- પર્યાવરણમાં આવી રહેલા ખોફનાક ફેરફારોથી હિટવેવ અસહ્ય
- ઉત્તર ભારત 40 ડિગ્રીથી વધુ ગરમીમાં શેકાયું : ગુજરાત-મહારાષ્ટ્રમાં તીવ્ર હીટવેવ લાંબો ચાલવાની ચેતવણી
- ઉત્તર પ્રદેશનું બાંદા 44 ડિગ્રીએ અગનભઠ્ઠી બન્યું, લોકો ત્રાહિમામ, રાજસ્થાનમાં કોટા 42 ડિગ્રી સાથે ટોચ પર
- જમ્મુ-કાશ્મીરમાં કમોસમી હિમવર્ષા અને વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું
નવી દિલ્હી : ઉત્તર ભારત, ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોમાં આ વર્ષે હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહેશે તેવી ચેતવણી હવામાન વિભાગે આપી છે. એટલે કે દેશમાં આ પ્રદેશોમાં આગામી સમયમાં સરેરાશ તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે. તેમણે ઉમેર્યું કે, હાલ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પ્રવર્તી રહેલી કાળઝાળ ગરમીથી જનતાને હાલ રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે.
ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું કે, દેશમાં કેટલાક ક્ષેત્રો એવા છે જ્યાં ક્લાઈમેટ ચેન્જના પગલે તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર જવું સામાન્ય છે, તેથી આગામી દિવસોમાં હીટવેવના દિવસો લાંબા સમય સુધી ચાલી શકે છે. તેમણે કહ્યું કે, વર્ષના આ સમયમાં મહારાષ્ટ્રમાં વિદર્ભમાં સરેરાશ તાપમાન ૪૧થી ૪૨ ડિગ્રી રહી શકે છે. એ જ રીતે ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં તાપમાન ૪૦થી ૪૪ ડિગ્રી સુધી જવાની સંભાવના છે. આપણે આગામી દિવસોમાં તીવ્ર ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. મોહપાત્રાએ કહ્યું કે, ફેબુ્રઆરીના અંતમાં માર્ચ, એપ્રિલ અને મેમાં પહેલી હીટવેવ અંગે જાહેરાત કરાઈ હતી.
હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના બાંદામાં મંગળવારે સૌથી વધુ ૪૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુકા વાતાવરણના કારણે સમગ્ર રાજ્યમાં તીવ્ર ગરમીની સ્થિતિ પ્રવર્તતી હતી. સુલતાનપુરમાં ૪૩.૪ ડિગ્રી, પ્રયાગરાજમાં ૪૩.૨ ડિગ્રી, ઝાંસી અને હરદોઈમાં ૪૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર પ્રદેશને આગામી કેટલાક દિવસ સુધી ગરમીથી રાહત મળવાની શક્યતા નથી. રાષ્ટ્રીય રાજધાનીમાં હજુ સુધી હીટવેવની સ્થિતિ સર્જાઈ નથી, જ્યાં મહત્તમ તાપમાન ૩૮.૮ ડિગ્રી સુધી રહ્યું છે. જોકે, દિલ્હીમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સુધી જવાની શક્યતા છે. ગરમીના આ સમયમાં બાળકો પાણી પીવાનું ભૂલી ના જાય તે માટે સ્કૂલોમાં દર કલાકે બેલ મારી પાણી પીવાની રીસેસ પાડવા સ્કૂલોને નિર્દેશ અપાયા છે.
હરિયાણા અને પંજાબમાં તીવ્ર ગરમી પડી હતી. હરિયાણાના ભિવાનીમાં મહત્તમ તાપમાન ૪૨.૫ ડિગ્રી નોંધાયું હતું. પંજાબના ભટિંડા અને ફરિદકોટમાં પણ મહત્તમ તાપમાન ૪૧.૬ ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાનમાં પણ સામાન્ય કરતાં વધુ ગરમી અનુભવાઈ હતી. રાજસ્થાનમાં કોટામાં સૌથી વધુ ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય જયપુર, ઉદયપુર, જોધપુર અને બિકાનેરમાં પણ તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું.
દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં કમોસમી હિમવર્ષા થઈ હતી જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ પડયો હતો, જેને પગલે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. કાશ્મીરમાં કમોસમી હિમવર્ષા વચ્ચે સેંકડો ગુર્જર અને બકરવાલ જાતિઓએ આકરી પરિસ્થિતિનો સામનો કરીને જમ્મુ અને કાશ્મીરના ચીનાબ ખીણના સદીઓ જૂના ગોચર વિસ્તારોમાં સ્થળાંતર કર્યું હતું.
1877માં અલ-નીનોથી લાખો લોકોનાં મોત થયા હતા
દુનિયામાં 149 વર્ષ પછી ફરી મેગા અલ નીનોની વૈજ્ઞાનિકોની તાકીદ
- પ્રશાંત મહાસાગરમાં 8,046 કિ.મી. લાંબી ગરમીની લહેર ફેલાઈ રહી હોવાનું જોખમ
નવી દિલ્હી : દુનિયામાં હાલ ૧૮૭૭ બાદનું સૌથી શક્તિશાળી અલ નીનો બની રહ્યું હોવાની વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. અલ-નીનો એક એવી પ્રાકૃતિક મૌસમી ઘટના છે, જેમાં પ્રશાંત મહાસાગરના ઉષ્ણકટિબંધીય એટલે કે ટ્રોપિકલ ભાગનું પાણી અસામાન્ય રૂપે ગરમ થઈ જાય છે. ૨૦૨૬-૨૭માં ફરી એક વખત સુપર અથવા મેગા અલ-નીનોની સ્થિતિ સર્જાઈ રહી હોવાની વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, સામાન્ય અલ નીનો પ્રત્યેક બેથી સાત વર્ષમાં આવે છે, પરંતુ આ વખતે સુપર અથવા મેગા સ્તરનું અલ-નીનો બની રહ્યું છે. તેનું કારણ સમુદ્રી ગરમીની લહેર, પોઝિટિવ પેસિફિક મેરિડિયનલ મોડ અને ગરમ દક્ષિણી હવાઓ છે. બેન નોલ જેવા હવામાન વિજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ લહેર અલ-નીનોને વધુ મજબૂત બનાવી રહી છે. ગરમી અને ભેજ વધવાથી પશ્ચિમી દેશોમાં ગરમીની લહેરો વધુ તીવ્ર બની શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પેટર્ન ૧૪૦ વર્ષમાં સૌથી શક્તિશાળી હોઈ શકે છે.
હાલમાં પ્રશાંત મહાસાગરમાં ૮,૦૪૬ કિ.મી. લાંબી ગરમીની લહેર ફેલાયેલી છે. તે માઈક્રોનેશિયાથી શરૂ કરીને કેલિફોર્નિયા સુધી પહોંચી ચૂકી છે. કેલિફોર્નિયા નજીક સમુદ્રી તાપમાન વિક્રમી સ્તરે છે. એનઓએએના રિપોર્ટ મુજબ આ લહેર અલ-નીનોને ઝડપથી મજબૂત કરી રહી છે, તેનાથી સમુદ્રી જીવો જોખમમાં મુકાયા છે. અલ-નીનોની આ સ્થિતિ હવામાનની પેટર્ન સંપૂર્ણપણે બદલી રહી છે. ૧૮૭૭-૭૮નો અલ-નીનોનો ઈતિહાસ સૌથી વિનાશક હતો. તેણે ગરમીની લહેર, દુષ્કાળ અને પાક નાશ કરીને લાખો લોકોના જીવ લીધા હતા. હવે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ૨૦૨૬નું અલ-નીનો તેનાથી પણ વધુ શક્તિશાળી હોઈ શકે છે. એપ્રિલ ૨૦૨૬ના હવામાન મોડલ્સમાં વૈજ્ઞાનિક હાર્ટ પલ્પિટેશંસ અનુભવી રહ્યા છે.


