Image Source: Twitter
Raghav Chadha: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીએ મોટો ફેરફાર કરતાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવી દીધા છે. હવે તેમના સ્થાને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ચાન્સેલર અને પાર્ટી સાંસદ ડૉ. અશોક કુમાર મિત્તલ રાજ્યસભામાં પાર્ટીના નવા ડેપ્યુટી લીડર બનશે. રાઘવ ચઢ્ઢા અંગે રાજ્યસભા સચિવાલયને એક પત્ર મોકલવામાં આવ્યો છે. તેમને લઈને આ પહેલા પણ ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી. આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને કહ્યું છે કે, રાઘવ ચઢ્ઢાને ગૃહમાં પાર્ટીના નેતા તરીકે બોલવાનો મોકો ના આપવામાં આવે. એટલે હવે તેમના રાજ્યસભામાં બોલવાની ટાઇમિંગ પર કાતર ફેરવી દેવાશે.
રાઘવ ચઢ્ઢાએ છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટી અને તેના ટોપ લીડર્સ સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન સાધી રાખ્યું હતું. હવે પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવી દીધા છે.
રાઘવ ચઢ્ઢાનું મૌન અને રાજકીય અટકળો
રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદ પરથી હટાવવું એ પાર્ટીમાં એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં જ પાર્ટીના ટોચના નેતાઓને એક્સાઇઝ પોલિસી કેસમાં રાહત મળી છે, પરંતુ રાઘવ ચઢ્ઢાએ ન તો અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી અને ન તો સોશિયલ મીડિયા પર આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી. તેમના આ મૌનને પાર્ટીની અંદર અંતરના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
અશોક કુમાર મિત્તલને મળી નવી જવાબદારી
નવા ડેપ્યુટી લીડર, ડૉ. અશોક કુમાર મિત્તલ એક અનુભવી અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા સાંસદ છે. તેમને વર્ષ 2022માં પંજાબથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. સંસદના અગાઉના સત્રોમાં તેમણે કૃષિ અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. હવે એ જોવાનું રહેશે કે, અશોક મિત્તલની શાંત અને તાર્કિક કાર્યશૈલી ઉપલા ગૃહમાં પાર્ટીના એજન્ડાને કેટલી અસરકારક રીતે આગળ ધપાવવામાં મદદ કરી શકે છે.


