એર ઇન્ડિયાએ 'ગાંજા કાંડ' બાદ ગ્રૂપના તમામ પાયલટોના ફરજિયાત સ્ક્રિનિંગનો આદેશ, પ્રતિબંધિત પદાર્થોની થશે તપાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Air India Orders Mandatory Drug Screening: એર ઇન્ડિયાએ 'ગાંજા કાંડ' બાદ પોતાના ગ્રૂપના તમામ પાયલોટોના ફરજિયાત સ્ક્રિનિંગનો આદેશ આપ્યો છે. નિયમો હેઠળ પ્રતિબંધિત પદાર્થો અને દવાઓની તપાસ કરવામાં આવશે. એર ઇન્ડિયાનો દાવો છે કે, ટ્રેનિંગ અને ઉડાન બાદ પાયલોટોની તપાસ થશે. ગુરુગ્રામ એકેડેમી, ફ્લાઇટ બ્રીફિંગ સેન્ટર અને બેઝ લોકેશન પર આ સ્ક્રિનિંગ હાથ ધરાશે. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, DGCAના નિયમો યુરોપ અને અમેરિકાના ધોરણો સમાન છે.
ઘટના બાદ AIની સ્પષ્ટતા
એર ઇન્ડિયાનું કહેવું છે કે, તે પહેલેથી જ DGCAના તમામ નિયમોનું પાલન કરે છે, પરંતુ હવે કંપનીએ સુરક્ષા માટે નિયમોથી એક ડગલું આગળ વધીને તમામ પાયલોટોનું સ્ક્રિનિંગ કરાવવાનો નિર્ણય લીધો છે. કંપનીએ જણાવ્યું છે કે, આ પગલાનો હેતુ મુસાફરોની સુરક્ષા અને એર ઇન્ડિયા પર લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનો છે.
કેમ લેવો પડ્યો આ નિર્ણય?
4 ઑગસ્ટના રોજ દિલ્હી-ફુકેત ફ્લાઇટ નંબર AI2379માં ટર્બ્યુલન્સ(હવાનો તીવ્ર આંચકો) થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે ફુકેતથી દિલ્હી પરત ફરતી વખતે વિમાન અચાનક લગભગ 300 ફૂટ નીચે આવી ગયું હતું. આ દરમિયાન મુખ્ય પાયલોટ કોકપિટના ફ્લોર પર પડેલો હોવાની બાબત સામે આવી હતી. આ ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો(AAIB) આ મામલે તપાસ કરી રહ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે પાયલોટે ગાંજો પીધો હતો. ક્રૂ મેમ્બરે પોતે આ અંગે ફરિયાદ કરી હતી. આ સાથે જ સૂત્રોના જણાવ્યા અનુસાર, સીટ સંબંધિત પ્રોટોકોલને લઈને પાયલોટ અને કેબિન ક્રૂના એક સભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી. ફુકેત પહોંચ્યા પછી પણ બંને વચ્ચેનો તણાવ પૂરો થયો ન હતો.
11 ઑગસ્ટે CEOની નાગરિક ઉડ્ડયન સચિવ સાથે બેઠક
11 ઑગસ્ટના રોજ એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર(CEO) કેમ્પબેલ વિલ્સને એરલાઇનના વરિષ્ઠ અધિકારીઓ સાથે નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમાર સિંહા અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફ્લાઇટ AI2379ની ઘટના બાદ એરલાઇનના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને બેઠક માટે બોલાવ્યા હતા.









