આસામ બાદ ઓડિશાના 20 જિલ્લામાં પૂરથી આફત, 1.89 લાખ લોકોનું સુરક્ષિત સ્થાને સ્થળાંતર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Odisha Flood: ઓડિશામાં મહાનદી અને તેની પ્રમુખ શાખા નદી કાઠજોડીમાં પાણીની સતત આવકના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. મુંડલી અને નરાજ પાસે પૂરના પાણી ટૂંક સમયમાં જ ભયજનક સપાટી વટાવી જાય તેવી આશંકા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, મુંડલીમાં 8.80 લાખ ક્યુસેક પાણી વહી રહ્યું હતું અને જળસ્તર ભયજનક સપાટીથી માત્ર દોઢ ફૂટ જ નીચે હતું. જ્યારે નરાજમાં 4.34 લાખ ક્યુસેક અને જોબરા એનિકેટ પરથી 3.97 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ભટ્ટારિકા મંદિરના ગર્ભગૃહમાં પાણી ઘૂસ્યા, બીએનએસની ધારા-163 લાગુ
મહાનદીનું જળસ્તર વધતા બુધવારે મોડી રાત્રે પ્રસિદ્ધ ભટ્ટારિકા મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે માં ભટ્ટારિકાની મૂર્તિને અસ્થાયી મંદિરમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે. આ ઉપરાંત બડંબાના જોડુમ વિસ્તારમાં તટબંધ તૂટવાથી ખેતીની જમીન જળમગ્ન થઈ છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને ધબલેશ્વર, ભટ્ટારિકા અને સિંહનાથ પીઠમાં ગુરુવારથી BNSની કલમ-163 (અગાઉની કલમ-144) લાગુ કરી દેવામાં આવી છે.
અનેક ગામો સંપર્કવિહોણા, હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
બાંકી-ડંપડા બ્લોકના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા અનેક પંચાયતોના સેંકડો હેક્ટર ખેતરો ડૂબમાં ગયા છે. મુખ્ય માર્ગો પર 3થી 5 ફૂટ પાણી વહી રહ્યા હોવાથી અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. તંત્રે સાવચેતીના ભાગરૂપે આઠગઢ, બાંકી, કટક સદર અને કટક કોર્પોરેશન વિસ્તારમાંથી હજારો લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવાની કામગીરી હાથ ધરી છે. પૂર રાહત માટે NDRF, ODRAF અને ફાયર બ્રિગેડની ટીમો તહેનાત કરવામાં આવી છે.
20 જિલ્લાના 7 લાખથી વધુ લોકો પ્રભાવિત, ભદ્રક સૌથી વધુ પ્રભાવિત
ઓડિશાના 20 જિલ્લાના 100 બ્લોકમાં આવેલા 1,458 ગામો પૂરની ચપેટમાં આવ્યા છે. સરકારી આંકડા મુજબ, પૂરના કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે અને 1,310 પશુઓના મૃત્યુ નોંધાયા છે. ભદ્રક જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં 4.11 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે. આ ઉપરાંત જાજપુર અને બાલેશ્વર જિલ્લામાં પણ લાખો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
સરકારે હેલિકોપ્ટરથી નિરીક્ષણ કર્યું, જળસ્તર ઘટ્યા બાદ વળતરની ખાતરી
મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પુજારીએ ઉચ્ચ અધિકારીઓ સાથે હેલિકોપ્ટર મારફતે પૂર પ્રભાવિત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને આદેશ આપ્યા છે કે પૂરના પાણી ઓસર્યા બાદ તુરંત જ પ્રભાવિત લોકોને આર્થિક સહાય અને વળતર ચૂકવવામાં આવે. હાલમાં રાજ્યમાં 520થી વધુ રાહત કેન્દ્રો શરૂ કરીને લોકોને રાશન અને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે.









