છે? સ્વામી અવિમુક્તેશ્વરાનંદના દાવા મુજબ કથિત રીતે પીડિત બાળકો લાંબા સમયથી આશુતોષ બ્રહ્મચારી સાથે વસવાટ કરી રહ્યા છે. 

આ પણ વાંચો: Exclusive: હવે ભાડુઆત નહીં છુપાવી શકે ગુનાઇત ઇતિહાસ, અમદાવાદમાં દેશની પહેલી હાઇટેક સિસ્ટમનો થશે અમલ

'આ પ્રકારના નીચ આક્ષેપ લાગશે તેવી કલ્પના ન હતી'

ફરિયાદ દાખલ થયા બાદ શંકરાચાર્યએ કહ્યું હતું કે, ‘મને અંદાજ હતો કે મારી વિરુદ્ધ કંઈ થશે, પરંતુ આ પ્રકારના નીચ આક્ષેપ લાગશે તેવી કલ્પના ન હતી. ગૌ હત્યારા કેટલી નીચતા પર ઉતરી રહ્યા છે, એ જોઈ શકાય છે. યોગી આદિત્યનાથ જેવા લોકો આવું કરી શકે, તો હવે અમે ધર્મ યુદ્ધ શરુ કર્યું છે જે રોકાશે નહીં. બોમ્બ ગોળા સામેથી આવી રહ્યા છે.’