India

પેલેટ ગન કેસમાં પોલીસ સ્ટેશન બહાર રાહુલ ગાંધીના 4 કલાક ધરણા, દિલ્હી પોલીસે FIRની માગ સ્વીકારી

By GS Team
21 Aug 20263 mins read
TukuTouch Logo
દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ મથકે DCP ઑફિસે પહોંચ્યા હતા. જંતર-મંતર ખાતે 'કોકરોચ જનતા પાર્ટી'ના વિરોધ પ્રદર્શનમાં પેલેટ ગનના કથિત ઉપયોગ અંગે પોલીસ તપાસની વિગતો મેળવવાનો તેમનો હેતુ હતો. રાહુલ ગાંધીએ પેલેટ ગનથી પીડિત સાહિલ લોહબચને સાથે રાખી, FIR ન નોંધાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટના મામલે સુપ્રીમ કોર્ટે 5 સભ્યોની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ રચી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેલેટ ગન કેસમાં પોલીસ સ્ટેશન બહાર રાહુલ ગાંધીના 4 કલાક ધરણા, દિલ્હી પોલીસે FIRની માગ સ્વીકારી
IMAGE - IANS

Rahul Gandhi: આખરે રાહુલ ગાંધીના ધરણા બાદ દિલ્હી પોલીસ ઝૂકી છે. પેલેટ ગન મામલે FIR નોંધવા માટે તૈયાર થઈ ગઈ છે. રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ મથકે છેલ્લા 4-5 કલાકથી FIR નોંધવાની માંગ પર અડગ હતા. દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની માગ સ્વીકારી લીધી છે. સાહિલ લોચબની રજૂઆતને આધારે પોલીસ અજાણ્યા લોકો સામે FIR નોંધી છે.

દિલ્હીના સંસદ માર્ગ પોલીસ મથકે આવેલી DCP ઑફિસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહોંચ્યા હતા. જંતર-મંતર ખાતે 'કોકરોચ જનતા પાર્ટી'(CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા પેલેટ ગનના કથિત ઉપયોગ અંગે પોલીસ તપાસ કેટલે પહોંચી છે અને અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે, તેની વિગતો મેળવવી એ તેમનો મુખ્ય હેતુ હતો. આ દરમિયાન રાહુલ ગાંધી પેલેટ ગનથી પીડિત સાહિલને પણ પોતાની સાથે લાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં આ મામલે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ એફઆઇઆર પણ નોંધવામાં આવી નથી.

રાહુલ ગાંધી સાથે વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા, જયરામ રમેશ અને અધીર રંજન ચૌધરી સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ ધરણામાં જોડાયા છે. બીજી તરફ પોલીસે જણાવ્યું છે કે ફરિયાદ સ્વીકારી લેવામાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.

શાંતિપૂર્ણ પ્રદર્શનકારી સાહિલ પર પેલેટ ગનથી હુમલો થયો અને તેની આંખની રોશની જોખમમાં છે. આ ગંભીર ગુનો હોવાથી તુરંત FIR નોંધાવી જોઈએ.

  • રાહુલ ગાંધી (કોંગ્રેસ)

રાહુલ ગાંધી ચર્ચામાં રહેવા માટે રાજકારણ કરી રહ્યા છે; વંદે માતરમ્ સહિતના અન્ય વિવાદો પરથી ધ્યાન ભટકાવવા માટે આ પ્રદર્શન કરાઈ રહ્યું છે.

  • આશિષ સૂદ (ભાજપ)

ડીસીપી ઑફિસે તપાસની વિગતો મેળવવાનો પ્રયાસ

રાહુલ ગાંધીએ પોલીસ અધિકારીઓ સાથે સીધી વાતચીત કરીને તપાસ ક્યાં સુધી પહોંચી છે અને તેના શું પરિણામો આવ્યા છે તે જાણવા પ્રયાસ કર્યો હતો. આ ઘટના બનતા જ, જંતર-મંતર ખાતે CJPના આંદોલન સમયે થયેલા પેલેટ ગનના ઉપયોગનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જોકે, પોલીસ પક્ષેથી હજુ સુધી તપાસના તારણો કે કોઈ નક્કર કાર્યવાહી અંગે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં, એ સ્પષ્ટપણે જણાઈ આવે છે કે રાહુલ ગાંધી આ બાબતે ખૂબ ગંભીર છે અને સમગ્ર તપાસ કાર્યવાહી પર સતત નજર રાખી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો?

કોકરોચ જનતા પાર્ટી(CJP)ના નેતૃત્વમાં 20 જુલાઈના રોજ સંસદ તરફ માર્ચ કાઢવામાં આવી હતી, જે દરમિયાન પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત રીતે પ્રદર્શનકારીઓ પર પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે 20 જૂનના રોજ આ આંદોલન શરૂ થયું હતું, જે પ્રધાનના રાજીનામા બાદ 25 જુલાઈના રોજ સમાપ્ત થયું હતું.

સુપ્રીમ કોર્ટે હાઇ પાવર્ડ કમિટીની રચના કરી

દિલ્હીમાં વિધાર્થી આંદોલન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કથિત અતિશયોક્તિ અને પોલીસકર્મીઓ પર થયેલી હિંસાની નિષ્પક્ષ તપાસ માટે સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોની હાઇ પાવર્ડ એનક્વાયરી કમિટી(HPEC)ની રચના કરી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી રહેશે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે 18 ઑગસ્ટે આ આદેશ આપ્યો હતો.

આ કમિટીમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રવિ શંકર ઝા, દિલ્હી હાઇકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ શાલિન્દર કૌર, CBIના પૂર્વ નિયામક ઋષિ કુમાર શુક્લા અને મેઘાલયના નિવૃત્ત DGP એલ. આર. બિશ્નોઈનો સમાવેશ થાય છે. આ સમિતિ પેલેટ ગનના ઉપયોગ સહિત પોલીસ દ્વારા કરાયેલા વધુ પડતા બળપ્રયોગ તેમજ પ્રદર્શનકારીઓ દ્વારા પોલીસકર્મીઓ પર કરાયેલી હિંસા - બંને પાસાંઓની તપાસ કરશે.