Akhilesh Yadav Backs Mamata Banerjee: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ રાજકીય ગરમાવો તેજ થયો છે. ટીએમસી(TMC)ની હાર બાદ મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારે હવે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ મમતા દીદીનું સમર્થન કર્યું છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશ યાદવે બંગાળના પરિણામો પર અસંતોષ વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટ પાસે મોટી માંગણી કરી છે. તેમણે માંગ કરી છે કે બંગાળમાં થયેલી મતગણતરીના સીસીટીવી (CCTV) ફૂટેજ આખા દેશ સામે જાહેર કરવામાં આવે. આ ઉપરાંત, તેમણે મમતા બેનર્જીને નૈતિક સમર્થન આપવા માટે બંગાળ જવાની જાહેરાત પણ કરી છે.
સુપ્રીમ કોર્ટ પાસે સીસીટીવી ફૂટેજની માંગ
અખિલેશ યાદવે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જે બેઠકો પર મતો કપાયા ત્યાં ભાજપ 20,000થી વધુ મતોથી જીતી ગઈ છે. તેમણે કહ્યું કે બંગાળનો આ અનુભવ તેમને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કામ લાગશે અને વર્ષ 2027માં યુપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે. અખિલેશ યાદવે ભાજપ પર કચેરીઓ સળગાવવાનો આરોપ લગાવતાં કહ્યું કે, ભાજપ હાર્યા બાદ તોડફોડ કરી રહી છે અને આ દૃશ્યો આખી દુનિયા જોઈ રહી છે.
ભાજપનું 'દસ નંબરી મોડલ' અને યુપીમાં હાર
અખિલેશ યાદવે ભાજપની કાર્યશૈલી પર આકરા પ્રહાર કરતાં તેને 'દસ નંબરી મોડલ' ગણાવ્યું છે. તેમણે આંકડાકીય માહિતી આપતાં સ્વીકાર્યું હતું કે, વર્ષ 2024ની પેટાચૂંટણીમાં સપાને માત્ર 12% મતો મળ્યા હતા, જ્યારે તેની સામે ભાજપને 77% જેટલા મોટા પાયે મતો મળ્યા હતા, જે ઉત્તર પ્રદેશમાં સપા માટે એક મોટી હાર સમાન હતી.
જોકે, તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભગવાન શ્રીરામના આશીર્વાદ સમાજવાદી પાર્ટીની સાથે છે. અખિલેશ યાદવના મતે, ભાજપે અયોધ્યામાં ગરીબ લોકોની જમીનો છીનવીને તેમની સાથે અન્યાય કર્યો છે, જેના કારણે સામાન્ય જનતામાં ભાજપ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.


