India

કોકરોચ આંદોલન વચ્ચે ખેડૂતોની પણ દિલ્હી તરફ કૂચ! શંભુ બોર્ડર પર હાઈઍલર્ટ

By GS Team
21 Jul 20262 mins read
TukuTouch Logo
ભારત-અમેરિકા FTA સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 'દેશ બચાવો મોરચા'ના આહ્વાન પર પંજાબના હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા શંભુ બોર્ડર પર એકઠા થયા છે. FTA રદ કરવાની માંગ સાથે આ આંદોલન ઉગ્ર બન્યું છે. ગુરનામ સિંહ ચઢૂનીની અટકાયતથી વાતાવરણ વધુ ગરમાયું છે. શંભુ બોર્ડર પર કલમ 163 અને ચુસ્ત સુરક્ષા સાથે બેરિકેડ્સ ગોઠવાયા છે. ખેડૂતોનું માનવું છે કે FTAથી ભારતીય ખેતી અને ડેરી ઉદ્યોગને મોટું નુકસાન થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોકરોચ આંદોલન વચ્ચે ખેડૂતોની પણ દિલ્હી તરફ કૂચ! શંભુ બોર્ડર પર હાઈઍલર્ટ
IMAGE - IANS

Shambhu Border Farmers March: ભારત અને અમેરિકા વચ્ચે થનારા પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) એટલે કે મુક્ત વ્યાપાર કરાર સામે દેશના ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ કરારને તુરંત રદ્દ કરવાની માગ સાથે 'દેશ બચાવો મોરચા'ના આહ્વાન પર પંજાબથી હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા માટે શંભુ બોર્ડર પર એકઠા થઈ રહ્યા છે. આ આંદોલનને વેગ આપવા માટે દિલ્હીમાં યોજાનારી કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા જઈ રહેલા ભારતીય કિસાન યુનિયન (ચઢૂની)ના પ્રમુખ ગુરનામ સિંહ ચઢૂનીની હરિયાણા પોલીસે અટકાયત કરી લેતા વાતાવરણ વધુ ગરમાયું છે.

શંભુ બોર્ડર પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને શંભુ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 163 લાગુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા રસ્તાઓ પર બેરિકેડ્સ લગાવીને વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. કોઈપણ હિંસા, અશાંતિ કે નુકસાનને રોકવા માટે પોલીસ દળ એન્ટી-રાયટ ગિયર સાથે તહેનાત છે. અમૃતસર અને ગુરદાસપુર તરફથી ખેડૂતોનો કાફલો દિલ્હી પહોંચવા માટે તૈયાર થઈ રહ્યો છે.

શા માટે થઈ રહ્યો છે FTAનો વિરોધ?

ખેડૂતોનું સ્પષ્ટ માનવું છે કે જો ભારત અને અમેરિકા વચ્ચે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અમલી બનશે, તો તેની સીધી અને ગંભીર અસર ભારતીય ખેતી, ડેરી ઉદ્યોગ અને ગ્રામીણ વિસ્તારના લોકોની આજીવિકા પર પડશે. વિદેશી કૃષિ ઉત્પાદનો ભારતીય બજારમાં આવવાથી સ્થાનિક ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે અને નાના ખેડૂતોનો વ્યવસાય ઠપ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

ખેડૂત નેતાઓની હાજરી અને આગળની રણનીતિ

આ આંદોલનને સમર્થન આપવા માટે સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાના દિગ્ગજ નેતાઓ પણ શંભુ બોર્ડર પર પહોંચી રહ્યા છે. ખેડૂત નેતા સરવણ સિંહ પંઢેર પણ આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય ચહેરો છે. ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી સરકાર તેમની માગણીઓ પર યોગ્ય ધ્યાન નહીં આપે, ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે. આ મામલો દેશની વ્યાપાર નીતિ અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો હોવાથી હાલ સમગ્ર દેશની નજર આ ઘટનાક્રમ પર ટકેલી છે.