Get The App

એઆઈ ભલે કામમાં ઝડપી હોય, પણ માણસના મગજથી શ્રેષ્ઠ કશું નથી : નારાયણ મૂર્તિ

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
એઆઈ ભલે કામમાં ઝડપી હોય, પણ માણસના મગજથી શ્રેષ્ઠ કશું નથી : નારાયણ મૂર્તિ 1 - image

- એઆઈને માત્ર સહયોગી ટૂલ બનાવો : ઇન્ફોસિસના સ્થાપકની સલાહ

- એઆઈના આગમનથી માણસની રચનાત્મકતા નહીં અટકે, માણસનું મગજ હંમેશા બોસની ભૂમિકામાં રહેશે 

નવી દિલ્હી : દિલ્હી યુનિવર્સિટીમાં યોજાયેલી લીડર્સ ટોકમાં ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ વિદ્યાર્થીઓને સલાહ આપી હતી: 'એઆઈથી રિમોટ સર્જરી થઈ શકશે. યોગ્ય માપ-તોલ કરી શકાશે. સોફ્ટવોર બનાવવાનું સરળ થશે, પરંતુ એઆઈ એજન્ટને એક વખત તાલીમ આપ્યા પછી જરૂર મુજબ વારંવાર તાલીમ આપવી પડશે. માણસના મગજ હંમેશા એઆઈ સામે સર્વોપરિ રહેશે.' તેમણે યુવાનોને નવી સ્કિલ વિકસાવતા રહેવાન સલાહ આપી હતી.

દેશમાં એઆઈ ઈમ્પેક્ટ સમિટ ચાલી રહી છે ત્યારે દિલ્હી યુનિવર્સિટીમાં લીડર્સ ટોકમાં વિખ્યાત ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિએ વકતવ્ય આપ્યું હતું. તેમણે યુવાપેઢીને સંબોધન કરતા કહ્યું કે એઆઈથી ડરી જવાની જરૂર નથી. એઆઈને સહાયક બનાવો, તેની મદદથી તમારું કામ આસાન થશે. એઆઈ આવી જવાથી માણસની સર્જનાત્મકતા અટકી નહીં જાય. એઆઈની મર્યાદાઓ છે, માણસનું મગજ હંમેશા એઆઈ સામે બોસની ભૂમિકામાં જ રહેશે. એઆઈથી ટેકનિકલ કાર્યો સરળ બનશે. જો એઆઈનો યોગ્ય ઉપયોગ થાય તો એ કામમાં આસાની લાવે છે, પરંતુ માણસના મગજનો મુકાબલો એઆઈ કરી શકશે નહીં. માણસ સતત નવું નવું કરવા માટે પ્રયાસો કરશે. એઆઈ તેને તાલીમ મળી છે એટલું જ કરશે. તેમણે યુવાપેઢીને સલાહ આપી હતી કે પોતાની જાતને ટેકનોલોજી બદલાય તેમ બદલતા રહો, નવી સિસ્ટમમાં જાતને ઢાળો. શીખવાનો ગુણ વિકસાવો. કમાણી અને નફો બીજા નંબર પર આવે છે. અસલી ઓળખ લોકો સાથે પરસ્પર સન્માનથી બને છે. લોકોનો ભરોસો જીતવો એ મહત્ત્વની બાબત છે. સૌથી મોટા ઉદ્યોગપતિ બની જવું એ લક્ષ્ય ન હોવું જોઈએ. સન્માન મેળવવું એ લક્ષ્ય હોવું જોઈએ.