કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની રેલી પૂર્ણ થતાં રામલીલા મેદાનનું શુદ્ધિકરણ કરાયું, ભાજપ પર આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Haldwani Rally Dispute: ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલા હલ્દવાનીના પ્રસિદ્ધ રામલીલા મેદાનમાં 8 ઓગસ્ટે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની એક વિશાળ રેલી યોજાઈ હતી. જોકે, રેલી બાદ આ મેદાનમાં યોજાયેલા 'શુદ્ધિકરણ' યજ્ઞને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. કોંગ્રેસે આ ઘટનાને મલ્લિકાર્જુન ખડગેના દલિત હોવા સાથે જોડીને ભાજપ સરકાર પર દલિત વિરોધી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. બીજી તરફ, ભાજપે સ્પષ્ટતા કરી છે કે યજ્ઞ કરનાર સંસ્થા સાથે પાર્ટીને કોઈ લેવાદેવા નથી અને આ એક ખાનગી સંગઠનનો કાર્યક્રમ હતો.
કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર: 'આ આખા દલિત સમાજનું અપમાન'
મલ્લિકાર્જુન ખડગેની જનસભા બાદ કરાયેલા 'શુદ્ધિકરણ'ને લઈને કોંગ્રેસે ભાજપ સામે મોરચો માંડ્યો છે. કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના જિલ્લા પ્રમુખ ઇન્દ્રપાલ આર્યના નેતૃત્વમાં કાર્યકર્તાઓએ બુધવારે બુદ્ધ પાર્કમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસનો આરોપ છે કે ખડગે દલિત નેતા હોવાના કારણે જ રામલીલા મેદાનનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. આ માત્ર ખડગેનું જ નહીં, પરંતુ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના સન્માન, સ્વાભિમાન અને ગરિમાનું અપમાન છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગણેશ ગોદિયાલે પણ આરોપ લગાવ્યો હતો કે ભાજપના ઈશારે જ આ યજ્ઞ કરાવાયો છે, જે સામાજિક ભેદભાવ અને જાતિવાદી માનસિકતાને પ્રોત્સાહન આપે છે.
શુદ્ધિકરણ કરનાર રામ અવસ્થી અને સંગઠનનો દાવો
રેલીના બે દિવસ બાદ 10 ઓગસ્ટે સ્થાનિક ધાર્મિક સંગઠન 'શ્રી રામ સેના ધર્માર્થ સેવા ન્યાસ'ના સચિવ રામ અવસ્થીના નેતૃત્વમાં મેદાનમાં હવન-પૂજન કરવામાં આવ્યું હતું. સંગઠનનો દાવો છે કે કોંગ્રેસની રેલી દરમિયાન કેટલાક ઇસ્લામિક નારા લગાવવામાં આવ્યા હતા અને હિન્દુ સંગઠનો પર વાંધાજનક ટિપ્પણીઓ કરાઈ હતી. તેથી મેદાનની ધાર્મિક અને સાંસ્કૃતિક પવિત્રતા પુનઃસ્થાપિત કરવા માટે આ શુદ્ધિકરણ જરૂરી હતું. સંગઠને સ્પષ્ટ કર્યું હતું કે આ બાબતને દલિત સમાજ સાથે કોઈ લેવાદેવા નથી.
ભાજપનો પલટવાર: 'કોંગ્રેસ મુદ્દાને રાજકીય રંગ આપી રહી છે'
સંગઠનના સભ્ય ગિરીશ ચંદ્ર પાંડે અને ભાજપના નૈનીતાલ જિલ્લા પ્રમુખ પ્રતાપ બિષ્ટે સ્પષ્ટ કર્યું છે કે આ યજ્ઞ સાથે ભાજપનો કોઈ સંબંધ નથી અને ખાનગી સંગઠનના કાર્યક્રમને પાર્ટી સાથે જોડવો અયોગ્ય છે. ભાજપે કોંગ્રેસ પર મુદ્દાને રાજકીય રંગ આપવાનો અને સનાતન ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. કેબિનેટ મંત્રી ખજાનદાસે પલટવાર કરતા જણાવ્યું હતું કે પવિત્ર રામલીલા મેદાનમાં કોંગ્રેસની સભા દરમિયાન ધર્મ વિશેષના નારા લગાવવામાં આવ્યા હતા, જે સનાતન ધર્મમાં કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. કોંગ્રેસ આ મુદ્દે સમાજને વિભાજિત કરવાની હલકી રાજનીતિ કરી રહી છે.









