રામલીલા મેદાનના શુદ્ધિકરણ મામલે ભડક્યાં ખડગે, રાજ્યસભામાં કહ્યું- મારું અપમાન થયું; સરકારે આપ્યો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ramlila Maidan Purification Row: ઉત્તરાખંડના હલ્દવાની સ્થિત રામલીલા મેદાનમાં 8 ઓગસ્ટે યોજાયેલી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની 'વિજય શંખનાદ રેલી' બાદ શરૂ થયેલો વિવાદ હવે દેશના રાજકારણમાં ભારે ગરમાવો લાવી રહ્યો છે. ખડગેની જનસભા બાદ આ મેદાનમાં યોજાયેલા 'શુદ્ધિકરણ' યજ્ઞને લઈને કોંગ્રેસ અને ભાજપ સામસામે આવી ગયા છે. આ મુદ્દાની ગંભીર ગૂંજ હવે સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં પણ સ્પષ્ટપણે સંભળાઈ છે.
રાજ્યસભામાં ખડગેની વેદના અને જેપી નડ્ડાની સ્પષ્ટતા
રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવતા મલ્લિકાર્જુન ખડગેએ ભારે હૈયે જણાવ્યું હતું કે, 'હું ક્યારેય પોતાની જાતિ કે દલિત હોવાનો મુદ્દો બનાવતો નથી, પરંતુ રેલી બાદ મંચનું શુદ્ધિકરણ કરીને મારું અને આખા સમાજનું અપમાન કરવામાં આવ્યું છે. હું હલ્દવાનીની સભામાં લાખો લોકો સામે માત્ર જનતાના પ્રશ્નો પર બોલ્યો હતો, છતાં મારા ગયા પછી હવન કરીને મંચ પવિત્ર કરવાનો પ્રયાસ કરાયો.'
આ મુદ્દે કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગૃહમાં સરકાર વતી આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી હતી. નડ્ડાએ સ્પષ્ટતા કરી હતી કે, 'ભાજપ આવી કોઈ પણ માનસિકતા કે પ્રવૃત્તિનું સમર્થન કરતું નથી અને આ ઘટના અત્યંત દુઃખદ છે. આ બાબતે યોગ્ય તપાસકરવામાં આવશે.'
બીજી તરફ, રાજ્યસભાના સભાપતિએ પણ આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરતા કહ્યું કે, 'આધુનિક ભારતમાં અસ્પૃશ્યતા કે સામાજિક ભેદભાવ માટે કોઈ સ્થાન નથી અને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.'
શુદ્ધિકરણ કરનાર સંગઠનનો દાવો
હલ્દવાનીના રામલીલા મેદાનમાં 'શ્રી રામ સેના ધર્માર્થ સેવા ન્યાસ' નામના સ્થાનિક સંગઠન દ્વારા આ હવન-પૂજન યોજવામાં આવ્યું હતું. સંગઠનના સભ્યોનું કહેવું છે કે આ આયોજન પાછળ કોઈ જાતિ કે સમુદાયના અપમાનનો હેતુ નહોતો. પરંતુ, ખડગેના ભૂતકાળના કેટલાક કથિત સનાતન વિરોધી નિવેદનોને કારણે, જે પવિત્ર સ્થાન પર રામલીલાનું મંચન થાય છે તે મેદાનની ધાર્મિક અને સાંસ્કૃતિક પવિત્રતા જાળવવા માટે આ શુદ્ધિકરણ જરૂરી હતું.









